બંગાળમાં ‘મા માટી માનુષ’નો ખેલ ખતમ, હવે ખેલા હોબે નહીં પરંતુ ‘જય શ્રી રામ’ બોલશે બંગાળ
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આજે એક નવો ઈતિહાસ લખાયો છે. હુગલી નદીની લહેરોથી લઈને દાર્જિલિંગની પહાડીઓ સુધી જય શ્રી રામના નારા ગૂંજી રહ્યા છે. જે બતાવી રહ્યા છે કે બંગાળની રાજનીતિનો મિજાજ બદલાઈ ચુક્યો છે. આ દિવસની રાહ છેલ્લા કેટલાય દાયકાઓથી ભાજપના નેતાઓ જોઈ રહ્યા હતા. આ જે એ ઈંતઝારની ઘડી ખતમ થઈ છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં TMC ને મળેલી મોટી હારના સમીકરણો તપાસવાનું હવે શરૂ થઈ ગયુ છે. છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસિલ કરનારા મમતા બેનર્જીએ જેને હથિયાર બનાવ્યુ તે જ TMCની હારનુ આ વખતે સૌથી મોટુ કારણ બન્યુ છે. બાંગ્લાદેશી નારાઓનો જાદુ આ વખતે ન ચાલ્યો. મા-માટી-માનુષ, જય બાંગ્લા અને ખેલા હોબે આ વખતે ઉલટા પડી ગયા છે.

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આ વખતે એક નવા જ મુકામ પર આવી ગઈ છે. છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવનારી TMC 2026 ની વિધાનસભા ચૂંટણીમાં ઉલટી ગંગા વહી રહી છે. આટલી મોટી શિકસ્તની મમતા બેનર્જીએ કદાચ કલ્પના પણ નહીં કરી હોય. આ વખતે વિધાનસભા ચૂંટમીમાં TMC માટે ગત ચૂંટણીમાં જે વસ્તુઓ વરદાન સમાન નિવડી હતી એ આ વખતે અભિશાપ બની ગઈ. દાયકાઓથી બાંગ્લાદેશથી ઉધાર લીધેલા નારા ‘જય બાંગ્લા’, ‘મા-માટી-માનુષ’, અને ‘ખેલા હોબે’ હવે જનતાને નથી જોઈતા. 1971ના મુજીબુર રહેમાનના યુગથી લઈને 2013ની અવામી લીગ સુધી આ નારાને મમતા બેનર્જીએ તેમની રાજનીતિનો આધાર બનાવ્યા. પરંતુ 2026 ની વિધાનસભા ચૂંટણીમાં જનતાએ સ્પષ્ટ સંદેશ આપી દીધો કે ઉધારની ચીજો હવે કામ નહીં કરે. માહોલ બદલાતા જ બાંગ્લાદેશના નારા લોકોને ખટકવા લાગ્યા જે પહેલા તેમને સારા લાગતા હતા. આવો તપાસીએ કે આખરે બંગાળના દીદી ક્યા થાપ ખાઈ ગયા?
પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોની તસવીરો હવે સ્પષ્ટ થઈ ગઈ છે. ચૂંટણી રૂઝાનોમાં રાજ્યમાં ભાજપને બહુમત થી વધુ સીટો મળતી દેખાઈ રહી છે. ભાજપ 190 થી વધુ સીટો જીતી રહી છે. TMC 100 થી પણ ઓછી સીટો પર પાછળ ચાલ રહી છે. એવામં ભાજપ પ્રચંડ બહુમત સાથે સરકાર બનાવવાની સ્થિતિમાં છે.
ભાજપ માટે બંગાળ વિધાનસભાની ચૂંટણી એ માત્ર એક જીત નથી. પરંતુ એ ‘પિતૃ ઋણ’ની ચુકવણી છે જે ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીના વિચારો પ્રત્યે દરેક કાર્યકર્તા પર ઉધાર હતુ. ભાજપના ‘પિતામહ’ ગણાતા શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ પર પહેલીવાર બહુમત સાથે ‘કમળ’ ખીલ્યુ છે.
