Happy Birthday Harbhajan Singh: હરભજન સિંહ ટ્રક ડ્રાઈવર બનવા માંગતો હતો, બહેનોના કારણે બદલાયું નસીબ
Cricket : ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહનો આજે 42મો જન્મદિવસ છે. ટર્બોનેટર તરીકે જાણીતા ભજ્જીએ તેની કારકિર્દીમાં 417 ટેસ્ટ, 269 વનડે અને 25 ટી20 વિકેટ લીધી હતી.
એ બોલર જેની સ્પિનથી તે સમયની ઓસ્ટ્રેલિયાની ખૂબ જ મજબૂત ગણાતી ટીમને બેકફુટ પર ધકેલી દીધી હતી. એ સ્પિનર જેણે મહાન બેટ્સમેન રિકી પોન્ટિંગને પણ ધોબી પછાડ આપી હતી. વાત થઈ રહી છે ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે પ્રથમ હેટ્રિક લેનાર બોલર હરભજન સિંહ (Harbhajan Singh Birthday) ની, જેનો આજે 42 મો જન્મદિવસ છે. 3 જુલાઈ, 1980ના રોજ જલંધરમાં જન્મેલા હરભજન સિંહ (Harbhajan Singh) એ ભારત માટે 103 ટેસ્ટ, 236 વનડે અને 28 ટી-20 રમી હતી. હરભજન સિંહના નામે ટેસ્ટમાં 417 વિકેટ છે. વનડેમાં 269 વિકેટ છે અને T20 ઈન્ટરનેશનલમાં 25 વિકેટ છે. હરભજન સિંહની કારકિર્દીની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે તેણે 2007માં T20 વર્લ્ડ કપ અને 2011માં વર્લ્ડ કપ જીત્યો છે. પરંતુ શું તમે જાણો છો કે એક સમય એવો હતો જ્યારે હરભજન સિંહે ક્રિકેટ છોડીને ટ્રક ડ્રાઈવર બનવાનો નિર્ણય લીધો હતો.
વર્ષ 1998 માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરનાર હરભજન સિંહને માત્ર દોઢ વર્ષ બાદ જ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તે સમયે અનિલ કુંબલે (Anil Kumble) ટીમ ઈન્ડિયા (Team India) નો સ્ટાર સ્પિનર હતો અને તેની ગેરહાજરીમાં અન્ય સ્પિનરોને તક મળી રહી હતી. હરભજન સિંહ તકના અભાવે નિરાશ થઈ ગયો હતો અને આ દરમિયાન તેના પિતાનું દેહાંત થઇ ગયું હતું. વર્ષ 2000માં હરભજન સિંહના પિતાનું અવસાન થયું અને તે પછી પરિવાર ચલાવવાની જવાબદારી આ 21 વર્ષના ખેલાડી પર આવી ગઈ. હરભજન સિંહને તેની માતા અને પાંચ બહેનોનું ધ્યાન રાખવાનું હતું અને તેની પાસે ન તો કોઈ નોકરી હતી અને ન તો તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી રહી હતી.
ટ્રક ડ્રાઇવર બનવાનો નિર્ણય કર્યો
હરભજન સિંહે પરિવાર ચલાવવા માટે ક્રિકેટ છોડીને ટ્રક ડ્રાઈવર બનવાનું નક્કી કર્યું. તે કેનેડા જઈને ટ્રક ચલાવવા માંગતો હતો. જોકે હરભજન સિંહને તેની બહેનોએ આમ કરતા અટકાવ્યો હતો. પરિવારે તેને ક્રિકેટ પર વધુ મહેનત કરવાની સલાહ આપી. જેના પછી એક ચમત્કાર થયો. હરભજન સિંહે વર્ષ 2000 રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને 5 મેચમાં 13.96ની એવરેજથી 28 વિકેટ લીધી હતી. આ પ્રદર્શન બાદ હરભજન સિંહ વર્ષ 2001 માં ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો અને ત્યાર બાદ આ સ્પિનરે ઈતિહાસ રચ્યો.
ઓસ્ટ્રેલિયા પર હરભજનસિંહે તબાહી મચાવી હતી
વર્ષ 2001 માં ઓસ્ટ્રેલિયન ટીમ ભારતના પ્રવાસે આવી હતી અને હરભજન સિંહે ટેસ્ટ શ્રેણીમાં હંગામો મચાવ્યો હતો. કુંબલેની ઈજા બાદ હરભજન સિંહને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ મેચ હારી હતી. જેમાં તેણે ચાર વિકેટ લીધી હતી. આગામી બે ટેસ્ટ મેચોમાં હરભજન સિંહે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો પર તબાહી મચાવી હતી. હરભજને બીજી ટેસ્ટમાં 13 અને ત્રીજી ટેસ્ટમાં 15 વિકેટ ઝડપી હતી. હરભજન સિંહે શ્રેણીમાં 32 વિકેટ લીધી અને ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય ક્રિકેટર પણ બન્યો. આ શ્રેણીમાંથી તેને ટર્બોનેટર નામ મળ્યું.
હરભજનસિંહની કારકિર્દીની ચોકાવનારી વાતો
હરભજન સિંહ પહેલા બેટ્સમેન બનવા માંગતો હતો અને તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં તેણે બેટ્સમેન તરીકે પ્રેક્ટિસ કરી હતી. પરંતુ કોચ દવિન્દર અરોરાના કહેવાથી તેણે સ્પિન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
હરભજન સિંહે વર્ષ 1998માં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું અને તે જ વર્ષે તેના એક્શનની તપાસ પણ શરૂ થઈ હતી. તેની એક્શન શંકાસ્પદ જણાઇ રહી હતી અને તેના પર તપાસ કરવામાં આવી હતી. જોકે ત્યાર બાદ હરભજન સિંહને ક્લીનચીટ મળી હતી અને ત્યાર બાદ તે વર્ષ 2001માં ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો હતો.
હરભજન સિંહને વર્ષ 2002માં પંજાબ પોલીસના ડીએસપી બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેણે ક્રિકેટના કારણે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
વર્ષ 2008 હરભજન સિંહ માટે ખૂબ જ ખરાબ રહ્યું. હરભજન સિંહ પર વર્ષ 2008માં જ એન્ડ્ર્યુ સાયમન્ડ્સ પર વંશીય ટિપ્પણીનો આરોપ લાગ્યો હતો અને તે પછી તેણે આઈપીએલ દરમિયાન મેદાન પર એસ શ્રીસંતને થપ્પડ મારી હતી.