લોકસભા ચૂંટણીમાં એનડીએની બહુમતી મળતા નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે. ભારતમાં ત્રીજી વાર નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનતા અમેરિકામાં વસતા મૂળ ભારતીયોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે.
ભારતના એનઆરઆઈ નાગરિકોમાં મોદીની લોકપ્રિયતા ખૂબ છે.જે કારણે તેઓ મોદીના વડાપ્રધાન પદના ત્રીજા કાર્યકાળને ઉમળકાભેર વધાવી રહ્યા છે.એનઆરઆઇ નાગરિકોમાં એક બાબત દ્રઢ પણે સ્વીકારાઈ છે કે કે મોદીએ ભારતની સંકૃતિક ધરોહર અને પરંપરાઓને રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સમ્માન અપાવનાર એકમાત્ર રાજનેતા છે.
અમેરિકામાં ભારતીયોએ નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના શપથ ગ્રહણ સમારોહનો લાઈવ જોવા વિશિષ્ઠ આયોજનો કર્યા હતા.એનડીએની જીત અને મોદીના વડાપ્રધાન પદના ત્રીજા કાર્યકાળની ખુશીઓ અને શુભકામનાઓ પરસ્પર વ્યક્ત કરી ઉજવણી કરી હતી.આ તબક્કે નવા નિમાયેલ મંત્રી મંડળને પણ આવકારી તેઓને પણ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ અંગે અમેરિકન ઉદ્યોગપતિ અને હોટેલિયર યોગી પટેલે જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં ભાજપની બહુમતી ન આવતા નિરાશા થઈ હતી. નરેન્દ્ર મોદી ભારતના સૌથી વધુ સફળ, ઉદ્યમી અને સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન છે. ભારતની સુરક્ષા, વિકાસ અને ગરીબી નાબૂદી માટેના તેમના પ્રમાણિક પ્રયત્નો અને યોજનાઓએ આજે ભારતને વિકસિત દેશોની હરોળમાં મૂકી દીધું છે.
મોદીના કાર્યકાળ દરમ્યાન જ ભારતીય યોગ અને સાંસ્કૃતિક પરંપરાને અભૂતપૂર્વ વૈશ્વિક વિસ્તાર મળ્યો છે. નરેન્દ્ર મોદી પોતાના ત્રીજા કાર્યકાળમાં ભારતને વધુ સમૃદ્ધ અને વિકસિત કરશે અને વિશ્વના સમૃદ્ધ દેશોની હરોળમાં ભારતને વધુ નામાંકીત ખ્યાતિ અપાવશે તે નક્કી છે.
યોગી પટેલે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકન ભારતીય નાગરિકોમાં આ પ્રસંગે ખૂબ જ ખુશીનો માહોલ છે. નરેન્દ્ર મોદીએ ત્રીજા કાર્યકાળના આરંભમાં જ સવા સો દિવસની કામગીરીનો એજન્ડા નક્કી કર્યો છે.
અમો સૌને એ જાણવાની ઉત્સુકતા અને જિજ્ઞાસા છે કે મોદી રાજકીય નેતૃત્વ અને વહીવટી કુશળતાના કેવા નવા આયામો ભારતીય રાજકારણમાં સક્રિય કરે છે. વળી ત્રીજા કાર્યકાળમાં મોદીએ ભારતીય અર્થ વ્યવસ્થા માટે પણ ઉચ્ચતમ ટાર્ગેટ જાહેર કર્યો છે.જેથી ભારતીય ઉત્પાદકો અને બજાર વ્યવસ્થા માટે તે કેવી નવી યોજનાઓ કે નીતિ જાહેર કરે છે તે માટે પણ વિશ્વના કોર્પોરેટ વિશ્વમાં ઉત્તેજના જોવા મળી રહી છે.
Published On - 1:19 pm, Sat, 15 June 24