Railway News : શું 31 મેના રોજ દેશભરમાં ટ્રેન નહીં દોડે ? જાણો શા માટે આવું કહેવામાં આવી રહ્યું છે
આ મહિનાની 31 તારીખે દેશભરમાં ટ્રેનના પૈડા થંભી શકે છે. રેલવે (Railway )ના તમામ સ્ટેશન માસ્ટરોએ 31 મેના રોજ સામૂહિક રજા પર જવાનો નિર્ણય લીધો છે. આ સ્ટેશન માસ્તરો ઈચ્છે છે કે, તેમની કેડરમાં ખાલી પડેલી જગ્યાઓ વહેલી તકે ભરવામાં આવે. હાલની સ્થિતિ એવી છે કે સ્ટેશન માસ્તરોને રોજના 8 કલાકને બદલે 12 કલાક ડ્યુટી કરવી પડે છે.
Railway News: જો સરકાર (Railway Ministry) સમયસર કોઈ પગલાં નહીં લે તો આ મહિનાની 31 તારીખે દેશભરમાં ટ્રેનના પૈડા થંભી શકે છે. તેનું કારણ એ છે કે, ભારતીય રેલ્વેના તમામ સ્ટેશન માસ્ટરો (Station Master)એ માસ લીવ (Mass Leave) પર જવાના છે. રેલવેની ઉદાસીનતાને કારણે દેશભરના લગભગ 35,000 સ્ટેશન માસ્ટરોએ રેલવે બોર્ડને નોટિસ પાઠવી છે. જેમાં 31 મેના રોજ હડતાળ (સામૂહિક રજા) પર જવાની વાત કહેવામાં આવી છે.
સ્ટેશન માસ્તર સામૂહિક રજા પર કેમ જાય છે?
ઓલ ઈન્ડિયા સ્ટેશન માસ્ટર્સ એસોસિએશનના પ્રમુખ (All India Station Masters Association) ધનંજય ચંદ્રાત્રે કહે છે કે હવે તેમની પાસે રેલવે સ્ટેશન માસ્ટરની સામૂહિક રજા પર જવા સિવાય કોઈ વિકલ્પ નથી. દેશભરમાં 6,000 થી વધુ સ્ટેશન માસ્ટરની અછત છે. અને રેલવે પ્રશાસન આ પોસ્ટ પર ભરતી કરી રહ્યું નથી. જેના કારણે હાલમાં દેશના અડધાથી વધુ સ્ટેશનો પર માત્ર બે જ સ્ટેશન માસ્ટરની પોસ્ટ છે. જો કે સ્ટેશન માસ્તરની શિફ્ટ આઠ કલાકની હોય છે, પરંતુ સ્ટાફની અછતને કારણે તેમને દરરોજ 12 કલાકની શિફ્ટ કરવી પડે છે. જે દિવસે સ્ટેશન માસ્ટરને સાપ્તાહિક રજા હોય, તે દિવસે કર્મચારીને બીજા સ્ટેશનથી બોલાવવા પડે છે. આવા સંજોગોમાં જો કોઈ સ્ટાફની તબિયત લથડે કે તેમના ઘરમાં કોઈ ઈમરજન્સી સર્જાય તો હોબાળો થાય છે.
નિર્ણય અચાનક લેવામાં આવ્યો નથી
તેમનું કહેવું છે કે, સ્ટેશન માસ્ટર એસોસિએશનનો આ નિર્ણય અચાનક લેવાયેલો નિર્ણય નથી. લાંબા સંઘર્ષ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તે પણ ત્યારે જ્યારે રેલવે પ્રશાસને તેમની માંગણીઓ સ્વીકારી ન હતી. પ્રથમ તબક્કામાં, AISMA અધિકારીઓએ તેમની માંગણીઓ મનાવવા માટે રેલવે બોર્ડના અધિકારીઓને ઈ-મેલ મોકલીને વિરોધ કર્યો હતો. બીજા તબક્કામાં, 15 ઓક્ટોબર 2020 ના રોજ નાઇટ ડ્યુટી શિફ્ટમાં સ્ટેશન પર મીણબત્તીઓ પ્રગટાવીને દેશભરના સ્ટેશન માસ્ટરોએ વિરોધ કર્યો. વિરોધનો ત્રીજો તબક્કો 20 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર 2020 સુધી એક સપ્તાહ સુધી ચાલ્યો હતો.
તે દરમિયાન સ્ટેશન માસ્તરોએ કાળો બેજ લગાવીને ટ્રેનો ચલાવી હતી. ચોથા તબક્કામાં તમામ સ્ટેશન માસ્તરોએ 31 ઓક્ટોબર 2020 ના રોજ એક દિવસીય ભૂખ હડતાલ કરી હતી. પાંચમો તબક્કો દરેક વિભાગીય મુખ્ય મથકની સામે કરવામાં આવ્યો હતો. છઠ્ઠા તબક્કામાં તમામ સંસદીય ક્ષેત્રોના જનપ્રતિનિધિઓને એક મેમોરેન્ડમ સુપરત કરવામાં આવ્યું હતું અને રેલ્વે મંત્રીને એક મેમોરેન્ડમ સુપરત કરવામાં આવ્યું હતું. સાતમા તબક્કામાં તેઓ રેલ્વે રાજ્ય મંત્રીને મળ્યા અને સમસ્યાઓથી વાકેફ કર્યા. તેમ છતાં સ્ટેશન માસ્તરોની તમામ માંગણીઓ હજુ પેન્ડીંગ છે.
શું છે સ્ટેશન માસ્તરોની માંગ
ધનંજયનું કહેવું છે કે, સ્ટેશન માસ્તરોની માંગણીઓની યાદી રેલવે બોર્ડના સીઈઓને મોકલી દેવામાં આવી છે. આ માંગણીઓમાં સમાવેશ થાય છે.
- રેલવેમાં તમામ ખાલી જગ્યાઓ ઝડપથી ભરવા.
- કોઈપણ મર્યાદા વિના તમામ રેલવે કર્મચારીઓને નાઈટ ડ્યુટી ભથ્થું પુનઃસ્થાપિત કરવું.
- 16.02.2018 ના બદલે 01.01.2016 થી સ્ટેશન માસ્ટર્સની કેડરમાં MACPનો લાભ આપવા.
- સુધારેલા હોદ્દાઓ સાથે કેડરનું પુનર્ગઠન કરવું.
- સ્ટેશન માસ્ટર્સને સુરક્ષિત અને સમયસર ટ્રેન ચલાવવામાં તેમના યોગદાન માટે સુરક્ષા અને તણાવ ભથ્થું પૂરું પાડવું.
- રેલવેનું ખાનગીકરણ અને કોર્પોરેટીકરણ બંધ કરો.
- નવી પેન્શન યોજના બંધ કરીને જૂની પેન્શન યોજનાનો અમલ.