આજે ઝિમ્બાબ્વે સામે હારી જઈએ તો શું વર્લ્ડ કપમાંથી બહાર થઈ જઈશું ? સમજો જો અને તો…નું ગણિત
ભારત આજે ઝિમ્બાબ્વે સામે હારી જાય તો પછી T20 વર્લ્ડ કપની સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ જઈશું કે નહીં ? શું ઝિમ્બાબ્વે સામેની હાર ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ 2026માંથી બહાર કરી દેશે ? સુપર-8ના ગણિત અને સેમિફાઇનલ માટેના સમીકરણો અહીંયા સમજો. જો સિકંદર રઝાની ટીમ ચેન્નાઈમાં આજે અપસેટ સર્જીને ભારતને હરાવે છે, તો બીજી બાજુ દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝના પરિણામો ભારતનું ભાવિ કેવી રીતે નક્કી કરશે ? પોઈન્ટ ટેબલ અને સંપૂર્ણ નેટ રન-રેટ વિશ્લેષણ અહીં જુઓ.

આજે ગુરુવારે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે યોજાનારી ભારત વિરુદ્ધ ઝિમ્બાબ્વે મેચ હવે નોકઆઉટ બની ગઈ છે. અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાયેલ દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં કારમી હાર બાદ ટીમ ઈન્ડિયાનો સેમિ ફાઈનલ સુધી પહોચવાનો માર્ગ મુશ્કેલ બની ગયો છે. જો સિકંદર રઝાની આગેવાની હેઠળની ઝિમ્બાબ્વે ટીમ ચેન્નાઈમાં અપસેટ સર્જવામાં સફળ રહે છે, તો સૂર્યકુમાર યાદવની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થવાના લગભગ આરે પહોચી હશે. જોકે, ભારતનું ભાગ્ય ફક્ત તેની જીત પર જ નહીં, પણ વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચના પરિણામ ઉપર પણ નિર્ભર છે. શું ટીમ ઈન્ડિયા આ જો-અને- તો ના સંજોગોમાંથી બહાર નીકળીને સેમિફાઇનલમાં સ્થાન મેળવશે, કે પછી અત્યાર સુધીની પરંપરા મુજબ ડિફેન્ડિંગ ચેમ્પિયન વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે ? પોઈન્ટ ટેબલનું સંપૂર્ણ ગણિત સમજો.
જો ઝિમ્બાબ્વે આજે સાંજે ચેન્નાઈમાં ભારતને હરાવે છે, અને પછી વેસ્ટ ઈન્ડિઝ આજે બપોરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાને હરાવે છે, તો ભારત ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. વેસ્ટ ઈન્ડિઝની જીતથી તેઓ 4 પોઈન્ટ પર પહોંચી જશે. જ્યારે દક્ષિણ આફ્રિકા 2 પોઈન્ટ પર રહેશે, અને ઝિમ્બાબ્વે પણ ભારતને હરાવીને 2 પોઈન્ટ મેળવશે. આ સંજોગોમાં ભારત 0 પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહેશે. આવી સ્થિતિમાં, જો ભારત તેની છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવે છે, તો પણ તેના વધુમાં વધુ 2 જ પોઈન્ટ રહેશે. દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે તેમની છેલ્લી મેચમાં એકબીજા સાથે રમવાના હોવાથી, તેમાંથી એક જીત તેમને 2 પોઈન્ટ આપશે જ્યારે બીજાને 2 પોઈન્ટથી પાછળ છોડી દેશે.
હાર પછી પણ ટીમ ઈન્ડિયાની આશાઓ કેવી રીતે જીવંત રહેશે ?
જો ભારત ઝિમ્બાબ્વે સામે હારી જાય, પણ દક્ષિણ આફ્રિકા વેસ્ટ ઈન્ડિઝને હરાવે, તો સેમિફાઇનલના દરવાજા ભારત માટે બંધ નહીં થાય. દક્ષિણ આફ્રિકા જીતવાથી તેમના 4 પોઈન્ટ થઈ જશે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેના 2-2 પોઈન્ટ સાથે બરાબર થઈ જશે. જો દક્ષિણ આફ્રિકા પણ તેમની અંતિમ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવે છે, તો તેઓ 6 પોઈન્ટ સાથે ટોચ પર રહેશે. આ કિસ્સામાં, ઝિમ્બાબ્વે 2 પોઈન્ટ પર અટકી જશે. જો ભારત રવિવારે કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝને હરાવે છે, તો ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે દરેકના 2 પોઈન્ટ હશે.
આવી સ્થિતિમાં સેમિ ફાઈનલમાં પહોચવા માટેનો આખરી નિર્ણય નેટ રન રેટ (NRR) પર આધારિત હશે. હાલમાં, ઝિમ્બાબ્વે સામેની મેચ પૂર્વે ભારતનો NRR (-3.800) ઘણો ખરાબ છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ (+5.350) મજબૂત સ્થિતિમાં છે. જોકે, વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સતત બે હાર તેમનો રન રેટ ઘટાડી શકે છે, જેનાથી ભારત માટે એક આશા ઊભી થઈ શકે છે. બીજી એક પરિસ્થિતિ એવી સર્જાઈ શકે છે કે, જ્યાં ભારત બહાર થઈ શકે છે. જો દક્ષિણ આફ્રિકા વેસ્ટ ઈન્ડિઝને હરાવે છે, પરંતુ ઝિમ્બાબ્વે તેની બાકીની બંને મેચ (ભારત અને દક્ષિણ આફ્રિકા સામે) જીતી જાય છે, તો ઝિમ્બાબ્વે 4 પોઈન્ટ સાથે આગળ વધશે. આવી સ્થિતિમાં, વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યા પછી પણ ભારત બહાર થઈ જશે, કારણ કે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેના ભારત કરતા વધુ પોઈન્ટ હશે.