Breaking News : ફાંસીની સજા ! શેખ હસીના વિરુદ્ધ આવ્યો નિર્ણય, શું ભારત બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાનને પરત મોકલશે ? જાણો નિયમ
બાંગ્લાદેશની કોર્ટમાં શેખ હસીના વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે. એવામાં આજે એટલે કે 17 નવેમ્બર સોમવારના રોજ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા મળશે, તેવી જાહેરાત કરવામાં આવી.

ગયા વર્ષે વિદ્યાર્થી આંદોલન સામે થયેલી કાર્યવાહી અંગે હસીના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ આરોપો વચ્ચે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા મળશે, તેવી જાહેરાત બાંગ્લાદેશ કોર્ટ દ્વારા કરવામાં આવી છે.
સમગ્ર ઘટના શું હતી?
બાંગ્લાદેશ ટ્રિબ્યુનલના ન્યાયાધીશે જણાવ્યું હતું કે, જુલાઈ-ઓગસ્ટ 2024 દરમિયાન થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન પરિસ્થિતિ બગડી હતી. આ હિંસક અથડામણોમાં આશરે 1,400 લોકો માર્યા ગયા હતા અને 2,400 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ન્યાયાધીશના મતે, શેખ હસીના સરકારે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે ભારે હથિયારોનો ઉપયોગ કર્યો હતો. વિરોધીઓને રોકવા માટે હેલિકોપ્ટર ફાયરિંગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે દેશના ઘણા ભાગોમાં તબાહી મચી ગઈ હતી અને પરિસ્થિતિ વધુ વણસી હતી. આ પછી શેખ હસીના બાંગ્લાદેશ ભાગી ગયા અને ભારતમાં આશ્રય માંગ્યો.
શું ભારત શેખ હસીનાને પરત મોકલશે?
પહેલા તો એ સમજવું મહત્વપૂર્ણ છે કે, કોઈપણ દેશમાંથી ભાગેડુ અથવા આરોપી વ્યક્તિને સીધો પરત મોકલી શકાતો નથી. આ માટે પ્રત્યાર્પણ સંધિ, કાનૂની પ્રક્રિયા, સુરક્ષા મૂલ્યાંકન અને માનવ અધિકારોની શરતો લાગુ પડે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ છે પરંતુ તે ત્યારે જ લાગુ પડે છે, જ્યારે કેસ સંપૂર્ણપણે ગુનાહિત હોય અને રાજકીય રીતે આરોપિત ન હોય. આંતરરાષ્ટ્રીય કાયદાનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે, રાજકીય બદલો લેવાના કેસમાં કોઈ પણ વ્યક્તિને પરત મોકલવામાં આવતો નથી.
રાજકીય બદલો લેવાનો નિર્ણય કે પછી…?
જો બાંગ્લાદેશ કોર્ટનો નિર્ણય રાજકીય બદલો લેવાનો હોય અથવા સત્તા પરિવર્તનથી ઉદ્ભવતો હોય, તો ભારત કાયદેસર રીતે પ્રત્યાર્પણનો ઇનકાર કરી શકે છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે, ભારત જોશે કે શેખ હસીનાને ન્યાયી ટ્રાયલ મળશે કે નહીં અને તેમના જીવને જોખમ છે કે નહીં? જો કોઈ ખતરો જોવા મળે છે, તો ભારતીય અદાલતો આ પ્રત્યાર્પણને રોકી શકે છે.
વધુમાં, શેખ હસીના ભારતમાં રાજકીય આશ્રયનો દાવો કરી શકે છે. જો ભારત સરકાર આશ્રય આપે છે, તો આવી સ્થિતિમાં કોઈપણને પાછા મોકલવા એ આંતરરાષ્ટ્રીય આશ્રય નિયમોની વિરુદ્ધ હશે. ભારતે અગાઉ દલાઈ લામા, અનેક અફઘાન નેતાઓ અને શ્રીલંકા તેમજ પાકિસ્તાનના ઘણા રાજકીય વ્યક્તિઓને આશ્રય આપ્યો છે.
અંતિમ નિર્ણય કોણ લેશે?
ટૂંકમાં સૌથી અગત્યનો નિર્ણય ભારતીય અદાલતો દ્વારા લેવામાં આવશે, બાંગ્લાદેશ દ્વારા નહીં. બાંગ્લાદેશ ગમે તેટલા દસ્તાવેજો મોકલે, તેમને ભારતીય અદાલતો દ્વારા ચકાસણીમાંથી પસાર થવું પડશે. આ સમગ્ર પ્રક્રિયામાં ઘણીવાર વર્ષો લાગી શકે છે.
એકંદરે, બાંગ્લાદેશની અદાલતનો નિર્ણય ભારતને આપમેળે કોઈ પગલાં લેવા માટે ફરજ પાડી શકે નહીં. તમામ કાનૂની, રાજદ્વારી અને સુરક્ષા પાસાઓ પર વિચાર કર્યા પછી જ આને લગતો નિર્ણય લેવામાં આવશે.
