તેલ કંપનીઓને બે અઠવાડિયામાં બીજો ઝટકો, ક્રૂડ પેટ્રોલિયમ પર વિન્ડફોલ ટેક્સમાં બીજી વખત કર્યો વધારો
બે સપ્તાહમાં સરકારે ક્રૂડ પેટ્રોલિયમ પર વિન્ડફોલ ટેક્સમાં બીજી વખત વધારો કર્યો છે. નાણા મંત્રાલયના નોટિફિકેશન મુજબ, ભારત સરકારે સોમવારે ક્રૂડ પેટ્રોલિયમ પર વિન્ડફોલ ટેક્સ 15 ઓગસ્ટથી 4,250 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 7,100 રૂપિયા પ્રતિ ટન કર્યો છે.
![તેલ કંપનીઓને બે અઠવાડિયામાં બીજો ઝટકો, ક્રૂડ પેટ્રોલિયમ પર વિન્ડફોલ ટેક્સમાં બીજી વખત કર્યો વધારો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/08/Oil-Company.jpg?w=1280)
કેન્દ્ર સરકારે સતત બીજી વખત પેટ્રોલિયમ કંપનીઓને ઝટકો આપ્યો છે. બે સપ્તાહમાં સરકારે ક્રૂડ પેટ્રોલિયમ (Crude Oil) પર વિન્ડફોલ ટેક્સમાં બીજી વખત વધારો કર્યો છે. નાણા મંત્રાલયના (Finance Ministry) નોટિફિકેશન મુજબ, ભારત સરકારે સોમવારે ક્રૂડ પેટ્રોલિયમ પર વિન્ડફોલ ટેક્સ 15 ઓગસ્ટથી 4,250 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 7,100 રૂપિયા પ્રતિ ટન કર્યો છે.
પેટ્રોલ પર SAED શૂન્ય રહેશે
ક્રૂડ પેટ્રોલિયમની સાથે ડીઝલ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી એટલે કે SAEDમાં પણ વધારો થશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તે હાલમાં 1 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 5.50 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવશે. નોટિફિકેશનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે 15 ઓગસ્ટથી જેટ ફ્યુઅલ અથવા ATF પર 2 રૂપિયા પ્રતિ લીટરની ફી લગાવવામાં આવશે. હાલમાં તેના પર પર કોઈ SAED નથી. પેટ્રોલ પર SAED શૂન્ય રહેશે.
ટેક્સ 1,600 રૂપિયાથી વધારીને 4,250 રૂપિયા પ્રતિ ટન
કેન્દ્ર સરકારે 1 ઓગસ્ટથી ક્રૂડ પેટ્રોલિયમ પર વિન્ડફોલ ટેક્સ 1,600 રૂપિયાથી વધારીને 4,250 રૂપિયા પ્રતિ ટન કર્યો હતો. તાજેતરનો વધારો 15 ઓગસ્ટથી અમલમાં આવ્યો છે. ભારતે પહેલી વખત 1 જુલાઈ, 2022ના રોજ વિન્ડફોલ ટેક્સ લેવાનું શરૂ કર્યું હતું. સરકારે ક્રૂડ ઓઈલ ઉત્પાદકો પર ટેક્સ લગાવ્યો હતો અને ગેસોલિન, ડીઝલ અને એટીએફની નિકાસ પર ટેક્સ વધાર્યો હતો.
દર 15 દિવસે વિન્ડફોલ ટેક્સની સમીક્ષા
હવે ભારત એવા દેશોમાં સામેલ થયો જે પેટ્રોલિયમ કંપનીઓના પ્રોફિટ પર ટેક્સ લગાવે છે. પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુઅલ એટીએફની નિકાસ પર ડ્યુટી લાદવામાં આવી હતી, ત્યારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી (SAED) લાદવામાં આવી હતી. સરકાર દર 15 દિવસે વિન્ડફોલ ટેક્સની સમીક્ષા કરે છે. છેલ્લો ફેરફાર 1 ઓગસ્ટના રોજ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : Independence Day 2023 : વર્ષ 1947માં આઝાદીના સમયે 88 રૂપિયા તોલો સોનું અને 25 પૈસામાં 1 લીટર પેટ્રોલ મળતું
વિન્ડફોલ ટેક્સ શા માટે વસૂલવામાં આવે છે?
કેન્દ્ર સરકાર તેલ ઉત્પાદકો અને ફ્યૂલ એક્ષ્પોર્ટર્સના સુપર-સામાન્ય નફા પર વિન્ડફોલ ટેક્સ લાદે છે. ઇંધણ પરનું માર્જિન આંતરરાષ્ટ્રીય બજારમાં સતત વધઘટ થતું રહે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં પણ સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. જેના કારણે દર 15 દિવસે તેની સમીક્ષા કરવામાં આવે છે અને તે જોવામાં આવે છે કે તેલ કંપનીઓ કેટલો નફો કરી રહી છે. તેના આધારે વિન્ડફોલ ટેક્સનો દર નક્કી કરવામાં આવે છે.