Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં નવા આક્ષેપ સાથે રેસિડેન્ટ ડોક્ટર્સની ફરી હડતાળ, વારંવાર થતી હડતાળને લઇ ઉઠ્યા સવાલ

વારંવાર હડતાળ કરી આરોગ્ય કમિશનર અને આરોગ્ય પ્રધાન સામે નિશાન સાધવામાં આવે છે. ત્યારે સવાલ એ પણ થાય છે કે વારંવાર સમસ્યા કે હાલાકીના નામે હડતાળ કોના ઇશારે થાય છે.

Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં નવા આક્ષેપ સાથે રેસિડેન્ટ ડોક્ટર્સની ફરી હડતાળ, વારંવાર થતી હડતાળને લઇ ઉઠ્યા સવાલ
CIVIL HOSPITAL (File Image)
| Edited By: | Updated on: Feb 21, 2022 | 7:56 AM

અમદાવાદ (Ahmedabad)ની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) અને હડતાળ (Strike) જાણે એકબીજાના પર્યાય બની ગયા છે. અસારવા સિવિલમા રેસિડેન્ટ ડૉક્ટર્સ માટે હડતાળ જાણે સામાન્ય બની ગઇ છે. છેલ્લા 2 વર્ષમા દર મહિને નવા નવા મુદ્દા સાથે હડતાળને રેસિડેન્ટ ડૉક્ટર્સે જાણે વેકેશન મેળવવાનુ સાધન બનાવ્યુ હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે ફરી એકવાર આ તબીબોએ હડતાળ પાડી છે.

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમા નાની નાની વાતમા હડતાળ કરવી એ તબીબોની આદત પડી ગઇ છે. ક્યારેક રેસિડેન્ટ ડૉક્ટર તો ક્યારેક સિનિયર ડૉક્ટર, હડતાળ કરીને દર્દીઓને મુશ્કેલીમાં મુકે છે. આ વખતે રેસિડેન્ટ ડૉક્ટર્સનો આક્ષેપ છે કે ડૉ.ઉપધ્યાય દ્વારા હડતાળ ન કરવા દબાણ અને જો હડતાળ કરશો તો પરીક્ષામા નાપાસ કરવાની ધમકી આપવાનામાં આવી છે.

સિવિલ હોસ્પિટલમા એક પ્રોફેસરના યુનિટમાં વધુમા વધુ 5 થી 7 રેસિડેન્ટ ડૉક્ટર આપવામાં આવતા હોય છે. સિવિલમાં કુલ 10 મેડિસિન યુનિટ છે અને કુલ 80 જેટલા કુલ મેડિસિનના રેસિડેન્ટ છે. જેમાં 7 જેટલા રેસિડેન્ટ ડૉ.કમલેશ ઉપાધ્યાયના યુનિટમા છે..સવાલ એ છે કે ડૉ.કમલેશ ઉપાધ્યાયના 7 રેસિડેન્ટને નાપાસ કરવાની ધમકી સામે 700 જેટલા રેસિડેન્ટ હડતાળ પર કેમ ઊતર્યા છે? મેડિસિન વિભાગનો પ્રશ્ન હોય તો માત્ર 80 જેટલા મેડિસિનના રેસિડેન્ટ વિરોધ કરે તો 700નો વિરોધ કેમ.

વારંવાર હડતાળ કરી આરોગ્ય કમિશનર અને આરોગ્ય પ્રધાન સામે નિશાન સાધવામાં આવે છે. ત્યારે સવાલ એ પણ થાય છે કે વારંવાર સમસ્યા કે હાલાકીના નામે હડતાળ કોના ઇશારે થાય છે.

યુનિવર્સિટીના નિયમ મુજબ વિદ્યાર્થી દ્વારા પ્રોફેસર સામે ફરિયાદ થાય તો તે પ્રોફેસર પેપર કાઢી પણ ન શકે કે પેપર ચેક પણ ન કરી શકે. તો રેસિડેન્ટ ડૉક્ટર્સની ફરિયાદનુ અહીંયા જ નિરાકરણ આવી જાય છે. તો પછી હડતાળ કરીને સરકારનુ અને આરોગ્ય વિભાગના ઉચ્ચઅધિકારીઓનું નાક દબાવવામાં કોને રસ છે? સિવિલના એવા કયા સત્તાધીશો અને પરિબળો છે જે સરકાર અને આરોગ્ય વિભાગને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

અગાઉ ઇએનટીના વડા ડૉ. ઇલા ઉપાધ્યાય સામે પણ આ જ રીતે રેસિડેન્ટ ડૉક્ટર્સ દ્વારા કેટલાક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે મામલે કેટલાક દિવસ હડતાળનું નાટક કર્યા બાદ સમાધાનનું બહાનુ ધરી દેવાયુ. તો આ કિસ્સાને વધુ લાંબા સમય સુધી ચલાવવામા કોનું હિત અને કોને રસ છે તેની ચર્ચાઓએ જોર પકડ્યુ છે.

અગાઉ ડૉ.એમ.એમ.પ્રભાકર જેવા સિનિયર વ્યક્તિ સુપરિન્ટેન્ડન્ટ તરીકે હતા, તે સમયે આવા મુદ્દાઓ પર રેસિડેન્ટ ડૉક્ટર્સ હડતાળનો વિચાર પણ કરી શકતા નહોતા. તો શું હાલના સુપરિન્ટેન્ડન્ટ અને એડિશનલ સુપરિન્ટેન્ડન્ટને પણ રેસિડેન્ટ ડૉક્ટર્સ ગાઠતા નથી કે શું તેવી ચર્ચાએ આરોગ્ય વિભાગમાં જોર પકડ્યુ છે. ડૉક્ટરોને દિવસે દિવસે હડતાળ કરીને સરકાર અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓનું નાક દબાવી પોતાની માગણીઓ સંતોષવામાં સારી ફાવટ આવી ગઇ હોય તેવુ લાગી રહ્યુ છે.

આ પણ વાંચો-

પોરબંદર : પાકિસ્તાન મરીનના આતંકનો વીડિયો આવ્યો સામે, IMBL નજીક ભારતીય બોટોના અપહરણની પેરવી

આ પણ વાંચો-

રાજ્યની 3 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકા માટે પાણી પુરવઠા યોજનાના 42.73 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી