Ahmedabad : કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત, ZyCoV-D રસી અંગે જાણકારી મેળવી
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાતે આવ્યા હતા. અહીં, તેમણે તૈયાર થઇ રહેલી કોરોના વેક્સિન (ZyCoV-D ) અંગે માહિતી મેળવી હતી.
Ahmedabad : કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાતે આવ્યા હતા. અહીં, તેમણે તૈયાર થઇ રહેલી કોરોના વેક્સિન અંગે માહિતી મેળવી હતી. નોંધનીય છેકે ઝાયડસ કંપની દ્વારા હાલ ઝાયકોવ-ડી (ZyCoV-D )રસી તૈયાર કરવામાં આવી રહી છે. જે મામલે જાણકારી મેળવવા કેન્દ્રીય પ્રધાન કંપનીની મુલાકાતે આવ્યા હતા.
ઝાયડસ-કેડીલા કંપની ઝાયકોવ-ડી નામની DNA આધારિત રસી તૈયાર કરી રહી છે. જે વિશ્વની પહેલી ડીએનએ આધારિત રસી હોવાનું કહેવાઇ રહ્યું છે. ઝાયડસ કેડીલાની આ રસીના ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે આ રસી(ZyCoV-D )ની મંજુરીને લઇને પણ કંપની દ્વારા તૈયારીઓ કરી લેવાઇ છે. ત્યારે 12 વર્ષથી વધુ વયના તમામ લોકો માટે ઉપયોગી આ રસી માટે DGCI પાસે મંજૂરી માગવામાં આવી છે. જો આ રસી(ZyCoV-D )ને મંજૂરી મળી જશે તો કોરોના સામેની લડાઇમાં દેશને ઘણો જ ફાયદો થશે.
ZyCoV-D અમદાવાદ સ્થિત ઝાયડસ કૅડિલા ફાર્મા કંપની દ્વારા તૈયાર કરાઇ રહી છે. મળતા અહેવાલો પ્રમાણે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા ટૂંક સમયમાં આ રસીની મંજૂરી સંદર્ભે નિર્ણય લઈ શકે છે.
ઝાયડસ કૅડિલા અનુસાર આ રસીનું 28,000 લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યું છે, જે અત્યાર સુધીની સૌથી મોટી ક્લિનિકલ ટ્રાયલ છે. ટ્રાયલમાં 12-18 વર્ષનાં બાળકો સહિત દરેક ઉંમરના લોકોને સામેલ કરાયા છે.
ઝાયડસ કૅડિલા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે 28 દિવસની અંદર ત્રણ ડોઝ આપવામાં આવશે. અત્યારે ભારતમાં લોકોને કોવિશિલ્ડ, કોવૅક્સિન અને સ્પુતનિક રસી આપવામાં આવી રહી છે, જેમાં દરેક લોકોને બે ડોઝ આપવામાં આવે છે. કંપની અનુસાર ZyCoV-D એક ઇન્ટ્રા-ડર્મલ વૅક્સિન છે એટલે કે આ કોરોના રસી આપવા માટે ઇન્જેક્શનની જરૂર પડતી નથી.