Ahmedabad : હત્યા કરી અન્ય રાજયમાં ભાગતા પહેલા જ આરોપી પકડાયો, પૈસાની લેતીદેતી મામલે ઝઘડામાં કરાઈ હત્યા
હત્યારા (Murder)આરોપીના કાકા અમદઅલી પઠાણ તેમજ મૃતક હૈદરઅલી અશરઅલી અંસારી બંને વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો.
Ahmedabad : રખિયાલ લાલમીલ ચાર રસ્તા પાસે ગઇકાલે હત્યાની (Murder) ઘટના સામે આવી હતી. સમગ્ર હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે (Police)અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી (CCTV) તેમજ બાતમીને આધારે આરોપી તબરેજ ઉર્ફે તબ્બુ અહેમદખાન પઠાણ હત્યા બાદ ઉતરપ્રદેશના નાસી જવાની ફિરાકમાં હતો. જોકે આરોપી તબરેજ બસમાં બેસે તે પહેલાજ પોલીસે તેને પકડી પાડયો હતો.
હત્યારા આરોપીના કાકા અમદઅલી પઠાણ તેમજ મૃતક હૈદરઅલી અશરઅલી અંસારી બંને વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. બંનેનાં ઝઘડાની જાણ આરોપી તબરેજ અને તેના મિત્રને થતાં બંને એકટીવા ઉપર આવી લાલમીલ સામે જાહેર રોડ ઉપર તેના કાકાના ઝઘડાની અદાવત રાખી તેની પાસે રહેલી છરીથી હૈદરઅલી અંસારી પર હુમલો કર્યો હતો. હુમલા બાદ આરોપી તબરેજ ત્યાંથી નાસી છૂટયો હતો. અને મેમકો બસ સ્ટેન્ડ પર પહોંચી યુપી જવાની બસમાં ટિકિટ લઈ બેસવાની ફિરાકમાં હતો. જે દરમ્યાન પોલીસની ટીમે તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વનું છે કે મૃતક પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. અને તેના પર અનેક ગુનાઓ પણ નોંધાયા હતા. મૃતક પાસા હેઠળ પણ જેલમાં ધકેલાયો હતો. જોકે પાસામાંથી બહાર આવી ફરીથી તેને ધાકધમકી અને મારામારી જેવી પ્રવૃત્તિઓ કરી હતી. આરોપી તબરેજ ઉર્ફે તબ્બુનાં કાકા પાસેથી મૃતક હૈદરઅલીએ પાંચ હજાર રૂપિયા માંગ્યા હતા. જોકે પાંચ હજાર દેવાની નાં પડતા હૈદરઅલીએ રૂપિયા નહિ આપવાનો ખાર રાખી હુમલો કર્યો હતો.
સમગ્ર ઘટનાની જાણ આરોપી તબરેજને થતાં તેને જાહેર રસ્તા પર ઉભેલા હૈદરઅલી પર હુમલો કર્યો હતો અને તેની હત્યા નિપજાવી હતી. હાલ તો પોલીસે તબરેજની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ હત્યામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તેમજ આરોપી અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ હાથ ધરાઇ છે.
આ પણ વાંચો :SURAT : હત્યાનો ખુલ્યો રાઝ, શ્રમજીવી યુવકની હત્યા મામલે આરોપીની ધરપકડ