હવે દુશ્મનોની ખેર નહીં: પાકિસ્તાન બોર્ડર પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરી રહ્યું છે ભારત, BSF બંકરોને પણ થઈ રહી છે કિલ્લેબંધી

TV9 GUJARATI

|

Updated on: Dec 25, 2022 | 7:10 PM

સત્તાવાર સૂત્રોએ એ પણ જણાવ્યું છે કે 2021માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય યુદ્ધવિરામની ઘોષણા પછી ભારતીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર સેનાની ટેન્ક માટે રેમ્પ બનાવવા અને બીએસએફ બંકરોને મજબૂત કરવા સહિત સંરક્ષણ માળખામાં ઘણા મોટા સુધારા કરવામાં આવ્યા છે.

હવે દુશ્મનોની ખેર નહીં: પાકિસ્તાન બોર્ડર પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરી રહ્યું છે ભારત, BSF બંકરોને પણ થઈ રહી છે કિલ્લેબંધી
Indian Army
Image Credit source: PTI

Follow us on

ભારત ચીન અને પાકિસ્તાન બોર્ડર પર સતત પોતાને મજબૂત કરી રહ્યું છે. આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે સરહદ પર સંરક્ષણ માળખામાં સતત સુધારો અને વિકાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સત્તાવાર સૂત્રોએ એ પણ જણાવ્યું છે કે 2021માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય યુદ્ધવિરામની ઘોષણા પછી ભારતીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર સેનાની ટેન્ક માટે રેમ્પ બનાવવા અને બીએસએફ બંકરોને મજબૂત કરવા સહિત સંરક્ષણ માળખામાં ઘણા મોટા સુધારા કરવામાં આવ્યા છે.

સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુનઃનિર્માણનો પ્રથમ તબક્કો અને કેટલાક નવા બાંધકામો તાજેતરમાં પૂર્ણ થયા છે. પ્રથમ તબક્કા હેઠળ જમ્મુમાં મોરચા સાથે 26 કિલોમીટરના અંતરમાં સંરક્ષણ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે આ જ વિસ્તારમાં 33 કિમીની રેન્જમાં અન્ય કામ કરવામાં આવી રહ્યું છે.

નોંધપાત્ર રીતે ભારત-પાકિસ્તાન વચ્ચે 2,289 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ છે. તેમાંથી લગભગ 192 કિલોમીટર લાંબો સરહદી વિસ્તાર જમ્મુમાં આવે છે. ત્યારે જમ્મુ પહેલા, સરહદ દેશના પશ્ચિમ ભાગમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી પણ પસાર થાય છે. જ્યારે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LOC) મુખ્યત્વે કાશ્મીરમાં આવે છે. કાશ્મીરમાં બંને દેશો લગભગ 772 કિમીની સરહદ ધરાવે છે.

સરહદ પર સંરક્ષણ માળખાગત વિકાસ કરવામાં આવી રહ્યો છે

પાકિસ્તાન સાથે મોરચા પર હાથ ધરવામાં આવેલા સંરક્ષણ માળખામાં અનેક DCBs (ખાઈ-કમ-બાઉન્ડ્સ) નું બાંધકામ અને પુનઃનિર્માણ, ક્ષતિગ્રસ્ત સીમા વાડની જાળવણી, આગળના વિસ્તારોમાં સૈન્યની ટેન્કોની અવરજવર માટે રેમ્પનું નિર્માણ, સરહદ સુરક્ષા દળના મોરચાના વિકાસનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સાથે બંકર-સર્વેલન્સ અને અન્ય સુરક્ષા મિકેનિઝમ્સ સ્થાપિત કરવા માટે સ્થળનો વિકાસ પણ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ કહ્યું કે સંરક્ષણ માળખાના વિકાસ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી ફાળવવામાં આવેલા ભંડોળથી આ કામ કરવામાં આવી રહ્યું છે.

બંકરોની કિલ્લેબંધી

BSF અધિકારીઓએ એ પણ માહિતી આપી હતી કે જમ્મુ ક્ષેત્રમાં સરહદી ચોકીઓ સુધી પહોંચવા માટે BSF જવાનોના વાહનો દ્વારા ઉપયોગમાં લેવાતા પાકા રસ્તાને સમતળ કરવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. તેની સાથે જ કાશ્મીર ક્ષેત્રમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર BSF દ્વારા પણ આવું જ કામ કરવામાં આવ્યું છે. ત્યાં BSF તેના સૈનિકો માટે 115 ફોરવર્ડ ડિફેન્સ લોકેશન્સ (FDLs) પરના બંકરોને સૌર-સંચાલિત અને સ્ટીલથી બનેલા CGI (નાલીદાર ગેલ્વેનાઈઝ્ડ આયર્ન) બંકરમાં રૂપાંતરિત કરી રહ્યું છે.

બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ બોર્ડર પર ચાલી રહેલા કામ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાને 20 ફેબ્રુઆરી, 2021 ના ​​રોજ જમ્મુ અને કાશ્મીરમાં મોરચા પર તેમના યુદ્ધવિરામ કરારનું નવીકરણ કર્યા પછી આ કામો શરૂ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં તેનો પ્રથમ તબક્કો 26 કિલોમીટરના સરહદી વિસ્તારમાં પૂર્ણ થયો છે. ત્યારે 33 કિલોમીટર લાંબા સરહદી વિસ્તારમાં બીજા તબક્કા હેઠળ કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે જો સરહદની વાડ પાસે કોઈ મોટું કામ થાય છે તો બંને પક્ષો એકબીજા સાથે તેની માહિતી શેર કરે છે.

કોઈ મોટી ઘટના બની નથી

અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે કેટલીક ઘટનાઓને બાદ કરતાં ગયા વર્ષના સૈન્ય યુદ્ધવિરામ કરાર સારી રીતે કામ કરી રહ્યો છે. કેટલીક ઘટનાઓમાં 6 સપ્ટેમ્બરે જમ્મુમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ અકારમ ગોળીબારનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બંદૂકોનું મૌન આંતરરાષ્ટ્રીય સરહદ પર શાંતિ જાળવવામાં મદદ કરી રહ્યું છે. એટલું જ નહીં, સરહદી રહેવાસીઓ અને ખેડૂતો કોઈપણ અવરોધ વિના તેમનું સામાન્ય કામ કરી રહ્યા છે.

જો કે, અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે તેઓ પાકિસ્તાન દ્વારા અકારણ ગોળીબારથી ડરતા નથી અને તેનો જવાબ આપવા સક્ષમ છે. નોંધપાત્ર વાત એ છે કે 772 કિલોમીટર લાંબી નિયંત્રણ રેખા સેના દ્વારા રક્ષિત છે. બીએસએફ તેના ઓપરેશનલ કમાન્ડ હેઠળ આ મોરચાના લગભગ 435 કિમી વિસ્તારમાં તૈનાત છે.

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati