અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ, જુઓ વીડિયો
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને સૌ કોઈએ ક્યારેય ક્લીન શેવમાં જોયા નહીં હોય, તેમને હંમેશા દાઢીમાં જ જોયા હશે. આજે અમદાવાદમાં કડવા પાટીદાર સમાજના છાત્રાલયના લોકાર્પણ પ્રસંગે અમિત શાહે, તેમના વિદ્યાર્થીકાળના સંસ્મરણોને વાગોળતા દાઢી રાખવાનું રહસ્ય પણ છતુ કર્યું હતું.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે અમદાવાદમાં અમીન પી.જે. કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે ઉત્તર ગુજરાતના કડવા પાટીદાર સમાજના છાત્રાલયની કામગીરીને બિરદાવતા કહ્યું હતું કે, કોઈ પણ સંસ્થા પાંચ-દશ વર્ષ ચાલે તો સંસ્થા આગળ ચાલી છે તેમ કહેવાય છે, પરંતુ જ્યારે કોઈ સંસ્થા 100 વર્ષ પૂર્ણ કરે ત્યારે કહી શકાય કે, સંસ્થાની સાથે સમગ્ર સમાજ છે. જેના કારણે તે સંસ્થાએ 100 વર્ષ પૂરા કર્યા છે. આ સંસ્થાએ ઉત્તર ગુજરાતના અનેક વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષણ થકી ઉજાસ પાથર્યો છે. અમિત શાહે એમ પણ કહ્યું હતું કે, ઉત્તર ગુજરાતનું એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાંથી કોઈ વ્યક્તિ કડવા પાટીદાર હોસ્ટેલમાં રહીને અભ્યાસ ના કર્યો હોય.
અમિત શાહે આ છાત્રાલય સાથે પોતાના સંસ્મરણનો વાગોળતા કહ્યું કે, “આ સંસ્થાના રેકટર હોવાની સાથેસાથે નટુભાઈ એનસીસીના ઈન્સ્ટ્રકટર પણ હતા. હુ નાનપણથી ક્લીન શેવ નહતો રાખતો, દાઢી આવી જ રાખતો. નટુભાઈ બહુ સ્ટ્રીક ડિસિપ્લિનના આગ્રહી હતા. હુ દાઢી ના કપાવુ એટલે ચાર રાઉન્ડ રાઈફલ ઊચી રાખીને ગુજરાત કોલેજમાં રાઉન્ડ મારવાની સજા મને કરાતી હતી. પછી ખબર પડી કે નટુભાઈમાં કોઈ દયા બયા છે નહીં, એટલે મે પણ ચાલુ કર્યું, વહેલા આવી જવાનું. ચાર રાઉન્ડ મારી લેવાના. પછી આપણી પરેડ કરવાની. એટલે પરેડનો ટાઈમ બગડે નહી. મને ગીલ સાહેબ પાસે બેસાડ્યો અને કહ્યું ભાઈ તને ખબર છે તુ સરદાર નથી. એટલે દાઢી કપાવવી પડે. ત્યારે મે કહ્યું કે, મારી 20 મીનિટ બચે તે માટે હુ દાઢી નથી કરાવતો”.