બેંગલુરુના કેફેમાં વિસ્ફોટ, નવ ઘાયલ, સીએમએ કહ્યું- બ્લાસ્ટ IEDથી થયો, જુઓ બ્લાસ્ટના CCTV
બેંગ્લોરના રાજાજીનગરમાં રામેશ્વરમ કેફેમાં પ્રંચડ વિસ્ફોટ થયો હતો, જેમાં નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું છે કે બેંગલુરુના રામેશ્વરમ કેફેમાં IED બ્લાસ્ટ થયો હતો
બેંગ્લોરના રાજાજીનગરમાં રામેશ્વરમ કેફેમાં પ્રંચડ વિસ્ફોટ થયો હતો, જેમાં નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું છે કે બેંગલુરુના રામેશ્વરમ કેફેમાં IED બ્લાસ્ટ થયો હતો તે સિલિન્ડર બ્લાસ્ટ નહોતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રામેશ્વરમ કેફેમાં કોઈ અજાણ્યાએ બેગ રાખી હતી.
કેફેમાં બ્લાસ્ટની ઘટના બાદ ફાયર અધિકારીએ કહ્યું કે અમને ફોન આવ્યો કે રામેશ્વરમ કેફેમાં સિલિન્ડર વિસ્ફોટ થયો છે. અમે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. ડોગ સ્ક્વોડની સાથે ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ પણ વિસ્ફોટના સ્થળે પહોંચી હતી અને સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા હતા.
જ્યારે, રેસ્ટોરન્ટના એક સિક્યોરિટી ગાર્ડે કહ્યું, “હું કેફેની બહાર ઊભો હતો. રેસ્ટોરન્ટમાં ઘણા ગ્રાહકો હાજર હતા. અચાનક જોરદાર ધડાકા સાથે અવાજ સંભળાયો અને એકાએક આગની જ્વાળા ફાટી નીકળી, જેના કારણે હોટલની અંદરના ગ્રાહકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. કેટલાક ઈજાગ્રસ્ત થવા પામ્યા હતા.
Bomb blast in #RameshwaramCafe #Bangalore caught on cctv, confirmation not #LPGCylinder pic.twitter.com/B5rtDCnsOp
— Abhishek (@abhishekbsc) March 1, 2024
અગાઉ, પોલીસે જણાવ્યું હતું કે, શુક્રવારે રામેશ્વરમ કેફેમાં શંકાસ્પદ એલપીજી સિલિન્ડર વિસ્ફોટ અને આગ લાગવાથી ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા હતા. જો કે હજુ સુધી ઘાયલોની ચોક્કસ સંખ્યા આપવામાં આવી નથી. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક રીતે મળેલા અહેવાલ અનુસાર પાંચ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર કુંદનહલ્લીના રામેશ્વરમ કેફેમાં આજે શુક્રવારે બપોરે 1.30 થી 2 વાગ્યાની વચ્ચે ભારે વિસ્ફોટ થયા બાદ એકાએક આગ ફાટી નીકળી હતી. માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે સિલિન્ડરમાં વિસ્ફોટ થયો છે. જો કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે અમે ઘટનાની તમામ એંગલથી તપાસ કરી રહ્યા છીએ.