સંજય રાઉતે લીધેલા ઈન્ટરવ્યુમાં ઉદ્ધવ ઠાકરેએ કરી ષડયંત્રની વાત, ભાજપ-મનસેએ લગાવ્યો આ આરોપ
ઉદ્ધવ ઠાકરેનો (Uddhav Thackeray) ઈન્ટરવ્યુ પૂરો થતાં જ ભાજપ વતી પૂર્વ નાણામંત્રી સુધીર મુનગંટીવારે અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથેની વાતચીતમાં આનો જવાબ આપ્યો.
સીએમ એકનાથ શિંદે (CM Eknath Shinde) જૂથના ધારાસભ્યોના બળવા પછી, આજે (26 જુલાઈ, મંગળવાર) શિવસેના (Shiv Sena) પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના બહુપ્રતિક્ષિત ઇન્ટરવ્યુનો પ્રથમ ભાગ રિલીઝ કરવામાં આવ્યો હતો. આવતીકાલે બીજો ભાગ રિલીઝ થશે. શિવસેનાના મુખપત્ર સામનાના એક્ઝિક્યુટિવ એડિટર સંજય રાઉતે આ ઈન્ટરવ્યુ લીધું છે. આ મુલાકાતમાં ઉદ્ધવ ઠાકરેએ સીએમ શિંદે અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે હું હોસ્પિટલમાં હતો અને મારો શ્વાસ અટકી રહ્યો હતો, ત્યારે શિંદે અને ભાજપ વચ્ચે મારી સરકારને તોડવા માટે ષડયંત્ર ચાલી રહ્યું હતું. ભાજપે તેમની સરકારને તોડવા માટે હજારો કરોડ રૂપિયા ખર્ચ્યા.
ભાજપ અને મનસેએ ઉદ્ધવ ઠાકરે દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબ આપ્યા
ઉદ્ધવ ઠાકરેનો ઈન્ટરવ્યુ પૂરો થતાં જ ભાજપ વતી પૂર્વ નાણામંત્રી સુધીર મુનગંટીવારે અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથેની વાતચીતમાં આનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે જ્યારે ભાજપ સાથે ગઠબંધન તોડીને તમારી મહાવિકાસ આઘાડીની સરકાર બની રહી હતી, ત્યારે પણ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હશે?
રાજ ઠાકરેની પાર્ટી MNSના પ્રવક્તા સંદીપ દેશપાંડેએ અમારી પાર્ટનર ચેનલ TV9 Bharatvarsh Digital પર પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું કે, અઢી વર્ષ સુધી અઢળક પૈસા કમાયા બાદ ઉદ્ધવ ઠાકરે હવે સહાનુભૂતિ મેળવી રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની તબિયત પણ ખરાબ હતી ત્યારે શિવસેના મનસેના કોર્પોરેટરોને પોતાની પાર્ટીમાં ભેળવી રહી હતી.
ભાજપના નેતા ચંદ્રશેખર બાવનકુલેએ પણ તેમના પર સહાનુભૂતિ મેળવવાનો આરોપ લગાવ્યો અને સવાલ કર્યો કે ઉદ્ધવ ઠાકરેએ 2019માં દેવેન્દ્ર ફડણવીસ સાથે છેતરપિંડી કરી, શું એ ઠીક હતું ? તેમણે કહ્યું કે શિવસેનાના બળવા સાથે ભાજપને કોઈ લેવાદેવા નથી. તેમના પક્ષના લોકો તેમનાથી કંટાળી ગયા અને બળવો કર્યો, આમાં ભાજપ શું કરે? ઉદ્ધવ ઠાકરેએ હવે તેમની પાર્ટી સંગઠીત કરવી જોઈએ અને સંજય રાઉતના ચુંગાલમાંથી બહાર નીકળવું જોઈએ.
બીજેપી અને MNSની લડાઈ પર સંજય રાઉતનો પલટવાર
આના પર આજે જ્યારે સંજય રાઉતે પત્રકારોની આ પ્રતિક્રિયાઓ પર જવાબ માંગ્યો તો તેમણે કહ્યું, ‘થોભો, ધીરજ રાખો, ઈન્ટરવ્યુ હજી પૂરો થયો નથી. બીજો ભાગ આવતીકાલે રિલીઝ થવા જઈ રહ્યો છે. હજુ સુધી ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરે અને MNS વિશે કંઈ કહ્યું નથી. તો પછી MNS શા માટે પ્રતિક્રિયા આપી રહી છે? લોકશાહીમાં દરેકને બોલવાનો અધિકાર છે. પણ બધા બોલે તેના પર જવાબ આપવો મને યોગ્ય નથી લાગતો.