TOKYO OLYMPICS 2020: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો જનારા ખેલાડીઓ સાથે કરી વાત, ગુજરાતને આમ કહી કર્યુ યાદ
વડાપ્રધાન મોદી (PM Modi)એ આ પહેલા એથલેટોને મન કી બાત કાર્યક્રમમાં યાદ કર્યા હતા. જેના દ્વારા દેશના લોકોને અપીલ કરી હતી કે ખેલાડીઓનો ઉત્સાહ વધારે, કાર્યક્રમમાં ગુજરાતી એથલેટને પણ યાદ કર્યા હતા.
ટોક્યો ઓલિમ્પિકસ (Tokyo Olympics)ના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ મંગળવારે સાંજે ટોક્યો ઓલિમ્પિકસમાં ભાગ લેનારા, એથ્લેટોને સંબોધિત કર્યા હતા. તેઓએ તમામ ખેલાડીઓને પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતુ. વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા પીએમ મોદીએ એથલેટો અને તેમના પરીવારો સાથે વાતચીત કરી હતી. પીએમ મોદી (PM Modi)એ કેટલાક એથલેટને વન ટુ વન વાતચીત કરી હતી અને તેમની પ્રેરણાત્મક સફર સહિતની બાબતોની વાતચીત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાતચીત દરમ્યાન ખેલાડીઓને કહ્યું હતુ કે તમારે અપેક્ષાઓના બોજ હેઠળ દબાઈ જવાનું જરુર નથી. તમે ફક્ત બસ તમારુ 100 ટકા યોગદાન આપો. આ કાર્યક્રમાં કેન્દ્રીય રમત ગમત પ્રધાન અનુરાગ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા. PM મોદીએ તીરંદાજીમાં વિશ્વમાં નંબર વન બનવા બદલ દિપીકા કુમારીને શુભેચ્છાઓ આપી હતી. તેઓએ પ્રવિણ જાદવના ઉત્સાહને પણ વધાર્યો હતો. જે ટ્રેક એન્ડ ફિલ્ડના એથલેટથી તીરંદાજ બન્યા હતા.
પીએમ મોદીએ એથલેટો સાથે વાતચીત દરમ્યાન ગુજરાતને યાદ કર્યુ હતુ. સાઉથ ઈન્ડીયન વતની અને અમદાવાદમાં ઉછરેલી ઈલાવેનીલ વાલારીવાન (Elavenil Valarivan)ને કેમ છો, કહીને વાતની શરુઆત કરી હતી. તેમણે પુછ્યુ હતુ કે ગુજરાતી આવડી ગઈ છે કે કેમ. સાથે જ તેઓએ કહ્યું હતુ કે તમે જ્યાં રહેતા હતા એ વિસ્તારમાં હું ધારાસભ્ય હતો મણીનગર ક્ષેત્રનો. એ દરમ્યાન સ્પોર્ટ સંકુલનું નિર્માણ કર્યુ હતુ, જ્યાં નાનકડી બાળકી રુપે શીખવા આવેલી બાળકીને મોટી જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો.
અમદાવાદની અંકિતા રૈનાને કરી યાદ
સાનિયા મિર્ઝા સાથે પણ PM નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. આ દરમ્યાન તેઓએ અમદાવાદની અંકિતા રૈનાને યાદ કરી હતી. સાનિયા મિર્ઝાને પૂછ્યુ હતુ કે અંકિતા અને આપ બંનેની ઓલિમ્પિકની તૈયારીઓ કેવી ચાલે છે. સાનિયાએ યુવા ખેલાડી અંકિતાની સાથેની વિમ્બલ્ડનના અનુભવને પણ શેર કર્યો હતો.
દુતી ચંદ અને મેરિકોમ સાથે વાતચીત
દુતી ચંદ સાથે વાત કરતા PM મોદીએ કહ્યુ હતુ, આપના નામનો મતલબ જ ચમક છે. આપ ઓલિમ્પિક માં છવાઇ જવા માટે તૈયાર છો. ખેલાડીઓ સાથે વાતચીત કરતા PM એ તેમના સફરની કહાની પણ સાંભળી હતી. ત્યાર બાદ તેઓએ ઓલિમ્પિક મેડલ વિજેતા અને વિશ્વ ચેમ્પિયન મેરિકોમ સાથે વાતચીત કરી હતી. મેરીકોમને તેઓએ પૂછ્યુ હતુ કે, તમારા ફેવરિટ ખેલાડી કોણ છે. જેની પર મેરિકોમ એ બોક્સિંગમાં તેમના ફેવરિટ ખેલાડી મહંમદ અલી ને બતાવ્યા હતા. જેના થી તેમને પ્રેરણા મળતી હોવાનુ કહ્યુ હતુ.
પીવી સિંધુને આપી શુભેચ્છાઓ
બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ સાથે વાત કરતા PM મોદીએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓએ કહ્યું હતુ કે, ટોક્યોમાં તમારી સફળતા બાદ હું પણ તમારી સાથે આઈસ્ક્રીમ ખાઈશ. પીએમ મોદીએ એ વાતને યાદ કરી હતી કે સિંધુના માતા પિતા તેને પ્રેકટીસ દરમ્યાન આઈસ્ક્રીમ ખાતા રોકતા હતા. આ માટે ફિટનેસનું કારણ દર્શાવતા હતા.
#cheer4india નામથી અભિયાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલાડીઓના ઉત્સાહને વધારવા માટે #cheer4india અભિયાન શરુ કર્યુ છે. ભારતીય ક્રિકેટરો પણ આ અભિયાન સાથે જોડાયા હતા અને ટોક્યો જનારા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પણ વાંચોઃ Sourav Ganguly: ક્રિકેટના ‘દાદા’ પર બનશે ફિલ્મ, આ બોલિવુડ સ્ટાર ગાંગુલીના પાત્રનો અભિનય કરશે