Breaking News: મેચનો હીરો ‘વરુણ ચક્રવર્તી’ ઈજાગ્રસ્ત, શું આગામી મેચોમાં ટીમનો સાથ આપી શકશે?
સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ શાનદાર જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે પરંતુ આ જીત સાથે ટીમને મોટો ફટકો પણ પડ્યો છે. ટીમનો મુખ્ય સ્પિનર વરુણ ચક્રવર્તી બોલિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે ફેન્સમાં ચિંતા જોવા મળી રહી છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના સ્પિનર વરુણ ચક્રવર્તીને રવિવારે (3 મે) રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે બોલિંગ કરતી વખતે પગમાં ઈજા થઈ હતી, જેના કારણે આ સીઝનની બાકીની મેચોમાં તેની ઉપલબ્ધતાને લઈને ચિંતા વધી ગઈ છે. જો કે, મેચ પછી KKR એ 7 વિકેટે જીતી લીધી હતી અને ચક્રવર્તીએ વિશ્વાસ અપાવ્યો હતો કે, તે થોડા દિવસોમાં ‘ઠીક’ થઈ જશે.
આ ઘટના ક્યારે બની?
આ ઘટના પ્રથમ ઇનિંગની 12મી ઓવરના પહેલા બોલે બની હતી. ઇશાન કિશને એક ફૂલ લેન્થ બોલ સીધો બોલર તરફ જોરથી ફટકાર્યો હતો અને ચક્રવર્તીએ બાઉન્ડ્રી રોકવા માટે પોતાનો પગ વચ્ચે લગાવ્યો હતો. જો કે, તે દરમિયાન ચક્રવર્તી ખૂબ જ પીડામાં દેખાતો હતો પરંતુ તેણે રમવાનું ચાલુ રાખ્યું અને પોતાના સ્પેલના બાકીના 11 બોલ પણ ફેંક્યા હતા. તેણે 3/36 ના શાનદાર આંકડા સાથે પોતાનો સ્પેલ પૂરો કર્યો, જેનાથી ‘KKR’ IPL ના ઇતિહાસમાં 650 થી વધુ T20 વિકેટ મેળવનારી પ્રથમ ટીમ બની ગઈ.
ચક્રવર્તી લંગડાતા પગે ધીમે ધીમે બ્રોડકાસ્ટર અંજુમ ચોપરા પાસે પહોંચ્યો અને પોતાનો ‘પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડ સ્વીકાર્યો. ચક્રવર્તીએ કહ્યું કે, “આ ફક્ત ઈજાના કારણે થતો દુખાવો છે. અત્યારે પણ હું પગ પૂરો જમીન પર મૂકી શકતો નથી પરંતુ 3 દિવસમાં સાજો થઈ જઈશ. કિશને શોટ ખૂબ જ ઝડપથી ફટકાર્યો હતો અને મારે તે શોટને રોકવો હતો.”
‘દિલ્હી કેપિટલ્સ’ KKR નો મુકાબલો
KKR હવે 8 મેના રોજ દિલ્હી કેપિટલ્સ સામે રમવા માટે દિલ્હી જશે. ચક્રવર્તીએ મેળવેલી ત્રણેય વિકેટ ખૂબ જ ખાસ હતી. ચક્રવર્તી ટીમને લીગમાં સતત ત્રીજી જીત મેળવતા જોઈને ખૂબ જ ખુશ હતો. ચક્રવર્તીએ કહ્યું કે, “ખેલાડીઓ એકબીજાને સાથ આપી રહ્યા છે, બેટિંગ કરનારા ખેલાડીઓ પણ એકબીજાને ટેકો આપી રહ્યા છે. બેટ્સમેનોને આ રીતે મેચ પૂરી કરતા જોતા ખૂબ જ સારું લાગ્યું. મને ટીમમાં ઘણી બધી સકારાત્મક ઊર્જા જોવા મળી રહી છે. જો અમે આ જ રીતે રમતા રહીશું, તો IPL માં કમાલ કરી શકીશું”.
