Maharashtra: શિવસેનાના બોસ કોણ? ચૂંટણી પંચે શિંદે અને ઠાકરેને સાબિત કરવા માટે 8 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો
ચૂંટણી પંચે (Election Commission) ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે બંનેને શિવસેનામાં (Shiv Sena) બહુમતી હોવાનું સાબિત કરવા માટે દસ્તાવેજી પુરાવા રજૂ કરવા કહ્યું છે. બંને જૂથોને 8 ઓગસ્ટે બપોરે 1 વાગ્યા સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં (Maharashtra) નવી સરકાર તો બની ગઈ છે, પરંતુ શિવસેનાની (Shivsena) દાવેદારીને લઈને હજુ પણ લડાઈ ચાલી રહી છે. ચૂંટણી પંચે (Election Commission) ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે બંનેને આ સાબિત કરવા માટે દસ્તાવેજી પુરાવા રજૂ કરવા જણાવ્યું છે કે, તેમની પાસે શિવસેનામાં બહુમતી છે. બંને જૂથોને 8 ઓગસ્ટે બપોરે 1 વાગ્યા સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. આ પછી ચૂંટણી પંચ શિવસેનાના બંને જૂથોના દાવા અને વિવાદોને લઈને સુનાવણી કરશે.
અસલી શિવસેનાને લઈને ચાલી રહેલી ટક્કર ચૂંટણી પંચ સુધી પહોંચી ગઈ છે. શિંદે જૂથ અને ઠાકરે જૂથે પક્ષ વિશે પંચ સમક્ષ તેમના દાવા રજૂ કર્યા છે. ઉદ્ધવ ઠાકરેની છાવણીના અનિલ દેસાઈએ અનેક વખત ચૂંટણી પંચને પત્ર લખીને દાવો કર્યો હતો કે પક્ષના કેટલાક સભ્યો પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. તેમણે શિંદે જૂથ દ્વારા ‘શિવસેના’ અથવા ‘બાલા સાહેબ’ નામનો ઉપયોગ કરીને કોઈપણ રાજકીય પક્ષની સ્થાપના સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. અનિલ દેસાઈએ એકનાથ શિંદે, ગુલાબરાવ પાટીલ, તાનજી સાવંત અને ઉદય સામંતને પાર્ટીના તમામ હોદ્દા પરથી હટાવવાની પણ માંગ કરી હતી.
શિવસેનાના પ્રતિકને લઈને પણ દાવેદારી કરવામાં આવી
તે જ સમયે, એકનાથ શિંદે કેમ્પ દ્વારા ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર, 1968 ના પેરા 15 હેઠળ એકનાથ શિંદેના નેતૃત્વવાળા જૂથને શિવસેના તરીકે જાહેર કરવા અને તેમને પક્ષનું ચૂંટણી પ્રતીક “ધનુષ અને તીર” ફાળવવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. શિંદેએ ચૂંટણી પંચને એમ પણ કહ્યું છે કે 55માંથી 40 ધારાસભ્યો, ઘણા એમએલસી અને 18માંથી 12 સાંસદો તેમની સાથે છે.
ચૂંટણીપંચે આપ્યુ આ નિવેદન
બંને દાવાઓ પર, ચૂંટણી પંચે કહ્યું, “ઉપરોક્ત તથ્યો અને સંજોગોને ધ્યાનમાં રાખીને, તે સ્પષ્ટ છે કે શિવસેનામાં વિભાજનની સ્થિતિ છે. એક જૂથનું નેતૃત્વ એકનાથરાવ સંભાજી શિંદે કરી રહ્યા છે અને બીજા જૂથનું નેતૃત્વ ઉદ્ધવજી ઠાકરે કરી રહ્યા છે. બંને જૂથોના પોતપોતાના દાવા છે.” ચૂંટણી પંચે બંને જૂથોને 8 ઓગસ્ટના રોજ બપોરે 1:00 વાગ્યા સુધીમાં તેમના દાવાના સમર્થનમાં સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, શિવસેનામાં આંતરીક જૂથવાદ સામે આવ્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણ જોવા મળી રહી છે. એક પછી એક નવા દાવાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હવે સૌ કોઈની નજર ચૂંટણીપંચની સુનાવણી પર છે.