રાજ્યસભા માટે પસંદ કરેલા 4 ઉમેદવારો આજે ઉમેદવારી પત્ર ભરશે, ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત નિશ્ચિત, જુઓ Video
આ વખતે મનસુખ માંડવિયા અને પરસોતમ રૂપાલાને રાજ્યસભામાં રિપીટ કરવામાં આવ્યા નથી. તેમની 2 ટર્મ થઇ ગઇ હોવાથી તેમને રાજ્યસભામાં ન મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યસભામાં આ ઉમેદવારોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યુ છે.
ભાજપ ગુજરાતમાંથી રાજ્યસભા માટે પસંદ કરેલા ચાર ઉમેદવારો આજે ઉમેદવારી પત્ર ભરશે. ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા વિધાનસભા જવાના છે. સવારે 11-15 ક્લાકે તેઓ ફોર્મ ભરશે. ઉમેદવારી નોંધાવતી વખતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ધારાસભ્ય, નેતાઓ તેમજ પદાધિકારીઓ પણ હાજર રહેશે.
તમામ ચારેય ઉમેદવારો વિજય મુહૂર્તમાં ભરશે ફોર્મ
ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોની પસંદગીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી સરપ્રાઇઝ આપી છે. ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત નિશ્ચિત છે, ત્યારે ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાને ગુજરાતમાંથી ટિકિટ અપાઇ છે. તો સુરતના પાટીદાર અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાને પણ રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરાયા છે. જેઓ આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે.
જાણો ઉમેદવારની પસંદગીનું ગણિત
બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયકને પણ રાજ્યસભાની લોટરી લાગી છે. જ્યારે કે ચોથા ઉમેદવાર તરીકે મધ્ય ગુજરાતમાંથી ભાજપના અગ્રણી અને જાણીતા તબીબ જશવંતસિંહ પરમારની પસંદગી કરવામાં આવી છે. ભાજપે જ્ઞાતિ-જાતિના સમીકરણોને ધ્યાને રાખીને તમામ ઉમેદવારોની પસંદગી કરી છે. જાહેર થયેલા 4 ઉમેદવારો પૈકી 1 ઉમેદવાર બ્રાહ્મણ છે, તો 1 ઉમેદવાર પાટીદાર છે. જ્યારે કે અન્ય 2 ઉમેદવારો OBC સમાજમાંથી આવે છે.
ધારણા મુજબ જ ભાજપે હાલના રાજ્યસભાના સાંસદ પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને રિપિટ નથી કર્યા. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને હવે ભાવનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડાવવામાં આવે તેવી શક્યતા છે.