Breaking News : વૈભવ સૂર્યવંશી ગમે તેટલા રન બનાવે, તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં નહીં આવે ! જાણો કારણ
T20 વર્લ્ડ કપ 2026 પૂરો થયા બાદ T20 ફોર્મેટનો આગામી વર્લ્ડ કપ બે વર્ષ બાદ યોજાશે. આવી સ્થિતિમાં, ભારતીય પસંદગીકારો હવે બીજા મિશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને તેમાં, IPL 2026 માં ઉભરતા કોઈપણ નવા સ્ટારને તક મળવાની અપેક્ષા નથી. એવામાં વૈભવ સૂર્યવંશી ગમે તેટલા રન બનાવે, તેને વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં નહીં આવે.
આગામી IPL 2026 સિઝનમાં રાજસ્થાન રોયલ્સનો યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી ફરી એક્શનમાં જોવા મળશે. ગત સિઝનમાં ડેબ્યૂ કરનાર 14 વર્ષીય ખેલાડીએ પોતાના બેટથી તબાહી મચાવી હતી. ત્યારથી વૈભવને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવા માટે માંગ કરવામાં આવી રહી છે. જોકે, એવું લાગે છે કે IPL 2026 માં તે ગમે તેટલા રન બનાવે, તેને ટીમ ઈન્ડિયામાં અને ખાસ કરીને ODI ટીમમાં તો જગ્યા હાલ નહીં જ મળે.
ODI વર્લ્ડ કપના સંભવિત ખેલાડીઓ પર નજર
IPL 2026 સિઝન શરૂ થાય તે પહેલા એક અહેવાલમાં જણાવાયું છે કે પસંદગી સમિતિના તમામ સભ્યો આ IPL માં વિવિધ મેચોનું નિરીક્ષણ કરશે. તેમનો ધ્યેય આગામી વર્ષના ODI વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલા સંભવિત ભારતીય ખેલાડીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવાનો છે. અહેવાલમાં જણાવાયું છે કે પસંદગીકારોએ આ વર્લ્ડ કપ માટે લગભગ 20 ખેલાડીઓની યાદી તૈયાર કરી લીધી છે, અને હવે ટુર્નામેન્ટમાં તેમના પ્રદર્શન પર નજર રાખવામાં આવશે.
ટીમમાં સ્થાન કેમ નહીં મળે?
આ રિપોર્ટ એ પણ સ્પષ્ટ કરે છે કે જો આ IPL સિઝનમાં કોઈ નવો ખેલાડી અસાધારણ રીતે સારું પ્રદર્શન કરે તો પણ તેને ODI વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવશે નહીં. 2027 વર્લ્ડ કપ માટે મોટાભાગના સંભવિત ખેલાડીઓ એવા છે જેઓ આ ફોર્મેટમાં સતત રમ્યા છે. આનો અર્થ એ થયો કે જો વૈભવ સૂર્યવંશી ઘણા રન બનાવે અથવા કોઈ નવો બોલર ઘણી વિકેટ લે, તો પણ તેને ODI ટીમમાં સ્થાન મળશે નહીં.
વૈભવને ટીમ ઈન્ડિયામાં ક્યારે તક મળશે?
શું વૈભવ જેવા IPL સ્ટાર્સને T20 ફોર્મેટમાં તક મળશે? હાલ કહેવું મુશ્કેલ છે, કારણ કે ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં T20 વર્લ્ડ કપ જીત્યો છે, અને આગામી મોટી T20 ટુર્નામેન્ટ 2028 માં છે. વધુમાં, વર્તમાન વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ આ ફોર્મેટમાં ચાલુ રહે તેવી અપેક્ષા છે. જો કે, શક્ય છે કે તેને આ વર્ષે T20 ફોર્મેટમાં રમાનારી એશિયન ગેમ્સમાં ભાગ લેનારી ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવે.

