ભારતનું એક એવુ પ્રસિદ્ધ મંદિર જ્યાં આરતી સમયે નથી વગાડવામાં આવતી ઘંટડીઓ- કારણ જાણીને ચોંકી જશો
ભારતના આ પ્રસિદ્ધ મંદિરમાં આરતીના સમયે ઘંટડીઓ વગાડવામાં નથી આવતી. સામાન્ય રીતે મંદિરમાં આરતી સમયે ઘંટારવ કરવામાં આવે છે. તેના વિના આરતી પણ જાણે સુની કે અધૂરી લાગે છે પરંતુ ભારતનું આ એક એવુ મંદિર છે જે અનેક રહસ્યોથી ભરેલુ છે અનેત્યાં આરતી સમયે ઘંટડી નથી વગાડવામાં આવતી. જેની પાછળનું કારણ પણ ઘણુ રસપ્રદ છે. આવો જાણીએ.

ભારતમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. જે દરેકનો એક અલગ ઈતિહાસ છે. આ મંદિરોમાં એક પ્રસિદ્ધ મંદિર એવુ પણ છે જ્યાં આરતી સમયે ઘંટડી વગાડવામાં નથી આવતી. વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં આરતી સમયે ઘંટડી નથી વગાડવામાં આવતી. તેનુ પાછળનું કારણ એ છે કે ત્યાં શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપે બિરાજમાન છે આથી પોઢેલા બાળકૃષ્ણની નીંદરમાંથી જગાડવા અનુચિત ગણાય છે. તેમજ મૂર્તિ ની સામે પણ પડદો રાખવામાં આવે છે જેથી ભક્ત ભગવાનને એકટકી જોયા ન કરે. આ અનોખી પરંપરા જ આ મંદિરને વિશેષ બનાવે છે.
વૃંદાવન સ્થિત બાંકેબિહારી મંદિર સદીઓથી ભારતીય સંસ્કૃતિનો ભાગ રહ્યુ છે. આ મંદિર જગપાલક ભગવાન શ્રી હરી વિષ્ણુ ના આઠમાં અવતાર ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. માન્યતા એવી છે કે આ મંદિરમાં જે પણ શ્રદ્ધાળુ દર્શન કરવા આવે છે તેમની મનોકામના જરૂર પુરી થાય છે.
આ મંદિરને વિશેષ બનાવે છે ભગવાન શ્રીકૃષ્ણની બાળ લીલાઓ. શ્રીકૃષ્ણ એ તેમનુ બાળપણ વૃંદાવનમાં વિતાવ્યુ હતુ. ભગવાન શ્રીકૃષ્ણના બાળ અવતારની અનેક કથાઓ છે. જેમા બાંકે બિહારી મંદિરમાં ઘંટડી ન વગાડવાનું રહસ્ય પણ સામેલ છે.
બાંકે બિહારી મંદિરમાં ઘંટડી ન વગાડવા પાછળનું રહસ્ય
બાંકે બિહારી મંદિરમાં ભગવાનની આરતી સમયે ઘંટડી ન વગાડવા પાછળ અનોખી પરંપરાનું પાલન કરવામાં આવે છે. કારણ કે એવી માન્યતા છે કે આ મંદિરમાં શ્રીકૃષ્ણ બાળ સ્વરૂપે વિરાજમાન છે. એવામાં ઘંટડી વગાડવાથી બાળ કૃષ્ણની નીંદર ખરાબ થઈ શકે છે. મંદિરમાં રહેલા ભક્તોથી લઈને પૂજારીઓ સહિતના શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપને પૂજે છે. અહીં તેમના સન્માનમાં ઘંટડીઓ નથી વગાડવામાં આવતી. જેનાથી તેમની નીંદરમાં કોઈ બાધા ન આવે. અહીં શ્રીકૃષ્ણને બાળ સ્વરૂપે જોવામાં આવે છે, આથી જ તેની બાળકની જેમ સંભાળ લેવામાં આવે છે.
મંદિરમાં પળાય છે અનોખી પરંપરા
મંદિરના પૂજારી હંમેશા મંદિર પરિસરમાં એવો માહોલ બનાવે છે, જાણે કોઈ નાના બાળકને આરામ આપી રહ્યા હોય. આ મંદિરની એક અનોખી પરંપરા એ પણ છે. અહી થોડા સમય માટે પ્રતિમાની સામે પડદો ઢાંકવામાં આવે છે. આવુ કરવા પાછળની માન્યતા એ છે કે જો કોઈ ભક્ત એકીટશે બાળકૃષ્ણની મૂર્તિને નિહાળે છે તો ભગવાન ભક્તથી વશીભૂત થઈને તેની સાથે ચાલવા લાગે છે. આથી જ પૂજારી ભગવાનની પ્રતિમાં ઉપર પડદો ઢાંકીને એ સુનિશ્ચિત કરે છે કે ભગવાન કૃષ્ણ ભક્તની સાથે જવા માટે સમ્મોહિત ન થઈ જાય.
