Iran- Israel War Breaking News: ખાડી દેશોની બગડતી પરિસ્થિતિ વચ્ચે, DGCA એ એડવાઇઝરી જાહેર કરી, 11 દેશોની ફ્લાઇટ્સ ટાળવાની અપીલ
મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે DGCAએ ભારતીય એરલાઇન્સને 11 દેશોના એરસ્પેસ ટાળવા અને વૈકલ્પિક પ્લાન તૈયાર રાખવા સૂચના આપી છે.
મધ્ય પૂર્વમાં વધતા તણાવના માહોલ વચ્ચે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની નાગરિક ઉડ્ડયન નિયામક સંસ્થા DGCAએ એરલાઇન્સ માટે મહત્વપૂર્ણ સલામતી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ, ભારતીય એરલાઇન્સને કુલ 11 દેશોના એરસ્પેસનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવી છે, જેથી મુસાફરો અને ફ્લાઈટ સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
11 જોખમી હવાઈ ક્ષેત્ર
DGCAએ ખાસ કરીને મધ્ય પૂર્વના કેટલાક સંવેદનશીલ વિસ્તારો અંગે ચેતવણી આપી છે. DGCAની એડવાઇઝરી મુજબ હાઇ-રિસ્ક વિસ્તારોમાં આવેલા FIRs હેઠળ તમામ ઊંચાઈઓ પર ઉડાન જોખમી ગણાઈ છે. ઈરાન, ઈઝરાયેલ, લેબનોન , સાઉદી અરેબિયા, બહેરિન, ઓમાન, ઈરાક, જોર્ડન, યુએઈ, કતાર અને કુવૈત જેવા દેશોના એરસ્પેસ ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ વિસ્તારોમાં મિસાઇલ હુમલા, ડ્રોન પ્રવૃત્તિઓ અને સૈનિક કાર્યવાહી વધતા નાગરિક ઉડ્ડયન માટે ખતરો ઊભો થયો છે.
એરલાઇન્સને સૂચના આપવામાં આવી છે કે ખાસ પરિસ્થિતિ સિવાય આ વિસ્તારોમાં કોઈપણ ફ્લાઇટ લેવલ પર ઉડાન ન ભરે. સાથે જ સાઉદી અરેબિયા અને ઓમાનમાં FL320થી નીચે ઉડાન ટાળવા કહ્યું છે. જ્યાં ઉડાન મંજૂર છે ત્યાં કડક મોનીટરીંગ સિસ્ટમ લાગુ કરવાની ફરજ પાડવામાં આવી છે.
આકસ્મિક યોજનાની જરૂરિયાત
આ પગલાં પાછળનું મુખ્ય કારણ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતી સૈનિક અથડામણ છે. તાજેતરમાં મિસાઇલ અને ડ્રોન હુમલાઓના અનેક બનાવો સામે આવ્યા છે, જેના કારણે માત્ર સંકળાયેલા દેશો જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ હવાઈ સુરક્ષા અંગે ચિંતા વધી છે.
સાથે સાથે DGCAએ એરલાઇન્સને Contingency પ્લાન તૈયાર રાખવાની પણ ખાસ સૂચના આપી છે. એટલે કે, કોઈ પણ અચાનક પરિસ્થિતિ સર્જાય ત્યારે ફ્લાઈટ્સને તરત જ વિકલ્પિક માર્ગો પર ફેરવવાની તૈયારી હોવી જોઈએ. આ પ્રકારની પૂર્વ તૈયારીઓથી ઇમર્જન્સીમાં ઝડપથી નિર્ણય લઈ શકાય છે.
આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ
આ તણાવનો પ્રભાવ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રમાં પણ જોવા મળી રહ્યો છે. અનેક આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે મધ્ય પૂર્વ તરફની પોતાની સેવાઓને સ્થગિત કરી દીધી છે અથવા કેટલાક રૂટમાં ફેરફાર કર્યો છે. તેના પરિણામે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વિશ્વભરના નિષ્ણાતો માને છે કે જો આ સંઘર્ષ લાંબો સમય ચાલે, તો એર ટ્રાવેલના ખર્ચમાં વધારો થઈ શકે છે. કારણ કે ફ્લાઈટ્સને લાંબા અને વૈકલ્પિક રૂટ અપનાવવાના રહેશે, જેના કારણે ઇંધણ અને સમય બંનેનો ખર્ચ વધશે.
DGCAનો આ નિર્ણય મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપતો છે. હાલની સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલું આ પગલું જરૂરી માનવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિમાં આવતા બદલાવને આધારે આગળની સૂચનાઓમાં ફેરફાર પણ થઈ શકે છે.
20 માર્ચના મહત્વના સમાચાર : ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો,60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવા સાથે વરસાદ વરસ્યો

