Vadodara: ડ્રગ્સના કારોબારને નેસ્તનાબૂદ કરવાની નેમ વ્યક્ત કરતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંજુસરમાં નવા પોલીસ સ્ટેશનનું કર્યું લોકાર્પણ
ગુજરાતમાંથી ડ્રગ્ઝના દૂષણ નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે, એમ કહેતા હર્ષ સંઘવીએ (Harsh sanghvi) ઉમેર્યું કે છેલ્લા 11 માસમાં જ રાજ્યમાંથી રૂ. 5200 કરોડનું ડ્રગ્ઝ અને 6,500 વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે. પકડાયેલા વ્યક્તિ પૈકી 28 તો પાકિસ્તાની નાગરિક છે. ગુજરાતના સીમાડેથી આ દૂષણ ઘુસે નહીં એ માટે પોલીસે આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા સુધી જઇ ડ્રગ્ઝ પકડ્યું છે.
વડોદરા ખાતે (vadodara) ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) GIDC ખાતે મંજુસરમાં પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન કર્યું હતું. સાથો સાથે ડ્રગ્ઝના કારોબારને નેસ્તાનાબૂદ કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. પોલીસ સ્ટેશન માટે રૂ. 299 લાખના ખર્ચથી નવા બનનારા બિલ્ડિંગનું ભૂમિપૂજન કર્યું હતું. તેમજ મંજુસર ઔદ્યોગિક વિસ્તાર માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલા અલાયદા પોલીસ સ્ટેશનનો (Police station) પ્રારંભ કરાવ્યો હતો.
મંજૂસર ખાતે જીઆઈડીસીમાં કાર્યરત 450થી વધુ નાનીમોટી બહુરાષ્ટ્રીય કંપનીના એકમો સહિત 600થી વધુ એકમોમાં ઔદ્યોગિક સલામતી, કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે અલગ પોલીસ સ્ટેશન બનાવવા માટેની જરૂરિયાતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા તત્કાલ સેટઅપ મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં એક પોલીસ ઈન્સ્પેક્ટર અને સબ ઈન્સ્પેક્ટર ઉપરાંત હથિયારી તથા બિનહથિયારી એએસઆઈ મળી કુલ 89નું પોલીસબળ મંજૂર કરવામાં આવ્યું હતું. આ નવ રચિત પોલીસ સ્ટેશનમાં ભાદરવા પોલીસ સ્ટેશનના 13 ગામો, સાવલી પોલીસ સ્ટેશનના 10 અને વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના 16 ગામો અને મંજુસર જીઆઇડીસી વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. આ પોલીસ સ્ટેશન ઔદ્યોગિક શાંતિ જાળવવામાં અસરકારક પૂરવાર થશે.
પોલીસ સ્ટેશનનું ભૂમિપૂજન કર્યા બાદ જાહેરસભાને સંબોધન કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાતમાં થયેલા વિકાસમાં અહીંની ઔદ્યોગિક શાંતિ અને સલામતી મહત્વનું પરિબળ છે. રાજ્ય સરકાર દ્વારા ત્વરિત નિર્ણયો લઈ શાંતિ જાળવણી માટે કાયદાકીય ઉપચાર કરવામાં આવ્યા છે. જરૂર લાગી ત્યાં કાયદાઓ વધુ કડક બનાવવામાં આવ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા પોલીસ તંત્રને વધુ આધુનિક બનાવવામાં આવ્યું છે. તેથી પોલીસ તંત્ર ગુનાખોરીને ડામવા માટે સક્રીયતાથી કામ કરી રહ્યું છે.
થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ગુજરાતમાં ડ્રગ્સનો વેપલો ધમધમી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને બે સવાલ પણ પૂછ્યા હતા કે ગુજરાતમાં હજારો કરોડનું ડ્રગ્સ કેવી રીતે પહોંચે છે અને ડ્રગ્સ પકડાવા છતાં પોર્ટના માલિકો પર કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી. ત્યારે વડોદરામાં એક કાર્યક્રમમાં પહોંચેલા ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આડકતરો પ્રહાર કરી રાહુલ ગાંધીના ટ્વીટનો જવાબ આપ્યો હતો.
ડ્રગ્સના દૂષણને ડામવા કટિબદ્ધ ગુજરાત
ગુજરાતમાંથી ડ્રગ્ઝના દૂષણ નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે, એમ કહેતા હર્ષ સંઘવીએ (Harsh sanghvi) ઉમેર્યું કે છેલ્લા 11 માસમાં જ રાજ્યમાંથી રૂ. 5200 કરોડનું ડ્રગ્ઝ અને 6,500 વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે. પકડાયેલા વ્યક્તિ પૈકી 28 તો પાકિસ્તાની નાગરિક છે. ગુજરાતના સીમાડેથી આ દૂષણ ઘુસે નહીં એ માટે પોલીસે આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા સુધી જઈ ડ્રગ્ઝ પકડ્યું છે. કેટલાક વાંકદેખાઓને ગુજરાત પોલીસની આ કામગીરી ખુંચે છે અને આવી નશીલી વસ્તુઓને પકડવા બદલ પોલીસને બિરદાવવાને બદલે ગુજરાતને બદનામ કરે છે. જ્યારે, ગુજરાતની વાત આવે ત્યારે સૌ ગુજરાતીએ એક થઈ જવું જોઈએ. ગૃહરાજ્યમંત્રીએ વડોદરા જિલ્લામાં વરસાદમાં આપત્તિ દરમિયાન પોલીસ દ્વારા કરાયેલી રાહત અને બચાવની કામગીરી ઉપરાંત ગુનાના ડિટેક્શન બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ અવસરે ધારાસભ્ય કેતન ઈનામદાર અને મધુ શ્રીવાસ્તવે સાવલી અને ડેસર વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા કરાયેલા વિકાસકામોની ભૂમિકા આપી હતી.