ભાજપ તેના સંસ્થાપક દીન દયાલ ઉપાધ્યાયના ‘કર્તવ્ય પથ’ ઉત્તરાખંડથી ઉત્તર પ્રદેશમાં પહેલા જ સરકાર બનાવી ચુકી છે. પરંતુ શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ બંગાળમાં 75 વર્ષ બાદ આ સપનુ સાકાર થવા જઈ રહ્યુ છે.મુખર્જીના વિચારોના આધાર પર જ ભાજપનો પાયો નખાયો છે. એવામાં શ્યામા પ્રસાદ મખર્જીની જન્મભૂમિ પર ભાજપ એક મોટી શક્તિ સ્વરૂપે હાલ ઉભરી આવ્યુ છે.
ઉધાર લીધેલા નારા તુષ્ટિકરણનું પ્રતિક બનીને રહી ગયા
બંગાળની બદલાતી ડેમોગ્રાફી અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારોની ઘટનાઓએ બંગાળની જનતાને વિચારવા પર મજબુર કર્યા. ‘જય બાંગ્લા’ સૂત્ર 1971 નું છે. બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ દરમિયાન, આ સૂત્ર શેખ મુજીબુર રહેમાન અને મુક્તિ વાહિની માટે યુદ્ધના નાદ તરીકે કામ કરતું હતું. 7 માર્ચ, 1971 ના રોજ મુજીબના ઐતિહાસિક ભાષણમાં આ નારો બુલંદ થયો હતો. ‘જોય બાંગ્લા’ સ્વતંત્રતાની લડત દરમિયાન બાંગ્લાદેશી રાષ્ટ્રવાદના પ્રતીક બન્યુ. પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાન મમતા બેનર્જીએ આ સૂત્રોનો વ્યાપકપણે ઉપયોગ કર્યો. જોકે મૂળ રીતે તો તે બાંગ્લાદેશની ભૂમિનો નારો હતો. મમતા બેનર્જી વારંવાર આ નારાનો ઉપયોગ તેમની રેલીઓમાં કરતા હતા. 2021 ની ચૂંટણીમાં, ‘જય બાંગ્લા’ની સાથે ‘મા-માટી-માનુષ’ (માતા, ભૂમિ અને લોકો) ને જોડીને તેમણે બંગાળી અસ્મિતાને આગળ કરી હતી. પરંતુ આજે, બંગાળમાં હિંસા, ઘૂસણખોરી અને સાંપ્રદાયિક તણાવની છાશવારે બનતી ઘટનાઓ એ સવાલ ચોક્કસથી પૂછે છે કે આ કોના જયકારા થઈ રહ્યા છે?
બાંગ્લાદેશી ઘૂસણખોરોની કે બંગાળી હિન્દુઓની?
‘મા-માટી-માનુષ’ પણ ઉધાર લીધેલો નારો છે. 1991 ની બાંગ્લાદેશની ચૂંટણીમાં બેગમ ખાલિદા ઝિયાની BNP પાર્ટીએ તેને પોતાની ચૂંટણી ટેગલાઇન બનાવ્યુ હતુ. મમતા બેનર્જીએ 2007થી 2011દરમિયાન ‘મા-માટી-માનુષ’ના નારાને પોતાના ચૂંટણી કેમ્પેઈનમાં ભરપૂર રીતે ઉઠાવ્યો. ડાબેરી સરકાર સામે મમતાના નંદીગ્રામ-સિંગુર આંદોલન દરમિયાન આ નારાને ભારે લોકપ્રિયતા મળી. બંગાળમાં 34 વર્ષના વામપંથી શાસનનો અંત પણ આ નારાને કારણે આવ્યો. મમતાએ ‘મા-માટી-માનુષ’ નારાનું સમર્થન કર્યું, પરંતુ સત્તામાં આવ્યા બાદ આ નારો માત્ર નારો જ બનીને રહી ગયો. મમતાની રાજનીતિએ તેને ખોખલો સાબિત કરી દીધો. આજે, સંદેશખલીમાં માતાઓ અસલામતી અનુભવે છે; ‘માટી’ (ભૂમિ) ‘સિન્ડિકેટ શાસન’ ના કબજા હેઠળ છે; અને ‘માનુષ’ (લોકો) બેરોજગારી, ઘૂસણખોરી અને તુષ્ટિકરણની રાજનીતિથી પીડાય છે. જેમ જેમ 2026 ના ચૂંટણી વલણો બહાર આવી રહ્યા છે – ભાજપ 200 બેઠકો પર (સાંજના 6 વાગ્યા સુધી) આગળ છે, TMC નું ‘મા-માટી-માનુષ’ મોડેલ હવે ધરાશાયી થઈ રહ્યુ છે.
