ઇરાન-ઇઝરાયલ તણાવની અસર ગુજરાત પર, અમદાવાદ એરપોર્ટ પર 12 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ, મુસાફરો અટવાયા
ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગો પ્રભાવિત થયા છે. જેના પરિણામે ગુજરાતની વિમાની સેવાઓ, ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ પરથી 12 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ થઈ છે.

ઇરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવના પગલે આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોમાં ભારે અવરજવર જોવા મળી રહી છે, જેના પ્રભાવથી ગુજરાતની વિમાની સેવાઓ પણ અસરગ્રસ્ત બની છે. ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી સંચાલિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
માહિતી અનુસાર મિડલ ઈસ્ટ તરફ જતી અને ત્યાંથી આવતી અનેક ફ્લાઇટ્સ હાલ માટે સ્થગિત રાખવામાં આવી છે. કુલ 12 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ થતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એરપોર્ટ પર અનેક મુસાફરો ફ્લાઇટ અંગે અપડેટ મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે, જ્યારે કેટલીક એરલાઇન્સ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા અંગે માહિતી આપવામાં આવી રહી છે.
ખાસ કરીને Etihad Airways દ્વારા તેમના મુસાફરો માટે હેલ્પલાઇન નંબર 1800 123 3901 જાહેર કરવામાં આવ્યો છે, જેથી મુસાફરો ફ્લાઇટની તાજી સ્થિતિ અંગે માહિતી મેળવી શકે. અન્ય એરલાઇન્સે પણ પોતાના સત્તાવાર વેબસાઈટ અને કસ્ટમર કેર મારફતે અપડેટ મેળવવાની સલાહ આપી છે.
એરપોર્ટ સત્તાધિકારીઓએ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા પોતાની સંબંધિત એરલાઇન્સ સાથે ફ્લાઇટની સ્થિતિ ચોક્કસ તપાસી લે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં પણ કેટલીક ફ્લાઇટ્સના સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે.
