આ ભારત છે, હુમલો કરશો તો ઘૂળ ચાટતા થઈ જશો, પાકિસ્તાનને હિન્દુસ્તાનની ચેતવણી
ભારતે આજે ગુરુવારે કરેલા ડ્રોન અને મિસાઈલ હુમલાથી, પાકિસ્તાનની વાયુ રક્ષા પ્રણાલી, રડાર પ્રણાલીને નિશાન બનાવ્યા છે. લાહોર એરપોર્ટ પર એર ડિફેન્સ સિસ્ટમ જ તોડી નાખી છે. પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, હવે ભારતની સરહદમાં કોઈપણ પ્રકારે હુમલો કરાશે તો એ જ ભાષામાં જવાબ આપવામાં આવશે.

ભારત ઉપર પાકિસ્તાને કરેલ હુમલાને નિષ્ફળ બનાવ્યા બાદ, ભારતે પાકિસ્તાનના લાહોર અને અન્ય સ્થળોએ મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. આ અંગે ભારતીય સૈન્યે, પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો હવે પછી પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનું દુસાહસ કર્યું છે તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે.
ભારતે, પહેલગામના હુમલાખોર આતંકવાદીઓના અડ્ડા ઉપર ઓપરેશન સિંદૂરના નામે હુમલો કરીને તેને નષ્ટ કરી દીધા હતા. આ અંગેની જાહેરાત કરતા ભારતીય સૈન્યે કહ્યું હતું કે, અમે માત્ર આતંકવાદી અડ્ડાઓને જ નિશાન બનાવ્યા છે. નાગરિકો કે લશ્કરી મથકને નહીં. આમ છતા પાકિસ્તાને, આજે ભારતના જૂદા જૂદા 15 જેટલા શહેરોને નિશાન બનાવીને મિસાઈલ અને ડ્રોન છોડ્યા હતા. જેને ભારતની રક્ષા પધ્ધતિએ હવામાં જ તોડી નાખ્યાં હતા.
ભારતે એ પણ કહ્યું કે, પાકિસ્તાન, પહેલગામના બૈસરન આતંકી હુમલા બાદ, ભારતની સરહદે સતત ગોળીબાર કરતું આવ્યું છે. તાજેતરમાં પાકિસ્તાને કોઈ કારણ વિના જ ગોળીબારની માત્રા વધારી દીધી છે. જેમાં કુપવાડા, બારામુલા, ઉરી, પુછ, મેઢક અને રાજોરી સેકટર મુખ્ય છે.
પાકિસ્તાન તરફથી થઈ રહેલ ગોળીબાર, મોર્ટારમારો અને તોપગોળાના મારાને કારણે, 3 મહિલા, 5 બાળક સહિત કુલ 16 નિર્દોષ નાગરિક મોતને ઘાટ ઊતર્યાં છે. પાકિસ્તાન તેની આ હરકતને બંધ નહીં કરે તો ભારતને પણ જડબાતોડ વળતો જવાબ આપવાની ફરજ પડશે.
ભારતે આજે પાકિસ્તાન પર કરેલા હુમલામાં પાકિસ્તાનની વાયુરક્ષા પ્રણાલી, રડાર પ્રણાલીને નિશાન બનાવ્યા છે. લાહોર એરપોર્ટ પર એર ડિફેન્સ સિસ્ટમ જ તોડી નાખી છે.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ભારતીય સૈન્ય સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પહેલગામ આતંકી હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે સ્વીકારી હતી. આમ છતા, UNSCમાં પહેલગામ વિશે વાતચીત ચાલી રહી હતી, ત્યારે પાકિસ્તાને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટની ભૂમિકાનો વિરોધ કર્યો હતો.
કર્નલ કુરેશી અને વિંગ કમાન્ડર સિંહે ગઈકાલે અને આજે સ્પષ્ટપણે કહ્યું છે કે, ભારતનો જવાબ ચોક્કસ તત્વો ઉપર અને સિમિત માત્રામાં છે. અમારો આ મામલો આગળ વધારવાનો કોઈ જ ઈરાદો નથી. અમે ફક્ત આતંકવાદના વધતા જતા, તણાવનો જવાબ આપી રહ્યા છીએ.
ગઈકાલે ભારતે પાકિસ્તાનના વિવિધ 9 આતંકી મથકોને નિશાન બનાવીને કરેલા હુમલામાં પાકિસ્તાનના એક પણ લશ્કરી થાણાને નિશાન બનાવવામાં આવ્યું ન હતું. અમે ફક્ત પાકિસ્તાનમાં આતંકવાદી માળખાને નિશાન બનાવ્યા છે. જો પાકિસ્તાન હવે પછી ભારતની સરહદમાં હુમલો કરશે તો તેનો જવાબ પાકિસ્તાનને એ જ ભાષામાં મળશે.
જુઓ વીડિયો
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.