જ્યારે મમતા બેનર્જીના વાળ ખેંચી, ઢસડીને બહાર ફેંકવામાં આવ્યા……, કેમ ફાયર વુમન તરીકે ઓળખાતા હતા ? જાણો રાજકીય સફર
માત્ર પશ્ચિમ બંગાળ જ નહીં, સમગ્ર ભારતમાં મમતા બેનર્જીની રાજકીય ઈમેજ ફાયર બ્રાન્ડ વુમન તરીકેની હતી. તેમણે એક મહિલાને ન્યાય અપાવવા માટે કોલકત્તામાં સીએમ ઓફિસમાં જ ધરણા કર્યાં. પીડિત મહિલાને ન્યાય અપાવવા માટે અપમાનિત થયા. એ સમયે તેમણે એક કસમ ખાધા, જેને પૂરા કરવામાં 18 વર્ષનો સમય લાગ્યો....જાણો પશ્ચિમ બંગાળ તો ખરુ, પરંતુ સમગ્ર દેશના રાજકીય વર્તુળોમાં દીદી તરીકે ઓળખાતા મમતા બેનર્જીની રાજકીય સફર અંગે.

1993માં જ્યારે રાઈટર્સ બિલ્ડિંગની સીડીઓ પર મમતા બેનર્જીને વાળ પકડીને ઢસડવામાં આવ્યા, ત્યારે તેમણે સોગંધ લીધા હતા કે, તેઓ મુખ્યમંત્રી બનીને જ રાઈટર્સ બિલ્ડિંગમાં પાછા ફરશે. તેમના શબ્દો હતા, “હવે હું આ બિલ્ડિંગ (રાઈટર્સ બિલ્ડિંગ) માં ત્યારે જ પગ મૂકીશ જ્યારે હું પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી બનીશ.” 38 વર્ષની ઉંમરે મમતા બેનર્જીએ આ ઐતિહાસિક પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રતિજ્ઞા લીધા બાદ તેમણે 18 વર્ષ સુધી સંઘર્ષ કર્યો અને આખરે 2011માં, 56 વર્ષની ઉંમરે તેઓ મુખ્યમંત્રી તરીકે રાઈટર્સ બિલ્ડિંગમાં પરત ફર્યા અને સતત 15 વર્ષ સુધી પશ્ચિમ બંગાળના સીએમ રહ્યા
ભલે 4 મેના રોજ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ રાજ્યમાં એક મોટા રાજકીય પરિવર્તનનો સંકેત આપ્યો છે. ભલે ભારતીય જનતા પાર્ટીએ 200થી વધુ બેઠકો જીતીને રાજ્યમાં પહેલી વાર સ્પષ્ટ બહુમતી સાથે ઐતિહાસિક વિજય મેળવ્યો છે, પરંતુ બંગાળની મમતા દીદીનો સંઘર્ષ, મજબૂત મહિલા નેતા તરીકેની તેમની રાજકીય સફર જાણવા જેવી છે.
ઘટનાની પૃષ્ઠભૂમિ
1993માં મમતા બેનર્જી કોંગ્રેસના યુવા નેતા હતા. તે સમયે પશ્ચિમ બંગાળમાં જ્યોતિ બસુના નેતૃત્વવાળી ડાબેરી મોરચા (Left Front) ની સરકાર હતી. મમતા બેનર્જી એક બળાત્કાર પીડિતા (જે માનસિક રીતે દિવ્યાંગ હતી) તેને ન્યાય અપાવવા માટે લડત ચલાવી રહ્યા હતા. તેમનો આક્ષેપ હતો કે પોલીસ દોષિઓને પકડી નથી રહી. આના વિરોધમાં તેમણે મોરચો ખોલ્યો હતો.
- 7 જાન્યુઆરી, 1993 : રાઈટર્સ બિલ્ડિંગનો ઘેરાવો કરાયો.
- ન્યાયની માંગણી સાથે મમતા બેનર્જી તે પીડિતાને લઈને સીધા રાજ્યના સચિવાલય એટલે કે રાઈટર્સ બિલ્ડિંગ પહોંચ્યા.
- તેઓ મુખ્યમંત્રી જ્યોતિ બસુની ઓફિસની બહાર જ કોરિડોરમાં ધરણા પર બેસી ગયા. તેમની જીદ હતી કે મુખ્યમંત્રી રૂબરૂ મળે અને ન્યાયની ખાતરી આપે.
મુખ્યમંત્રી જ્યોતિ બસુએ મળવાની ના પાડી દીધી અને પોલીસને મમતા બેનર્જીને ત્યાંથી હટાવવાનો આદેશ આપ્યો. સાંજ પડતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ત્યાં પહોંચ્યો. અનેક સમજાવટ છતા મમતા બેનર્જી ત્યાંથી હટવા તૈયાર નહોતા.
અપમાનજનક વર્તન અને ખેંચતાણ
પોલીસે જ્યારે બળપ્રયોગ શરૂ કર્યો ત્યારે સ્થિતિ વણસી જવા પામી હતી. મમતા બેનર્જીનો આરોપ હતો કે મહિલા પોલીસ કર્મચારીઓએ તેમને વાળથી પકડીને ખેંચ્યા અને સીડીઓ પરથી ઢસડીને નીચે લાવ્યા હતા. તેમને બિલ્ડિંગમાંથી બહાર કાઢીને પોલીસ વાનમાં નાખી દેવામાં આવ્યા અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી.
