Breaking News: અયોધ્યા રામ મંદિર દાન વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, સ્વતંત્ર તપાસની માગ તેજ
આ મામલાની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે વકીલોને કોઈપણ કેસનો મૌખિક ઉલ્લેખ ન કરવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું કે જરૂરી મુદ્દાઓ લેખિત સ્વરૂપે રજૂ કરવામાં આવે, ત્યારબાદ કોર્ટ તેના આધારે યોગ્ય નિર્ણય લેશે.

અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરના દાનમાં કથિત ગેરરીતિ અને ચોરીના આરોપો હવે દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી ગયા છે. આ મામલે વકીલ અનૂપ અવસ્થીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કોર્ટની દેખરેખ હેઠળ સ્વતઃ સંજ્ઞાન લેવામાં આવે અને સમગ્ર ઘટનાની સ્વતંત્ર તપાસ કરાવવામાં આવે તેવી માંગ કરી છે. અરજીમાં જાહેર વિશ્વાસ જાળવી રાખવા માટે FIR નોંધવાની અને કોર્ટના નિરીક્ષણ હેઠળ તપાસ હાથ ધરવાની પણ માંગ કરવામાં આવી છે.
CJI સૂર્યકાંતે લેખિત રજૂઆત પર ભાર મૂક્યો
આ મામલાની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે વકીલોને કોઈપણ કેસનો મૌખિક ઉલ્લેખ ન કરવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું કે જરૂરી મુદ્દાઓ લેખિત સ્વરૂપે રજૂ કરવામાં આવે, ત્યારબાદ કોર્ટ તેના આધારે યોગ્ય નિર્ણય લેશે. CJIએ વધુમાં કહ્યું કે જામીન અરજીઓ, વ્યક્તિગત સ્વતંત્રતા સંબંધિત મુદ્દાઓ અને અન્ય જરૂરી બાબતોની યોગ્ય રીતે યાદી તૈયાર કરવામાં આવશે.
યોગી સરકારે SITની રચના કરી
આ દરમિયાન ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે પણ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વિનંતી બાદ મુખ્યમંત્રીના નિર્દેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. SIT દાન પેટીઓ અને દાનની રકમ સંબંધિત તમામ આરોપોની તપાસ કરીને સરકારને વિગતવાર અહેવાલ સોંપશે.
ત્રણ વરિષ્ઠ અધિકારીઓને તપાસની જવાબદારી
આ તપાસ સમિતિમાં લખનૌના વિભાગીય કમિશનર અને IAS અધિકારી વિજય વિશ્વાસ પંત, પોલીસ મહાનિરીક્ષક (IG) કિરણ એસ. તેમજ નાણાં વિભાગના વિશેષ સચિવ નીલ રતનનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારના નિવેદન મુજબ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને શંકાઓને ધ્યાનમાં રાખીને પારદર્શક તપાસ માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
નૃપેન્દ્ર મિશ્રાએ જવાબદારી અંગે કરી સ્પષ્ટતા
બીજી તરફ રામ મંદિર નિર્માણ સમિતિના વડા નૃપેન્દ્ર મિશ્રાએ દાન વિવાદથી પોતાને દૂર રાખતા જણાવ્યું કે તેમની જવાબદારી માત્ર મંદિરના બાંધકામ કાર્યના નિરીક્ષણ પૂરતી મર્યાદિત છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ અયોધ્યા બાંધકામ પ્રોજેક્ટની સમીક્ષા માટે આવ્યા હતા અને દાન સંબંધિત આરોપો પર કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી.
અખિલેશ યાદવના આરોપોથી રાજકીય ગરમાવો
રાજકીય સ્તરે પણ આ મુદ્દો ગરમાયો છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે રામ મંદિરના દાનમાં મોટા પાયે ગેરરીતિઓના આરોપો લગાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ દ્વારા આ મુદ્દો ઉઠાવ્યો છે અને દાનની રકમના ઉપયોગ અંગે પારદર્શક તપાસની માંગ કરી છે.
ભાજપનો વળતો પ્રહાર
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે અખિલેશ યાદવના આરોપોને ફગાવી દેતા તેમના પર રામ મંદિર અંગે અફવાઓ ફેલાવવાનો અને લોકોમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે રાજકીય લાભ માટે મંદિર જેવા આસ્થાના કેન્દ્રને વિવાદમાં ખેંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
તપાસના પરિણામ પર સૌની નજર
રામ મંદિરના દાનને લઈને ઉભા થયેલા આ વિવાદ વચ્ચે હવે સૌની નજર સુપ્રીમ કોર્ટ અને SITની તપાસ પર ટકેલી છે. તપાસના પરિણામો બાદ જ આરોપોમાં કેટલી હકીકત છે અને દાન વ્યવસ્થાપનમાં કોઈ ગેરરીતિ થઈ છે કે નહીં તે સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચો- Indian Coins: ભારતમાં સિક્કા બનાવવાની ફેક્ટરી ક્યાં છે, RBI કોને આપે છે કોન્ટ્રાક્ટ?
