Asia Cup 2023 ને લઈ આરપારની લડાઈ, ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી ટક્કર
ગત વર્ષ ઓક્ટોબર મહિનામાં BCCI અને એશિયન ક્રિકટ કાઉન્સિલના અધ્યક્ષ જય શાહે એક નિવેદન કર્યુ હતુ, ત્યારબાદથી ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવ વધ્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે આમ તો સામાન્ય રીતે ક્રિકેટના મેદાનમાં રોમાંચક ટક્કર થતી જોવા મળે છે. પરંતુ હવે બંને દેશોના ક્રિકેટ બોર્ડ વચ્ચે પણ ટકરાવ વધી ચૂક્યો છે. આખીય વાતના મુળમાં એશિયા કપ છે. આ વર્ષે યોજાનારા એશિયા કપ માટેની યજમાનીને લઈ વિવાદ ગત વર્ષ ઓક્ટોબર માસથી જોવા મળી રહ્યો છે. આ વર્ષે રમાનાર એશિયા કપને લઈ હવે અંતિમ નિર્ણય સામે આવી શકે છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠક શનિવારે 4 ફેબ્રુઆરીએ યોજાશે, જેમાં આ નિર્ણય થઈ શકે છે.
ગત વર્ષે બીસીસીઆઈના સચિવ અને એસીસીના અઘ્યક્ષ જય શાહે એક નિવેદન કર્યુ હતુ. જેમાં તેઓએ કહ્યુ હતુ કે, એશિયા કપ 2023નુ આયોજન તટસ્થ સ્થાન પર કરવામાં આવશે. શાહના આ નિવેદન બાદ તુરત જ પાકિસ્તાન ભડક્યુ હતુ અને તેમણે વિવાદ સર્જતા કાગારોળ કરી મુકવાની શરુઆત કરી હતી. એશિયન ક્રિકેટ કાઉન્સિલે જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને એશિયા કપના વર્ષ 2023ના આયોજનની જવાબદારી સોંપી હતી. હવે આયોજન તટસ્થ સ્થાન પર કરવાની વાતને લઈ પાકિસ્તાન વિવાદીત નિવેદન કરી રહ્યુ છે.
શનિવારે આવી શકે અપડેટ
સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, આ બેઠક શનિવારે બહેરીનમાં યોજાશે, જેમાં એશિયા કપના આયોજન અંગેનો નિર્ણય સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે. રિપોર્ટ અનુસાર પીસીબીના વર્તમાન બોસે થોડા દિવસ પહેલા દુબઈમાં આ બેઠક માટે વિનંતી કરી હતી.
એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનને એશિયા કપની યજમાનીથી વંચિત રહેવું પડશે અને ફરી એકવાર ટુર્નામેન્ટ તટસ્થ સ્થળે યોજાશે. જો કે, બધાની નજર તેના પર રહેશે કે શું પીસીબી બોસ સરળતાથી યજમાન તરીકેના અધિકારો છોડવા માટે સંમત થાય છે અથવા થોડા સમય માટે આ મુદ્દાને રોકવા માટે પ્રયાસ કરશે.
વેન્યૂને લઈ વિવાદ
આ મુદ્દાએ ભારતીય અને પાકિસ્તાની બોર્ડ વચ્ચેના મુકાબલાને મોટા વિવાદમાં ફેરવી દીધો. શાહે કહ્યું હતું કે ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરી શકે અને ત્યારપછી પાકિસ્તાન બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખ રમીઝ રાજાએ ધમકી આપી હતી કે જો આવું થયું તો તેઓ પણ પોતાની ટીમને વર્લ્ડ કપ માટે ભારત નહીં મોકલે અને નિર્ણય લઈ શકે છે. . જો કે રમીઝ રાજાએ ત્યારથી પીસીબીની ખુરશી છોડી દીધી છે, પરંતુ નજમ સેઠીએ પણ આ મુદ્દે ગરમાટો જાળવી રાખ્યો છે.