IPL 2024 : સુનીલ ગાવસ્કર સ્ટાર સ્પોર્ટ્સ પર થયા ગુસ્સે, લાઈવ શોમાં લગાવી ક્લાસ
સનરાઈઝર્સ હૈદરાબાદ સામે વિરાટ કોહલીની ધીમી ઈનિંગ્સની ટીકા થઈ હતી, ત્યારબાદ વિરાટે ગુજરાત સામે શાનદાર બેટિંગ કરી હતી અને પછી એક ઈન્ટરવ્યુમાં તેણે ટીકાકારોને જવાબ આપ્યો હતો કે તે લાંબા સમયથી રમી રહ્યો છે અને તેની રમતને સમજે છે. કોહલીની સ્ટ્રાઈક રેટને લઈ ભારતના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે પણ ટીકા કરી હતી, જોકે તેને વારંવાર ટેલિકાસ્ટ કરવામાં આવતા તેઓ ખૂબ જ ગુસ્સે થયા છે.
IPL 2024 માં, વિરાટ કોહલી સતત તેના બેટથી રન બનાવી રહ્યો છે અને તેથી તે સતત હેડલાઈન્સમાં રહે છે. માત્ર રન જ નહીં, પરંતુ તે અન્ય કારણોસર પણ સમાચારમાં રહે છે, જેમાં તેની ધીમી સ્ટ્રાઈક રેટ વિશે ઘણી વખત વાત કરવામાં આવી છે અને તેનાથી સંબંધિત એક ઈન્ટરવ્યુએ મહાન ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કરને ગુસ્સે કર્યા છે. ગાવસ્કરનો ગુસ્સો માત્ર વિરાટ કોહલી પર જ ન હતો, પરંતુ તેનાથી પણ વધારે તે ટૂર્નામેન્ટના બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ પર ગુસ્સે થયો હતો અને મેચ પહેલા તેણે ચેનલના લાઈવ શોમાં જ ઉગ્ર પ્રહારો કર્યા હતા.
સુનીલ ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સને આપી ચેતવણી
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શનિવારે 4 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચ પહેલા ગાવસ્કરનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. યોગાનુયોગ, વિરાટ કોહલીનો આ ઈન્ટરવ્યુ પણ બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી મેચ બાદ આવ્યો હતો. અમદાવાદમાં રમાયેલી મેચમાં કોહલીએ 44 બોલમાં 70 રનની અણનમ ઈનિંગ રમી હતી અને ટીમને જીત તરફ દોરી હતી. કોહલીએ આ મેચમાં સ્પિનરો પર જોરદાર નિશાન સાધ્યું હતું.
વિરાટ કોહલીએ શું કહ્યું?
આ મેચ પહેલા, સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કોહલીએ 43 બોલમાં માત્ર 51 રન બનાવ્યા હતા, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 118 હતો. આ પછી કોમેન્ટેટર્સથી લઈને ફેન્સ સુધી બધાએ કોહલીની આકરી ટીકા કરી અને તેની ધીમી બેટિંગ પર સવાલો ઉઠાવ્યા. ત્યારબાદ બેંગલુરુની જીત અને તેની જોરદાર ઈનિંગ્સ બાદ કોહલીએ સ્ટાર સ્પોર્ટ્સ સાથેની મુલાકાતમાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. કોહલીએ કહ્યું હતું કે કોમેન્ટ્રી બોક્સમાં બેસીને લોકો તેની સ્ટ્રાઈક રેટ અને સ્પિનરો સામે તેની રમત પર સવાલ ઉઠાવે છે પરંતુ તે જાણે છે કે તે શું કરી રહ્યો છે.
વારંવાર ઈન્ટરવ્યુ ચલાવવાથી ગુસ્સે થયા
આ ઈન્ટરવ્યુ માટે સોશિયલ મીડિયા પર કોહલીની ઘણી ટીકા પણ થઈ હતી. ત્યારથી આ ઈન્ટરવ્યુ સ્ટાર સ્પોર્ટ્સ પર ઘણી વખત ટેલિકાસ્ટ કરવામાં આવ્યો છે. શનિવારે ટોસ પહેલા પણ આ ઈન્ટરવ્યુ થઈ રહ્યો હતો અને તે દરમિયાન પ્રી-મેચ શોમાં હાજર સુનીલ ગાવસ્કર ગુસ્સે થઈ ગયા હતા. તેણે સીધું સ્ટાર સ્પોર્ટ્સ અને કોહલી પર નિશાન સાધ્યું હતું. ગાવસ્કરે કહ્યું કે તે મેચમાં કોહલીએ જે લોકોને નિશાન બનાવ્યા તે સ્ટાર સ્પોર્ટ્સ માટે કોમેન્ટ્રી કરી રહ્યા હતા.
સ્ટાર સ્પોર્ટ્સને આપવામાં આવી ચેતવણી
તેણે કહ્યું કે શું સ્ટાર સ્પોર્ટ્સ તેના કોમેન્ટેટર્સને વારંવાર તે ઈન્ટરવ્યુ ચલાવીને અપમાનિત કરવા માંગે છે? ગાવસ્કરે કહ્યું કે કોહલીની ટીકા એટલા માટે થઈ હતી કારણ કે તે 14-15મી ઓવરમાં 118ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો હતો અને તેથી તેની બેટિંગ પર સવાલો ઉભા થઈ રહ્યા હતા. તેણે ચેનલને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો તે ઈન્ટરવ્યુ ફરીથી પ્રસારિત કરવામાં આવશે તો તે ખૂબ જ નિરાશ થશે. લગભગ 5 મિનિટ સુધી ગાવસ્કરના આ તીક્ષ્ણ શબ્દો પછી પ્રખ્યાત એન્કર મયંતી લેંગર બિન્નીએ કહ્યું કે આ બાબતનું ધ્યાન રાખવામાં આવશે.
આ પણ વાંચો : IPL 2024 : ગુજરાત સામે કોહલીની 151ની બેટિંગ એવરેજ, વિરાટને રોકવું ગુજરાતના બોલરો માટે મોટો પડકાર