Iran and US-Israel War : ભારતની એન્ટ્રી ! 48 કલાકમાં PM મોદીએ આ 8 દેશો સાથે કરી વાતચીત, જાણો યુદ્ધ પર શું બોલ્યું ભારત
ભારત ઇરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના વધતા સંઘર્ષને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરે છે. વડાપ્રધાન મોદીએ ગલ્ફ દેશોના નેતાઓ સાથે વાતચીત કરી ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી.

ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે વધતા સંઘર્ષને લઈને ભારતે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. સંઘર્ષની પરિસ્થિતિ દિવસેને દિવસે વધુ તીવ્ર બની રહી છે અને તેનો વ્યાપ પણ વિસ્તરી રહ્યો છે. વિદેશ મંત્રાલયે તમામ પક્ષોને સંયમ રાખવા, તણાવ ટાળવા અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે. ભારતે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે તે સંવાદ અને રાજદ્વારી દ્વારા ઉકેલ લાવવાના પોતાના અભિગમ પર અડગ છે.
PM એ કતારના અમીર શેખ તમિમ બિન હમાદ અલ થાની સાથે ખાસ વાતચીત કરી
છેલ્લા 48 કલાકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગલ્ફ અને પશ્ચિમ એશિયાના અનેક દેશોના નેતાઓ સાથે ચર્ચા કરી છે. તેમાં યુએઈ, ઈઝરાયલ, સાઉદી અરેબિયા, જોર્ડન, બહેરીન, ઓમાન, કુવૈત અને કતારનો સમાવેશ થાય છે. વડા પ્રધાને ઓમાનના સુલતાન, કુવૈતના ક્રાઉન પ્રિન્સ તેમજ કતારના અમીર શેખ તમિમ બિન હમાદ અલ થાની સાથે ખાસ વાતચીત કરી. આ ચર્ચાઓ દરમિયાન સંબંધિત દેશોમાં રહેતા ભારતીય નાગરિકોની સલામતી અને સુખાકારી પર ભાર મૂકાયો. કતારમાં ભારતીય સમુદાયને આપવામાં આવી રહેલા સહકાર બદલ તેમણે કતારના નેતૃત્વનો આભાર પણ વ્યક્ત કર્યો.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે 28 ફેબ્રુઆરીએ સંઘર્ષ શરૂ થયા બાદથી ભારત સતત ચિંતિત છે. ખાસ કરીને રમઝાનના પવિત્ર મહિના દરમિયાન પરિસ્થિતિ વધુ બગડવી દુર્ભાગ્યપૂર્ણ છે. છેલ્લા કેટલાક દિવસોમાં સંઘર્ષ માત્ર તેજ થયો નથી, પરંતુ તેનો ફેલાવો અન્ય દેશોમાં પણ જોવા મળ્યો છે. વધતા વિનાશ અને જાનહાનીએ સામાન્ય જીવન અને આર્થિક પ્રવૃત્તિઓને અસર પહોંચાડી છે.
ભારતે વેપારી જહાજો પર થયેલા હુમલાઓની કડક નિંદા કરી
ગલ્ફ ક્ષેત્રમાં આશરે એક કરોડ ભારતીય નાગરિકો રહે છે અને કાર્યરત છે. તેમની સુરક્ષા ભારત માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ પ્રદેશમાંથી ભારતના વેપાર અને ઊર્જા પુરવઠાની મહત્વપૂર્ણ શૃંખલાઓ પસાર થાય છે, તેથી કોઈપણ મોટો વિક્ષેપ ભારતીય અર્થતંત્ર પર ગંભીર અસર કરી શકે છે. ભારતે વેપારી જહાજો પર થયેલા હુમલાઓની કડક નિંદા કરી છે, કારણ કે તાજેતરના હુમલાઓમાં કેટલાક ભારતીય નાગરિકોના મૃત્યુ અથવા ગુમ થવાના બનાવો નોંધાયા છે.
ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે લડાઈનો વહેલો અંત લાવવાના પ્રયાસોને સમર્થન આપે છે. અસરગ્રસ્ત દેશોમાં આવેલા ભારતીય દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સ સતત ભારતીય નાગરિકો અને સમુદાય સંગઠનો સાથે સંપર્કમાં છે અને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. સંઘર્ષમાં ફસાયેલા લોકોને શક્ય તેટલી મદદ પણ પૂરી પાડવામાં આવી રહી છે.
ભારત પ્રદેશની સરકારો તેમજ અન્ય મુખ્ય ભાગીદારો સાથે સતત સંપર્કમાં છે. વડા પ્રધાન અને વિદેશ પ્રધાન તેમના સમકક્ષો સાથે નિયમિત ચર્ચા કરી રહ્યા છે. બદલાતી પરિસ્થિતિ પર સરકાર નજીકથી નજર રાખી રહી છે અને દેશના શ્રેષ્ઠ હિતમાં યોગ્ય અને સમયોચિત નિર્ણયો લેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
જગત જમાદાર ટ્રમ્પે ખામેનેઈની હત્યા માટે તોડ્યો અમેરિકાનો સૌથી કડક કાયદો ! શું સજા થશે?
