Gujarat Election 2022 : સત્તા કાયમી રાખવા ભાજપનો ધૂંઆધાર પ્રચાર, રાજકારણના ચાણક્ય ‘અમિત શાહ’ ગજવશે 5 સભા
Gujarat Assembly Election : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાને હવે ગણતરીના દિવસો બાકી છે, તે પહેલા ભાજપે ગુજરાતમાં પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની ફૌજ ઉતારી છે.
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પક્ષો મતદારોનો મત જીતવા એડીચોડીનું જોર કરી રહ્યા છે. ભાજપે પણ પોતાના રાષ્ટ્રીય નેતાઓની ફૌજ ગુજરાતમાં ઉતારી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે 5 મેરેથોન સભા યોજશે. નડિયાદમાં મહુધા વિધાનસભા બેઠક માટે શાહ પ્રચાર કરવા જશે. ત્યાર બાદ ઝાલોદ અને વાગરામાં અમિત શાહ જાહેરસભાને સંબોધશે, તો નાંદોદમાં સૂર્ય દરવાજાથી હરસિદ્ધિ માતાના મંદીર સુધી શાહનો ઝંઝાવાતી રોડ શો યોજાશે. અને રાત્રે અમદાવાદના નરોડામાં જાહેરસભાને સંબોધન કરી મતદારોને રીઝવવા પ્રયત્ન કરશે.
ગૃહપ્રધાન અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર
આ પહેલા સૌરાષ્ટ્રનો ગઢ સર કરવા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જસદણમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. તો સાથે જ કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ કર્યા.અમિત શાહે સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા અને નર્મદામાં યોજનામાં વિલંબ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી. અમિત શાહે જણાવ્યું હતુ કે કોંગ્રેસે વર્ષો સુધી શાસન કર્યું છતાં સૌરાષ્ટ્ર તરસ્યું રહ્યું. ભાજપે સૌરાષ્ટ્રવાસીઓની પાણીની સમસ્યા કાયમી ધોરણે દૂર કરી. તેમણે કહ્યું હતુ કે વર્ષો સુધી નર્મદા યોજનામાં રોડાં નાંખનારા મેધા પાટકર રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયા. ગુજરાત વિરોધીઓને સાથ આપીને કોંગ્રેસ ગુજરાતના ઘા પર મીઠું ભભરાવે છે. અરવિંદ કેજરીવાલે પણ 2014માં મેધા પાટકરને ટિકિટ આપી હતી. જો કે કેજરીવાલ સમજી વિચારીને મેધા પાટકરને ગુજરાતમાં નથી લાવતા.