T20 WC Breaking : પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયું, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
શ્રીલંકાએ પાકિસ્તાનને T20 વર્લ્ડ કપમાંથી બહાર કરી દીધું. પાકિસ્તાને શ્રીલંકાને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને સેમિફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાને શ્રીલંકાને 147 કે તેથી ઓછા સ્કોર સુધી રોકવાનું હતું, પરંતુ શ્રીલંકાએ આ સ્કોર વટાવી દીધો, જે બાદ મેચમાં જીત છતાં પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું. પાકિસ્તાનના બહાર થવાથી ન્યુઝીલેન્ડને સેમિફાઇનલમાં ટિકિટ મળી ગઈ છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમ 2026 T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. તેમની અંતિમ સુપર 8 મેચમાં, પાકિસ્તાનને શ્રીલંકા સામે મોટા વિજયની જરૂર હતી. જોકે, ટૂર્નામેન્ટમાંથી પહેલાથી જ બહાર થઈ ગયેલા યજમાન શ્રીલંકાએ પાકિસ્તાનની આશાઓ પર પાણી ફેરવી દીધું.
મેચ જીતી પણ ટુર્નામેન્ટમાંથી થયું બહાર
શ્રીલંકા સામે સુપર 8 ની પોતાની અંતિમ મેચમાં શ્રીલંકા મેચ તો જીતી ગયું હતું, પરંતુ ટીમની સેમિફાઈનલમાં ક્વોલિફાય થવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. પાકિસ્તાન શ્રીલંકાને નિર્ધારિત જરૂરી રનની અંદર રોકી ના શક્યું અને પાકિસ્તાન સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગયું હતું.
ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
પાકિસ્તાનના બહાર થવાથી ન્યુઝીલેન્ડ ફાયદો થયો છે. ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનના 3-3 પોઈન્ટ થયા હતા પણ નેટ રેટના આધારે ન્યુઝીલેન્ડ પાકિસ્તાનથી આગળ રહ્યું હતું. પાકિસ્તાનના બહાર થવાથી ન્યુઝીલેન્ડને સેમિફાઇનલમાં ટિકિટ મળી ગઈ. ન્યુઝીલેન્ડ ગ્રુપ 2 માંથી સેમિફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ બની હતી. આ સાથે T20 વર્લ્ડ કપની ત્રણ સેમિફાઇનલ ટીમો નક્કી થઈ ગઈ છે.
શ્રીલંકાએ પાકિસ્તાનની આશાઓ પર પાણી ફેરવ્યું
શ્રીલંકાના પલ્લેકેલેમાં સુપર 8 ના પોતાના અંતિમ મુકાબલામાં પાકિસ્તાનને ઓછામાં ઓછા 65 રનના માર્જિનથી વિજયની જરૂર હતી. પહેલા બેટિંગ કરતા સલમાન આગાની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 212 રનનો જબરદસ્ત સ્કોર બનાવ્યો હતો. આ સ્કોર પછી, પાકિસ્તાનને સેમિફાઇનલમાં સ્થાન મેળવવા અને ન્યુઝીલેન્ડના નેટ રન રેટમાં સુધારો કરવા માટે શ્રીલંકાને 147 રન સુધી મર્યાદિત રાખવાની જરૂર હતી, પરંતુ શ્રીલંકાના બેટ્સમેનોએ તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું.
સાહિબજાદા ફરહાનની સદી
પાકિસ્તાન માટે, સાહિબજાદા ફરહાને ફરી એકવાર વિસ્ફોટક બેટિંગ દર્શાવી, ટુર્નામેન્ટમાં તેની બીજી સદી ફટકારી. આ વખતે તેણે ફખર ઝમાન સાથે ઇનિંગની શરૂઆત કરી અને બંનેએ 176 રનની ધમાકેદાર ભાગીદારી કરી. પરંતુ જ્યારે એવું લાગતું હતું કે પાકિસ્તાની ટીમ આરામથી 240-250 સુધી પહોંચી જશે, ત્યારે ફખર આઉટ થયો, જે બાદ ટીમ છેલ્લી ચાર ઓવરમાં માત્ર 35 રન જ બનાવી શકી.
રસાકસીભરી મેચ
આ સ્કોર સાથે, બોલરો પર શ્રીલંકાને 147 રન સુધી રોકવાની જવાબદારી હતી, અને નસીમ શાહે બીજી ઓવરમાં ઓપનર પથુમ નિસાન્કાને આઉટ કરીને ઇનિંગ્સની શરૂઆત સારી કરી. ટીમે ટૂંક સમયમાં 33 રનના સ્કોર પર પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી. જોકે, શ્રીલંકાના બેટ્સમેનોએ વળતો હુમલો કર્યો અને ઇનિંગને સ્થિર કરી. જોકે, સ્પિનર અબરાર અહેમદે કમિન્ડુ મેન્ડિસ અને ચરિથ અસલંકાની વિકેટ લઈને પોતાની ટીમની આશાઓ વધારી.
શ્રીલંકા 147 રનથી આગળ નીકળી ગયું
શ્રીલંકાએ 12 ઓવરમાં 101 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી, જેનાથી એવું લાગતું હતું કે પાકિસ્તાની બોલરો કમાલ કરશે. પરંતુ શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા અને પવન રત્નાયકે મળીને પાકિસ્તાની બોલરોને ધોઈ નાખ્યા અને ટીમને સરળતાથી 147 રનથી આગળ લઈ જઈને પાકિસ્તાનને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું.
પાકિસ્તાનને 5 રનથી શ્રીલંકાને હરાવ્યું
રત્નાયકે અડધી સદી ફટકારી, જ્યારે શનાકાએ શ્રીલંકાની ટીમને જીતની નજીક લાવી. અંતિમ ઓવરમાં, શનાકાએ શાહીન આફ્રિદીના બોલ પર સતત ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને ખળભળાટ મચાવ્યો. જોકે, શાહીન કોઈક રીતે છેલ્લા બે બોલ પર તેને રોકી રાખવામાં સફળ રહ્યો, જેનાથી પાકિસ્તાનને 5 રનથી વિજય મળ્યો.
