Breaking News : અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે ! ફરિયાદ છતા અશાંત ધારા વિસ્તારમાં ધમધોકાર ચાલી રહ્યું છે ઈમારતનુ કામકાજ
વેજલપુર વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકરે, એવો સવાલ કર્યો છે કે, અશાંત વિસ્તારમાં મંજૂર કરાયેલ 22 માળની ઈમારત સામે વિરોધ હોવા છતા તેનુ કામકાજ તેવી રીતે શરુ થયું. આ ઈમારતને જરૂરી મંજૂરી કોણે આપી, હવે તેમણે મુસ્લિમોને અપીલ કરી છે કે, આ ઈમારતમા મકાન ના ખરીદે, કારણ કે તેમના રૂપિયા ડૂબી જવાની શક્યતા રહેલી છે.

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરનુ તંત્ર હવે ભાજપના ધારાસભ્યને નગણ્ય લેખે છે. અમદાવાદમાં દર મહિને યોજાતી સંકલનની બેઠકમાં ભાજપના ધારાસભ્યો વહીવટીતંત્ર ગાંઠતુ નથી તેવી ફરિયાદો કરતા આવે છે. ક્યારેક કયારેક વહીવટીતંત્ર, પ્રજાની સમસ્યાને ધારાસભ્યોની સમસ્યા સમજી લેતુ હોય તેમ લાગી રહ્યું છે. ભાજપના ધારાસભ્યો પક્ષની શિસ્તના નામે વહીવટીતંત્ર સામે બીજુ કાંઈ કરી પણ શકતા નથી, પરંતુ તંત્ર ગાંઠતુ નથી તેવી કાગારોળ જરૂરથી મચાવે છે.
ભાજપના ધારાસભ્યને વહીવટીતંત્ર ગાઠતું નથી તેવા સમાચાર વેજલપુર વિસ્તારમાંથી સામે આવ્યા છે. વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકર કદમાં ભલે કદાવર હોય પરંતુ વહીવટીતંત્ર સામે કદાવર નથી લગતા. ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના મતવિસ્તારનો કેટલોક ભાગ અશાંત ધારા હેઠળ આવે છે. આ અશાંત ધારા હેઠળના વિસ્તારમાં, એક ઈમારત બંધાઈ રહી હતી. જેનો તેઓએ સત્તાવાર રીતે વિરોધ કર્યો હતો. વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓને રૂબરુ અને લેખિત ફરિયાદ સ્વરૂપે ધ્યાન પણ દોર્યું હતું. જો કે, વહીવટી તંત્રે, ધારાસભ્યની ફરિયાદને એક કાનેથી સાંભળી અને બીજા કાનેથી બહાર કાઢી નાખી. એટલું જ નહીં શરીરે કદાવર એવા ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરની લેખિત ફરિયાદ ઉપર વજનદાર વજનીયુ મૂકી દીધુ. પરિણામે અમિત ઠાકરના ઘોર વિરોધ વચ્ચે જોત જોતામાં અશાંત ધારાના વિસ્તારમાં 22 માળની મંજૂર કરાયેલ ઈમારત ચણાવાની શરૂ થઈ ગઈ. આ ઈમારતને લઈને ચોમેરથી અમિત ઠાકર સમક્ષ ફરિયાદ થતા, ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે, તેમના જ પક્ષની સરકારના વહીવટીતંત્ર સામે ભારે આક્રોશ ઠાલવ્યો.
વેજલપુર વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકરે, એવો સવાલ કર્યો છે કે, અશાંત વિસ્તારમાં મંજૂર કરાયેલ 22 માળની ઈમારત સામે વિરોધ હોવા છતા તેનુ કામકાજ તેવી રીતે શરુ થયું. આ ઈમારતને જરૂરી મંજૂરી કોણે આપી, હવે તેમણે મુસ્લિમોને અપીલ કરી છે કે, આ ઈમારતમા મકાન ના ખરીદે, કારણ કે તેમના રૂપિયા ડૂબી જવાની શક્યતા રહેલી છે. પામ જુમેરા, અલ હમદ કે તેની આજુબાજુના ફ્લેટની સ્કિમમા ફ્લેટ ખરીદીને તેમના પૈસા પાણીમાં ના નાખે. કારણ કે ત્યાં અશાંત ધારો લાગુ છે અને કોઈ પણ સંજોગોમાં અશાંતધારાની પરવાનગી મળશે નહીં.
સ્થાનિકો કહે છે કે, કોઈ ધર્મનો વિરોધ નથી પરંતુ નિયમ અને કાયદાની વાત છે. જો અશાંત ધારો લાગુ પડેલો હોય તો તે અંતર્ગત તેનું પાલન થવું જોઈએ. જો કે તંત્ર દ્વારા કહેવાઈ રહ્યું છે કે વિરોધ બાદ બાંધકામ અટકાવી દેવાયું છે. પરંતુ જ્યારે ટીવી9 ગુજરાતીની ટીમે ઘટના સ્થળે તપાસ કરી તો અશાંત ધારાગ્રસ્ત વિસ્તારમાં પામ જુમેરા ઈમારતનું કામ ધમધોકાર કોઈ પણ જાતની રોકટોક વગર ચાલતું જણાયું હતું.