Breaking News : ભારતમાં ગેરકાયદે એન્ટ્રી, નકલી દસ્તાવેજો.. દિલ્હીમાં ભારત વિરોધી પોસ્ટરો ચોંટાડનાર આરોપીઓને લઈ મોટા ખુલાસા
દિલ્હી પોલીસે તિરુપુરમાંથી 6 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. તેઓ દિલ્હીમાં ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી પોસ્ટરો ચોંટાડવાના આરોપમાં છે.

દિલ્હીમાં ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી પોસ્ટરો ચોંટાડવાના આરોપમાં Delhi Police ની સ્પેશિયલ સેલે તમિલનાડુના તિરુપુરમાંથી છ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. હાલ તેમને દિલ્હી પોલીસની કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ મામલે અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે.
તિરુપુર પોલીસ કમિશનર રાજેન્દ્રને મીડીયા ને જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે ધરપકડ કરાયેલા છ વ્યક્તિઓ સામે નોંધાયેલા કેસની સંપૂર્ણ વિગતો હજુ સુધી રાજ્ય પોલીસને આપી નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે તિરુપુરમાં આ છ લોકો સામે કોઈ સ્થાનિક કેસ નોંધવામાં આવ્યો નથી.
રાજેન્દ્રને વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષ દરમિયાન તિરુપુર વિસ્તારમાંથી 200થી વધુ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે અને કાનૂની પ્રક્રિયા બાદ તેમને તેમના દેશમાં પરત મોકલવામાં આવ્યા છે.
આ સમગ્ર ઘટનાને લઈને તમિલનાડુની વિપક્ષી પાર્ટી AIADMK ના મહાસચિવ એડાપ્પાડી કે. પલાનીસ્વામીએ રાજ્ય સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું છે કે દિલ્હી પોલીસની કાર્યવાહી પહેલા રાજ્ય પોલીસની આતંકવાદ વિરોધી એકમ શું કરી રહી હતી.
પલાનીસ્વામીએ એક નિવેદનમાં આરોપ મૂક્યો કે DMK સરકારના સમયમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે આતંકવાદી ઘટનાઓ થવાની સંભાવના વધી ગઈ છે.
નકલી દસ્તાવેજો સાથે રહેતા હતા આરોપીઓ
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ શુક્રવારે તિરુપુર પહોંચી હતી. ધરપકડ કરાયેલા છ બાંગ્લાદેશી નાગરિકો તિરુપુર શહેરના અલગ અલગ વિસ્તારોમાં નકલી દસ્તાવેજોના આધારે રહેતા હતા.
તિરુપુર પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા લોકોમાં મિઝાનુર રહેમાન (33), મોહમ્મદ શબ્દ (35), ઉમર (32), મોહમ્મદ લિટન (40), મોહમ્મદ શાહિદ (40) અને મોહમ્મદ ઉજ્જવલ (29)નો સમાવેશ થાય છે. તેમની પાસેથી ઉત્તર ભારતના સરનામાં ધરાવતા 12 મોબાઇલ ફોન અને નકલી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.
તિરુપુર શહેર પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસના એક ઇન્સ્પેક્ટરના નેતૃત્વમાં બે સબ-ઇન્સ્પેક્ટર સહિત સાત સભ્યોની વિશેષ ટીમ 20 ફેબ્રુઆરીએ તિરુપુર પહોંચી હતી. શરૂઆતમાં છેય લોકોને તિરુપુર ઉત્તર પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
બીજા દિવસે સવારે તબીબી તપાસ કર્યા બાદ તેમને તિરુપુરના ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટની મંજૂરી બાદ તમામ આરોપીઓને ટ્રેન દ્વારા દિલ્હી લઈ જવામાં આવ્યા હતા.
પોલીસ કમિશનર રાજેન્દ્રને ફરી એક વખત સ્પષ્ટ કર્યું કે તિરુપુર શહેરના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં આ છ લોકો સામે કોઈ કેસ નોંધાયેલ નથી. તેઓ કેટલા સમયથી અહીં રહેતા હતા અને ક્યાં કામ કરતા હતા તે જાણવા માટે વધુ તપાસ ચાલુ છે.