ત્રીજું સૂત્ર, ‘ખેલા હોબે’, 2013 નું છે. બાંગ્લાદેશની અવામી લીગના નેતા શમીમ ઉસ્માને નારાયણગંજમાં ચૂંટણી સભા દરમિયાન કહ્યુ હતુ “તમે કોને રમવાનું શિખવો છો? અમે તો બચપણથી ખેલાડી છીએ. ખેલા હોબે” આ આવામી લીગ VS BNP-જમાત જોડાણ વચ્ચેની ટક્કરનો નારો હતો. મમતા બેનર્જીએ 2021 ની બંગાળ ચૂંટણીમાં આ નારો ઉઠાવી લીધો. જ્યાં ‘ખેલા હોબે’ TMC નો આક્રમક રેલીનો નારો બન્યો. જો કે, બાંગ્લાદેશથી આયાત કરાયેલ ‘રમત’ આખરે બંગાળમાં ચૂંટણી હિંસા અને મહિલાઓ સામેના અત્યાચારના સ્વરૂપમાં પ્રગટ થઈ. જનતા હવે પૂછી રહી છે: “આ કેવા પ્રકારની રમત છે?” 2026 માં, લોકોએ ‘ખેલા હોબે’ નો ચોક્કસ જવાબ આપ્યો: “ખેલ ખતમ હવે હિસાબ થશે.”
બાંગ્લાદેશની રાજનીતિ પર ટકી હતી TMCનુ પોલિટિક્સ
TMCનું રાજકીય મોડેલ બાંગ્લાદેશી રાજકારણનું અનુકરણ કરીને બનાવવામાં આવ્યું હતું. મમતાએ બંગાળી રાષ્ટ્રવાદનું સમર્થન કર્યું, છતાં તે રાષ્ટ્રવાદનો એક સ્પષ્ટ બાંગ્લાદેશી રંગ હતો. અવામી લીગની તુષ્ટિકરણની નીતિઓ, લઘુમતીઓ પર દબાણ અને સત્તા જાળવી રાખવા માટે કોઈપણ હદ સુધી જવાની તૈયારી, આ તમામ લક્ષણો TMC જોવા મળ્યા. બંગાળમાં, બંગાળી અસ્મિતા અને બંગાળી ગૌરવના મુદ્દાને એ હદે લઈ જવામાં આવ્યો કે “જય શ્રી રામ” ના નારા લગાવનારા અને હિન્દી ભાષીઓને રાજ્યના દુશ્મનો તરીકે ચીતરવાનો પ્રયાસ કરાયો. સંદેશખાલી કાંડ, આર.જી. કર રેપ મર્ડર કેસ, TMC ના ગુંડાઓનો આતંક અને બાંગ્લાદેશી ઘુસણખોરોને શરણ આપવી એ “મા, માટી, માનુષ” ના નારા પાછળની વરવી વાસ્તવિકતા બની ગઈ. જનતા હવે સમજી ગઈ છે કે બાંગ્લાદેશી-કેન્દ્રિત રણનીતિ એ બાંગ્લાદેશી મતદારોને આકર્ષવા માટે ની યુક્તિ છે.
2011 માં TMC એ આપેલું વચન અધૂરું રહ્યું
TMC એ પરિવર્તનનું વચન આપીને પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચાને સત્તા પરથી ઉખાડી ફેંક્યો હતો. જોકે, 15વર્ષ પછી, બંગાળે આવા પરિવર્તનની બધી આશા ગુમાવી દીધી છે. બેરોજગારી ચરમસીમાએ પહોંચી ગઈ છે. યુવાનો નોકરી માટે પડોશી રાજ્યોમાં પલાયન કરી રહ્યા છે કારણ કે સિન્ડિકેટ અને ખંડણીખોરોનું રાજ છે. શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા કથળી ગઈ છે. રાજ્યમાં મહિલાઓની સુરક્ષાનો મુદ્દો સૌથી મોટી સમસ્યા બની ગયો છે. જ્યારે મુખ્યમંત્રી ખુદ મહિલાઓ સંબંધિત મુદ્દાઓ પર મૌન રહે છે અથવા દોષીતોને બચાવતા દેખાય છે, ત્યારે ‘મા’ નો નારો માત્ર મજાક બનીને રહી જાય છે.
‘બંગાળી અસ્મિતા’ નો મુદ્દો ઉલટો પડી ગયો
મમતાએ બંગાળી ગૌરવની ભાવના જાગૃત કરવા માટે બાંગ્લાદેશથી આયાત કરાયેલા સૂત્રોનો ઉપયોગ કર્યો હતો; જોકે, તે ગૌરવ હવે ક્ષીણ થઈ રહ્યું છે. બંગાળના લોકોને સમજાયું છે કે “જય બાંગ્લા” ફક્ત બાંગ્લાદેશી સંસ્કૃતિ અને રાજકારણનું અનુકરણ દર્શાવે છે. તેનાથી વિપરીત, સાચી બંગાળી ઓળખ રામકૃષ્ણ, વિવેકાનંદ, રવિન્દ્રનાથ, નેતાજી અને શ્યામા પ્રસાદ મુખર્જીના વારસામાં રહેલી છે. જેને ટીએમસીએ દબાવી દીધો છે. હિન્દુ તહેવારો પર પ્રતિબંધો, દુર્ગા વિસર્જનને લગતા વિવાદો અને મંદિરો પર હુમલાઓ, આ તમામ ઘટનાઓએ બંગાળની સાંસ્કૃતિક ઓળખને પડકાર ફેંક્યો છે. જ્યારે TMCએ 2021 માં જંગી વિજય મેળવ્યો હતો, ત્યારે ભાજપ હવે મજબૂતી સાથે આગળ છે. ગ્રામીણ બંગાળમાં – જ્યાં “માટી” (જમીન) ના નારાનો સૌથી ઊંડો પડઘો પડ્યો હતો ત્યાં પરિવર્તનનો પવન હવે સ્પષ્ટપણે દેખાય છે. મુસ્લિમ વોટ બેંક પર TMcની વધુ પડતી નિર્ભરતાએ તેને હિન્દુ મતદારોથી દૂર કરી દીધી છે. “બોહિરાગોતો” (બહારના લોકો) ને “ઘરકા” (અંદરના લોકો) નો ખેલ ઉલટો પડી ગયો.જનતા સમજી ગઈ છે કે ખરો ખતરો તો અંદર જ રહેલો છે, જે છે ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ અને સાંપ્રદાયિક ધ્રુવીકરણ.
મમતા બેનર્જીના રાજકારણનું સૌથી દુઃખદ પાસું બંગાળને વિકાસના માર્ગથી વાળવાનો અને તેને વોટ-બેંકના રાજકારણ તરફ વાળવાનો તેમનો નિર્ણય છે. ‘મા-માટી-માનુષ’ નારો માત્ર એક વ્યંગ બની ગયુ. જ્યારે ‘મા’ રડી રહી હોય, ‘જમીન’ વેચાઈ રહી હોય અને ‘લોકો’ ને પલાયન કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા હોય ત્યારે આવા સૂત્રો કેવી રીતે પ્રભાવ પાડી શકે? બાંગ્લાદેશમાં પણ આવો જ જાહેર બળવો થયો હતો. આ ચૂંટણીમાં, બંગાળના લોકોએ સાબિત કર્યુ કે નારાઓ કરતા વાસ્તવિક હકીકત વધારે મહત્વ ધરાવે છે. જો TMC એ સત્તામાં વાપસી કરવી હશે તો તેને તેના મૂળ નારાઓને છોડી વાસ્તવિક વિકાસ, સુરક્ષા અને સમાવેશની રાજનીતિ કરવી પડશે.