મમતા બેનર્જીની પ્રતિજ્ઞા
આ ઘટનાથી મમતા બેનર્જી ખૂબ જ આહત થયા હતા. રાઈટર્સ બિલ્ડિંગની બહાર ફેંકાઈ ગયા પછી તેમણે પત્રકારો અને સમર્થકોની હાજરીમાં પ્રતિજ્ઞા લીધી કે :- “હવે હું આ બિલ્ડિંગ (રાઈટર્સ બિલ્ડિંગ) માં ત્યારે જ પગ મૂકીશ જ્યારે હું પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી બનીશ.”
પ્રતિજ્ઞાની પૂર્તિ
મમતા બેનર્જીએ પોતાની આ પ્રતિજ્ઞા 18 વર્ષ સુધી પાળી. આ ગાળા દરમિયાન તેઓ ક્યારેય રાઈટર્સ બિલ્ડિંગમાં ન ગયા. છેવટે 2011માં જ્યારે તૃણમૂલ કોંગ્રેસે ડાબેરી શાસનનો અંત આણીને ભવ્ય વિજય મેળવ્યો, ત્યારે મમતા બેનર્જી મુખ્યમંત્રી તરીકે સન્માન સાથે રાઈટર્સ બિલ્ડિંગમાં પાછા ફર્યા.
- આ ઘટનાએ પશ્ચિમ બંગાળમાં ‘અગ્નિ કન્યા’ તરીકે તેમની ઓળખ મજબૂત કરી અને તેમને જનતાના મોટા નેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.
- મમતા બેનર્જીનો મુખ્યમંત્રી બન્યા પહેલાની સફર અને તેમનું વ્યક્તિત્વ અત્યંત સંઘર્ષમય અને રસપ્રદ રહ્યું છે.
શરૂઆતનું જીવન અને સાદગી
મમતા બેનર્જીનો જન્મ 5 જાન્યુઆરી, 1955ના રોજ કોલકાતામાં એક સામાન્ય મધ્યમવર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. જ્યારે તેઓ માત્ર 17 વર્ષના હતા, ત્યારે તેમના પિતાનું અવસાન થયું. જેના કારણે તેમણે નાની ઉંમરે પરિવારની જવાબદારીઓ સંભાળવી પડી. તેમની સાદગી, સફેદ સુતરાઉ સાડી અને હવાઈ ચપ્પલ તેમના બાળપણની આર્થિક પરિસ્થિતિ અને જમીની સ્તરના જોડાણનું પ્રતિક છે.
શિક્ષણ અને બહુમુખી પ્રતિભા
રાજકારણમાં આવતા પહેલા તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં ઓનર્સ, ઇસ્લામિક ઇતિહાસમાં માસ્ટર ડિગ્રી અને ત્યારબાદ બી.એડ. અને લો (Law) ની ડિગ્રી મેળવી. તેઓ માત્ર રાજકારણી જ નહીં, પણ એક સારા ચિત્રકાર અને કવિયત્રી પણ છે. તેમને રવીન્દ્ર સંગીત પ્રત્યે ઊંડો પ્રેમ છે.
‘અગ્નિકન્યા ( Fire Woman ) તરીકે’ રાજકીય ઉદય –
તેમણે 1970ના દાયકામાં કોંગ્રેસ દ્વારા રાજકારણમાં પ્રવેશ કર્યો. 1984માં તેમણે જાદવપુર બેઠક પરથી દિગ્ગજ ડાબેરી નેતા સોમનાથ ચેટર્જીને હરાવીને દેશભરમાં ચર્ચા જગાવી હતી. ડાબેરી શાસન સામેના તેમના આક્રમક વલણને કારણે તેઓ પશ્ચિમ બંગાળમાં ‘અગ્નિકન્યા’ તરીકે ઓળખાવા લાગ્યા. 1997માં કોંગ્રેસ સાથે મતભેદ થતાં તેમણે ‘તૃણમૂલ કોંગ્રેસ’ (TMC) ની સ્થાપના કરી.
સંઘર્ષ અને આંદોલનો
સીએમ બન્યા પહેલા મમતા બેનર્જીએ રેલવે મંત્રી અને કોલસા મંત્રી તરીકે કેન્દ્રમાં સેવા આપી હતી, પરંતુ તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર બંગાળની શેરીઓ રહી. સિંગુર અને નંદીગ્રામના ભૂમિ અધિગ્રહણ વિરોધી આંદોલનોએ તેમને ખેડૂતોના મસીહા તરીકે સ્થાપિત કર્યા. 1993માં રાઈટર્સ બિલ્ડિંગમાં થયેલું અપમાન અને ત્યારબાદના લાંબા વિરોધ પ્રદર્શનોએ તેમનામાં સત્તા પરિવર્તનનો મક્કમ નિર્ધાર પેદા કર્યો હતો.
વ્યક્તિત્વ
એક વ્યક્તિ તરીકે મમતા બેનર્જી અત્યંત મક્કમ મનોબળ ધરાવતા અને ભાવુક નેતા ગણાય છે. તેઓ અપરિણીત છે અને તેમણે પોતાનું આખું જીવન રાજકારણ અને સમાજ સેવાને અર્પણ કર્યું છે. તેમની લડાયક વૃત્તિ અને સામાન્ય માણસ જેવી જીવનશૈલીએ જ તેમને બંગાળના લોકમાનસમાં ‘દીદી’ તરીકેની ઓળખ આપી.
9 મેના રોજ શપથ ગ્રહણ, સુવેન્દુ કે મહિલા મુખ્ય પ્રધાન ? રેસમાં છે પાંચ નામ, જાણો કોણ છે મોખરે