BCCI ના વર્તનથી સૌરવ ગાંગુલી દુઃખી, દાદા પોતાની નિરાશા છુપાવી ના શક્યા
સૌરવ ગાંગુલી (Sourav Ganguly), જય શાહ (Jay Shah) અને અરુણ ધૂમલ 2019માં BCCI ના ત્રણ સૌથી મહત્વપૂર્ણ હોદ્દા પર હતા, પરંતુ ત્રણ વર્ષ પછી માત્ર શાહ અને ધૂમલ જ બોર્ડમાં પોતાનું સ્થાન જાળવી શક્યા છે.
જેમ કે ત્રણ વર્ષ પહેલા, અંતિમ સમયે સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ એન્ટ્રી મારીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (Board Of Control For Cricket In India) ના પ્રમુખનું પદ પોતાના નામે કરી લીધું હતું. હવે ત્રણ વર્ષ પછી, લગભગ એ જ રીતે, છેલ્લી ક્ષણે, ગાંગુલીએ પણ આગામી ત્રણ વર્ષ સુધી આ પદ પર રહેવાની તક ગુમાવી દીધી. BCCI એ છેલ્લા કેટલાક દિવસોમાં ઝડપી પરિવર્તન બાદ વર્તમાન પ્રમુખ ગાંગુલીને છોડવાનો નિર્ણય લીધો છે અને તેનાથી પૂર્વ ભારતીય કેપ્ટન ખૂબ જ નિરાશ થયા છે.
24 ઓક્ટોબર 2019 ના રોજ, ગાંગુલી પ્રથમ વખત BCCI ના પ્રમુખ બન્યા. ત્યારબાદ તેમની સાથે જય શાહે સેક્રેટરી અને અરુણ ધૂમલ ટ્રેઝરર જેવા મહત્વના પદો હાંસલ કર્યા હતા. ગાંગુલી અને શાહના નેતૃત્વ હેઠળ, બીસીસીઆઈએ સુપ્રીમ કોર્ટમાં કેસ લડ્યો અને થોડા અઠવાડિયા પહેલા આ કેસ જીતીને બોર્ડને સતત 6 વર્ષ (3+3) સુધી સત્તામાં રહેવાનો માર્ગ સાફ કરી દીધો, પરંતુ પછી ગાંગુલીએ એવું નહીં વિચાર્યુ હોય કે, થોડા દિવસોમાં તેને બીસીસીઆઈની પીચ પર આવા ઘાતક યોર્કરનો સામનો કરવો પડશે.
દિવસભર ગાંગુલી તેની ઓફિસમાં જ રહ્યા
એક મીડિયા અહેવાલ મુજબ, તાજેતરના દિવસોમાં જે રીતે તેમને બોર્ડમાં સાઇડલાઈન કરવામાં આવ્યા હતા અને જે રીતે તેમને ફરીથી અધ્યક્ષ બનવાની તક આપવામાં આવી ન હતી, તેનાથી ગાંગુલી ખરાબ રીતે નિરાશ થયા હતા. અહેવાલ મુજબ, મંગળવાર, 11 ઓક્ટોબરના રોજ, જ્યારે મુંબઈમાં બીસીસીઆઈ મુખ્યાલયમાં પદો માટે નામાંકન પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે ગાંગુલી આખો દિવસ તેમની ઓફિસમાં બેઠા હતા અને સાંજે બધાને વિદાય કર્યા પછી જ ત્યાંથી સીધા જ પોતાની કારમાં નિકળી પડ્યા હતા.
બોર્ડના એક સભ્યને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગાંગુલી મંગળવારે ઓફિસમાં ખૂબ જ નિરાશ અને હતાશ જોવા મળ્યો હતો. એટલું જ નહીં, તેણે નવા પ્રમુખ માટે રોજર બિન્નીના નોમિનેશનમાં પણ ભાગ લીધો ન હતો, આ પહેલાના અગાઉના વર્ષોમાં થતુ આવ્યુ હતું.
ખરાબ પ્રદર્શન માટે ગાંગુલીની ટીકા થઈ હતી
ગાંગુલી સિવાય જય શાહ સતત બીજી વખત સેક્રેટરી તરીકે પરત ફરવાના છે. તે જ સમયે, અરુણ ધૂમલ ખજાનચીની જગ્યા છોડીને IPLના અધ્યક્ષની જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, ગાંગુલીને IPL ચેરમેનની જવાબદારી ઓફર કરવામાં આવી હતી, પરંતુ ગાંગુલીએ તેનો ઇનકાર કરી દીધો હતો. આટલું જ નહીં, બોર્ડની તાજેતરની બેઠકોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે અધ્યક્ષ તરીકે ગાંગુલીનું પ્રદર્શન અપેક્ષાઓ મુજબનું નથી, જેના કારણે કોઈ તેમને ફરીથી તક આપવા તૈયાર નથી.