રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની હાર સાથે દિનેશ કાર્તિકની IPL સફર પણ સમાપ્ત થઈ ગઈ છે. બંને વચ્ચે માત્ર એટલો જ તફાવત છે કે ટીમ આવતા વર્ષે પુનરાગમન કરશે પરંતુ કાર્તિક હવે IPLમાં જોવા નહીં મળે. તેણે પહેલેથી જ જાહેરાત કરી હતી કે IPL 2024 તેની છેલ્લી સિઝન હશે અને તે પછી તે નિવૃત્તિ લેશે. જો કે, હાર સાથે વિદાય બાદ કાર્તિક પોતાને રડતા રોકી શક્યો ન હતો અને વિરાટ કોહલીને ગળે લગાવ્યો હતો. હવે તેમના માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. ICCએ તેને T20 વર્લ્ડ કપમાં મહત્વની જવાબદારી સોંપી છે.
દિનેશ કાર્તિકે T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે, તેને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી, તેમ છતાં તે આ ટૂર્નામેન્ટનો ભાગ બનશે. વાસ્તવમાં, ICCએ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર ક્રિકેટના આ ‘મહા કુંભ’ માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરી છે. આ પેનલમાં કાર્તિકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કાર્તિકને ટીમ ઈન્ડિયામાં જગ્યા ન મળી હોવા છતાં ICCએ તેને નવી ભૂમિકા ઓફર કરી છે. બેટ બાદ હવે તે કોમેન્ટ્રી બોક્સમાં પોતાના અવાજથી દર્શકોનું મનોરંજન કરતો જોવા મળશે.
કાર્તિકની જેમ ICCએ પણ સ્ટીવ સ્મિથને આ ટૂર્નામેન્ટમાં જવાની તક આપી છે. સ્ટીવ સ્મિથ T20 વર્લ્ડ કપ 2022માં ઓસ્ટ્રેલિયા ટીમનો મહત્વનો હિસ્સો હતો. પરંતુ આ વખતે મિચેલ માર્શની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયાએ તેમને બહારનો રસ્તો બતાવ્યો હતો. હવે તેને કોમેન્ટ્રી પેનલમાં પણ સામેલ કરવામાં આવ્યો છે.
ICC એ T20 વર્લ્ડ કપ 2024 માટે ઘણા અનુભવી કોમેન્ટેટર્સને હાયર કર્યા છે, જેઓ વર્ષોથી આંતરરાષ્ટ્રીય મેચોમાં કોમેન્ટ્રી કરી રહ્યા છે. રવિ શાસ્ત્રી, નાસિર હુસૈન, ઈયાન સ્મિથ, મેલ જોન્સ, હર્ષા ભોગલે અને ઈયાન બિશપ ટૂર્નામેન્ટમાં તેમની કોમેન્ટ્રી સાથે ધમાલ મચાવતા જોવા મળશે. T20 વર્લ્ડ કપ ચેમ્પિયન રહી ચૂકેલા કાર્તિક અને સ્મિથ ઉપરાંત એરોન ફિન્ચ, સેમ્યુઅલ બદ્રી, કાર્લોસ બ્રેથવેટ, એબોની રેનફોર્ડ બ્રેન્ટ અને લિસા સ્થલેકર પણ અનુભવી કોમેન્ટેટર્સને સપોર્ટ કરતા જોવા મળશે.
આ પણ વાંચો : IPL 2024 : વિરાટના ખરાબ સમયમાં દિનેશ કાર્તિક બન્યો ‘હમદર્દ’, કોહલીએ કહ્યું- ‘DK’એ કેવી રીતે કરી તેની મદદ