IND VS SA: કેએલ રાહુલ-કુલદીપ યાદવ T20 સિરીઝમાંથી બહાર, ઋષભ પંત કેપ્ટન, હાર્દિક પંડ્યા વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત
ભારતે દક્ષિણ આફ્રિકા સામે પાંચ T20 મેચોની સિરીઝ રમવાની છે, જે ગુરુવારથી શરૂ થઈ રહી છે. હવે કેએલ રાહુલની કેપ્ટનશીપ નહીં કરે જેની જગ્યાએ ઋષભ પંત (Rishabh Pant) કરશે.
સાઉથ આફ્રિકા સામે ટી20 સિરીઝ શરૂ થવાના 24 કલાક પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન કેએલ રાહુલ ઈજાના કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. એટલું જ નહીં, કુલદીપ યાદવ પણ ઈજાગ્રસ્ત થયો છે અને તે પણ હવે આ સિરીઝમાં નહીં રમે. તમને જણાવી દઈએ કે કેએલ રાહુલની જગ્યાએ વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને (Rishabh Pant) ટીમની કમાન સોંપવામાં આવી છે. બીજી તરફ હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કેએલ રાહુલને (KL Rahul) સ્નાયુમાં ખેંચ છે, તેને ગ્રોઈન ઈન્જરી થઈ છે. બીજી તરફ કુલદીપ યાદવના જમણા હાથ પર ઈજા છે. તે બેટિંગ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.
ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી
રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા મોટા ખેલાડીઓ વિના ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં પહેલાથી જ ઉતરી રહી છે અને હવે કેએલ રાહુલનું ઈજાના કારણે બહાર થવું તેના માટે મુશ્કેલીનું કારણ બની ગયું છે. કુલદીપ યાદવ પણ સારા ફોર્મમાં હતો, આ બોલરે IPL 2022માં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
NEWS 🚨- KL Rahul and Kuldeep Yadav ruled out of #INDvSA series owing to injury.
The All-India Senior Selection Committee has named wicket-keeper Rishabh Pant as Captain and Hardik Pandya as vice-captain for the home series against South Africa @Paytm #INDvSA
— BCCI (@BCCI) June 8, 2022
રાહુલ અને કુલદીપ યાદવના સ્થાને આવનાર ખેલાડીઓના નામની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. રાહુલ અને કુલદીપ યાદવને બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં મોકલવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ T20 મેચોની સિરીઝ ગુરુવારથી શરૂ થઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ દિલ્હીમાં રમાશે.
કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં હતો
કેએલ રાહુલનું બહાર થવું ટીમ ઈન્ડિયા માટે મોટા ઝટકા સમાન છે. આ જમણા હાથનો બેટ્સમેન શાનદાર ફોર્મમાં હતો. IPL 2022માં રાહુલે 51.33ની એવરેજથી 616 રન બનાવ્યા હતા. જેમાં 2 સદી અને 4 અડધી સદી તેના બેટથી આવી હતી. બીજી તરફ, કેએલ રાહુલનું બહાર થવું એ ઋષભ પંત અને હાર્દિક પંડ્યા માટે મોટી તક છે. જો ટીમ ઈન્ડિયા આ સિરીઝ મોટા ખેલાડીઓ વિના જીતી જાય છે તો તેનાથી વિશ્વ ક્રિકેટમાં પંત-પંડ્યાનો દરજ્જો વધશે.
T20I સિરીઝ માટેની ભારતીય ટીમઃ ઋષભ પંત (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), વેંકટેશ ઐયર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.