વડોદરાની નિશાકુમારીએ મધ્ય રાત્રિએ 15 કિલોગ્રામ વજન સાથે કર્યું ગિરનારનું આરોહણ
તેણે મધ્ય રાત્રિના લગભગ પોણા બે વાગે તળેટીથી ચઢવાનું શરૂ કરીને પરોઢિયે પાંચ વાગે દત્ત શિખર સુધીની આરોહણ યાત્રા પૂરી કરી હતી.તે પછી અવરોહણ શરૂ કરી સવારના પોણા સાત વાગ્યાના સુમારે તેણે તળેટી સુધીની વળતી યાત્રા પૂરી કરી હતી.
વડોદરાના નિશાકુમારીએ (Nisha Kumari)સાહસ અને પર્વત ચઢવાના મહાવરારૂપે મધ્ય રાત્રિએ કડકડતી ઠંડી અને ફૂંકાતા પવનો વચ્ચે ગિરનારનું આરોહણ (Climb of Girnar)કર્યું હતી. તેના બેકપેક અને જેકેટ સહિત અંદાજે 15 કિલો વજન લઈને એને ગરવા ગિરનારના આરોહણ અને અવરોહણનું આ સાહસ પૂર્ણ કર્યું હતું.આ દરમિયાન તેણે લગભગ 11 કિમીથી વધુ અંતર કાપ્યું હતું.
પૂર્વ સૈનિક અધિકારીની પુત્રી અને ગણિતની આ અનુસ્નાતક એક ઝનૂન સાથે સાહસિક પ્રવૃત્તિઓ કરી રહી છે. અને તેનું ધ્યેય હિમાલયના બરફીલા શિખરો સર કરવાનું છે. તેના વાતાવરણની અનુભૂતિ મેળવવા તેણે શીતળ રાત્રિના સમયે ગિરનાર આરોહણ કર્યું હતું.
એક સાહસ અને પર્વત ચઢાણનો મહાવરો કેળવવા ૬ કલાકમાં તળેટીથી ટોચ અને ટોચથી તળેટીની યાત્રા પૂરી કરી
તેણે મધ્ય રાત્રિના લગભગ પોણા બે વાગે તળેટીથી ચઢવાનું શરૂ કરીને પરોઢિયે પાંચ વાગે દત્ત શિખર સુધીની આરોહણ યાત્રા પૂરી કરી હતી.તે પછી અવરોહણ શરૂ કરી સવારના પોણા સાત વાગ્યાના સુમારે તેણે તળેટી સુધીની વળતી યાત્રા પૂરી કરી હતી.આ કોઈ વિરલ સિદ્ધિ નથી પણ પર્વતારોહણમાં સફળતા મેળવવા માટેની ઝંખના અને ધગશથી કરવામાં આવેલો વ્યાયામ છે.
તેને સાહસિક પ્રવૃત્તિઓમાં પીઠબળ આપતાં રીબર્થ એડવેન્ચરના નિલેશ બારોટે જણાવ્યું કે 9999 પગથિયાં ચઢીને આ પવિત્ર પર્વતની ટોચે પહોંચાય છે. આ પ્રકારનો મહાવરો કેળવવા નિશાકુમારી નજીકના પાવાગઢનું આરોહણ અવરોહણ શક્ય બને ત્યાં સુધી નિયમપૂર્વક અઠવાડિયામાં એકવાર કરે છે. પાલનપુર નજીક જેસોરના ડુંગર પર પણ તેણે આ પ્રયોગો કર્યાં છે. જ્યારે ગિરનારનું આરોહણ અત્યાર સુધી ચાર વાર કર્યું છે. આ ઉપરાંત તે લગભગ દૈનિક 5 કિમીથી વધુ અંતરની દોડ લગાવે છે. તેનો ઇરાદો હવે પછી વડોદરાથી નવી દિલ્હી સુધીની પગપાળા અને સાયકલ યાત્રા યોજવાનો છે. જેના મહાવરારૂપે તે આ પ્રકારે તૈયારીઓ કરી રહી છે.
તે આ સાહસિક પ્રવૃત્તિઓની સાથે બેટી બચાવો,બેટી વધાવો અને બેટી પઢાઓનો સામાજિક સંદેશ આપે છે. કોરોના કાળમાં લેહ વિસ્તારમાં સાયકલ યાત્રાની સાથે તેણે કોરોના રસી અવશ્ય લેવાનો સંદેશ આપ્યો હતો.
તેણે તાજેતરમાં યોજાયેલી ગિરનાર આરોહણ હરીફાઈમાં જોડાવાને બદલે એકલ સાહસ કર્યું હતું. તેનું કહેવું છે કે સ્પર્ધામાં ઝડપ મુખ્ય છે જ્યારે તેનો હેતુ હિમાલય સહિતના ઊંચા શિખરો સર કરવાનો છે. જેમાં ઝડપ નહિ પણ સ્થિરતા સાથે ચઢાણની અગત્યતા છે. આ ઉચ્ચ શિક્ષિત દીકરી યુવા સમુદાયને શિક્ષણની સાથે સાહસિકતા અને સામાજિક સુધારણાનો સમન્વય કરવાની પ્રેરણા આપી રહી છે.
આ પણ વાંચો : રાજકોટમાં સોશિયલ મીડિયા પર છત્રપતિ શિવાજીને લઈને ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાઇ તેવી ટિપ્પણીથી રોષ
આ પણ વાંચો : યુરોપમાં યુદ્ધનો ખતરો : USએ તેના નાગરિકોને કહ્યું- યુક્રેન છોડીને તરત જ દેશમાં પાછા ફરો, ફ્લાઈટ્સ થઈ શકે છે બંધ