Breaking News: વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે વાતચીત બંધ? ટીમ ઈન્ડિયાના કોચે તોડ્યું મૌન
ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીએ વાતચીત સંપૂર્ણપણે બંધ કરી દીધી હોવાના દાવાઓ વચ્ચે ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સિતાંશુ કોટકે હવે આ બાબતે પોતાનું મૌન તોડ્યું છે. શું ખરેખર વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે વાતચીત બંધ છે? ચાલો જણીએ.

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વચ્ચેના સંબંધો હંમેશા ક્રિકેટ સર્કલમાં ચર્ચાનો વિષય રહ્યા છે. તાજેતરમાં, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ODI શ્રેણી દરમિયાન બંને વચ્ચે વાતચીત સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. એજબેસ્ટનમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન તેઓ એકબીજા સાથે વાત ન કરતા જોવા મળ્યા ત્યારે આ અફવાઓએ વધુ જોર પકડ્યું. હવે ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સિતાંશુ કોટકે આ બધા અહેવાલો પર પોતાનું મૌન તોડ્યું છે અને સત્ય જાહેર કર્યું છે.
વિરાટ-ગંભીર વચ્ચે વાતચીત બંધ?
ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સિતાંશુ કોટકે કાર્ડિફમાં બીજી વનડે પછી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ અફવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. વિરાટ કોહલી અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર વચ્ચેના અણબનાવ વિશે પૂછવામાં આવતા, કોટકે હસતાં-હસતાં કહ્યું, “વિરાટ અને ગૌતમે આજે ઓછામાં ઓછી 10 વાર વાત કરી હશે. મને નથી લાગતું કે તેમને એકબીજા સાથે વાત કરવા માટે કોઈની જરૂર છે.
બેટિંગ કોચે કર્યો ખુલાસો
કોટકે વધુમાં જણાવ્યું હતું કે તેને સમજાતું નથી કે આવી પાયાવિહોણી અફવાઓ કેવી રીતે ઉભરી આવે છે. તેણે સ્પષ્ટતા કરી હતી કે ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ સારું છે અને બંને વચ્ચે બધું બરાબર છે. કાર્ડિફ વનડેનું ઉદાહરણ આપતા કોટકે વિરાટ કોહલી અને મુખ્ય કોચ ગંભીર વચ્ચે સારા તાલમેલનું સમર્થન કર્યું. કોટકે સમજાવ્યું કે જ્યારે વિરાટ કોહલી મેદાન પર બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેણે ડ્રેસિંગ રૂમ અને મુખ્ય કોચ ગંભીરને ક્રીઝમાંથી એક મહત્વપૂર્ણ સંદેશ મોકલ્યો. કોહલીએ સમજાવ્યું કે કાર્ડિફની પિચ થોડી ધીમી હતી અને શોર્ટ-પિચ બોલ સરળતાથી બેટ પર આવતા ન હતા.
બીજી વનડેમાં અડધી સદી ફટકારી
બંને ટીમો વચ્ચે રમાયેલી શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયા 4 વિકેટથી હારી ગઈ હતી. જોકે, આ મેચમાં વિરાટ કોહલીએ સારી ઈનિંગ રમી હતી. તેણે 66 બોલમાં 8 ચોગ્ગા સહિત 65 રન બનાવ્યા હતા. જ્યાં સુધી વિરાટ ક્રીઝ પર હતો ત્યાં સુધી ટીમ ઈન્ડિયા મોટા સ્કોર તરફ હતી. જોકે, તેના આઉટ થવાથી ઈનિંગ તૂટી ગઈ, જેના પરિણામે ભારત મેચ હાર્યું અને શ્રેણી 1-1 થી બરાબર થઈ ગઈ.
