IPL 2023 બાદ પણ ટીમ ઈન્ડિયાને નહીં હોય નવરાશ, વ્યસ્ત શેડ્યૂલમાં વધુ 5 મેચનુ આયોજન
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ હવે બે મહિના સુધી IPL 2023 માં વ્યસ્ત રહેશે. આ દરમિયાન ટૂર્નામેન્ટમાં ધૂમ મચાવશે પરંતુ ત્યાર બાદ ભારતીય ખેલાડીઓને આરામ નહીં હોય. ભારતીય ટીમ WTC Final ઉપરાંત વધુ એક પ્રવાસ ખેડશે.
IPL 2023 ની શરુઆત સાથે જ ભારત જ નહીં પરંતુ દુનિયાભરના ક્રિકેટરો વ્યસ્ત થઈ જશે. આગામી બે મહિના ક્રિકેટરો ભારતમાં ધૂમ મચાવશે અને ખૂબ રોમાંચ આ દરમિયાન ક્રિકેટ રસિયાઓને જોવા મળશે. આ બે મહિના ભારતીય ટીમના ખેલાડીઓ ખૂબ વ્યસ્ત રહશે. ટૂર્નામેન્ટ પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ઘરેલુ સિરીઝમાં વ્યસ્ત હતી અને ટૂંકા સમયમાં હવે આઈપીએલ શરુ થવાની હોઈ તેની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. જોકે આ બે મહિના લીગમાં વ્યસ્ત રહ્યા બાદ ફરીથી ભારતીય ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટનુ શેડ્યૂલ પણ ખૂબ જ વ્યસ્ત રહેનારુ છે.
ભારતીય ટીમના આંતરરાષ્ટ્રીય ક્રિકેટના શેડ્યૂલમાં નવી કેટલીક મેચો જોડવામાં આવી છે. આ આયોજન WTC Final બાદ માટેનુ કરવામાં આવ્યુ છે. ભારતીય ટીમ IPL બાદ તુરત લંડનના ઓવરમાં રમાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં રમવા માટે પહોંચનારી છે. જ્યાં 7 થી 11 જૂન સુધી ટેસ્ટ મેચ રમાશે. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા આમને સામને થશે.
જૂનમાં ODI શ્રેણી
મીડિયા રિપોર્ટસનુસાર ભારતીય ટીમ ઓવલમાં રમાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ બાદ તુરત જ જૂન મહિનામાં એક વનડે સિરીઝ પણ રમશે. જેના આયોજનનો પ્રયાસ જારી છે. ઓક્ટોબરમાં રમાનારા વનડે વિશ્વકપને લઈ ભારતીય બોર્ડ દ્વારા તૈયારીઓના ભાગ રુપે આંતરરાષ્ટ્રીય વનડે શ્રેણીનુ આયોજન ઘડી રહ્યુ છે. આ આયોજનમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાન બોર્ડ સાથે પણ વાતચિત ચાલી રહી છે. જોકે આ વાતચિત દરમિયાન હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય થયો નથી.
જુલાઈ-ઓગષ્ટમાં વધુ મેચના આયોજન
આ સિવાય પણ ભારતીય બોર્ડ દ્વારા ટીમ ઈન્ડિયા માટે વધુ આયોજન કરવામાં આવી રહ્યા છે. જે મુજબ ભારતીય ટીમ જુલાઈ-ઓગષ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ ખેડશે, ત્યારે તેમાં કેટલીક વધારે મેચ રમવાનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ માટે ભારત અને વેસ્ટઈન્ડિઝના ક્રિકેટ બોર્ડ વચ્ચે સહમતિ પણ થઈ ગઈ છે. જોકે આ અંગે હજુ સુધી અધિકૃત રીતે કોઈ એલાન કરવામાં આવ્યુ નથી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન નિર્ધારીત શેડ્યૂલ કરતા વધુ બે ટી20 મેચ રમશે. આ સિવાય 3 મેચોની વનડે સિરીઝમાં ભારતીય ટીમ 2 વધારે વનડે મેચ રમશે. પ્રવાસ દરમિયાન ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ મેચ રમાનારી છે. આમ પ્રવાસ દરમિયાન કુલ 10 મેચોનુ આયોજન કરવામાં આવ્યુ છે.