ગુજરાત જનવિશ્વાસ વિધેયક-2025 વિધાનસભામાં પસાર, 516 જેટલી જોગવાઈઓમાં કરાશે સુધારાઓ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઈન્ક્રીમેન્ટલ ચેન્જ માટે નહિ પરંતુ ક્વોંટમ જંપના લક્ષ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાખેલા ગુજરાતના સુદ્રઢ વિકાસના પાયાને વધુ સંગીન બનાવવા પ્રતિબદ્ધ છે.

ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતે ગુજરાત જનવિશ્વાસ વિધેયક-2025 વિધાનસભામાં પસાર થયો હોવાની માહિતી આપી છે. વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઈન્ક્રીમેન્ટલ ચેન્જ માટે નહિ પરંતુ ક્વોંટમ જંપના લક્ષ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાખેલા ગુજરાતના સુદ્રઢ વિકાસના પાયાને વધુ સંગીન બનાવવા પ્રતિબદ્ધ છે. ટ્રસ્ટ બેઈઝ્ડ ગવર્નન્સ અને પ્રો-પીપલ ગવર્નન્સ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હંમેશા આગ્રહી રહ્યા છે તેને સાકાર કરતાં રાજ્ય સરકારના 6 વિભાગોના 11 કાયદાઓ-નિયમો હેઠળની 516 જોગવાઈઓને અપરાધમુક્ત ડિક્રિમિનલાઈઝ્ડ કરવાનો આ વિધેયકનો હેતુ છે.
મંત્રી બળવંતસિંહ રાજપુતે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વિધેયકમાં કાયદાઓ અને નિયમોમાં સૂચવાયેલા સુધારાઓમાં નાની ભૂલો માટે શક્ય હોય ત્યાં કેદની સજા દૂર કરવામાં આવી છે અને ફાઈન એટલે કે દંડને બદલે નાણાંકીય પેનલ્ટીની જોગવાઈઓ કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ, શ્રમ – કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નર્મદા – જળ સંપત્તિ – પાણી પુરવઠા કલ્પસર વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, કૃષિ – ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તથા નાણાં વિભાગના 11 કાયદાઓ નિયમો હેઠળની 516 જોગવાઈઓને અપરાધમુક્ત કરવાથી સજાના ડરને બદલે પ્રામાણિક્તાથી કાયદાઓના પાલનમાં મદદ મળશે.
516 જોગવાઈઓ અપરાધમુક્ત કરવામાં આવી !
મંત્રી બળવંતસિંહ રાજપુતે જે 516 જોગવાઈઓ અપરાધમુક્ત કરવામાં આવી છે તેની વિગતો આપતા કહ્યું કે, એક જોગવાઈમાં કેદની કલમ છે તેને દૂર કરવામાં આવી રહી છે. 17 જોગવાઈઓમાં કેદ અથવા ફાઈનને પેનલ્ટીથી બદલવામાં આવી રહી છે અને 498 જોગવાઈઓમાં ફાઇનને પેનલ્ટીથી બદલવામાં આવશે.
આ ઉપરાંત 8 કાયદાઓ હેઠળ ઉલ્લંઘનના સમાધાન માટેની વ્યવસ્થા સાથે અધિકારી દ્વારા પેનલ્ટીની રકમ સ્વીકારી શકાય તેવી જોગવાઈઓ કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ઉદ્યોગમંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રજૂ થયેલા આ વિધેયકનો હેતુ નિયમોમાં સુધારાથી પણ એક કદમ આગળ વધીને સરકાર અને નાગરિકો વચ્ચેના વિશ્વાસને વધુ મજબૂત કરવાનો પ્રયાસ છે.
498 જોગવાઈઓમાં ફાઇનને પેનલ્ટીથી બદલવામાં આવશે
આ વિધેયકનો મુખ્ય હેતુ ફાઈલિંગ વિલંબ, લાઇસન્સ રિન્યુઅલમાં વિલંબ, સલામતી ઉલ્લંઘન અંગેની નાની ભૂલો માટે અણધાર્યા અને ફોજદારી આરોપોથી મુક્તિ આપવાનો, ન્યાયિક પ્રણાલી પરનું ભારણ ઘટાડીને પેનલ્ટી પર આધારિત દંડ વ્યવસ્થા લાવવાનો છે. ખાસ કરીને સ્ટાર્ટઅપ્સ અને એમ.એસ.એમ.ઈ. વધુ સુદ્રઢ થશે અને નાની ભૂલો માટે ફોજદારી કાર્યવાહીના બિનજરૂરી ડર વિના પોતાના ઉદ્યોગ-ધંધાઓનો વધુ સારી રીતે વિકાસ કરીને રાજ્યમાં એમ.એસ.એમ.ઈ. ઈકોસિસ્ટમને સંગીન બનાવશે.
મંત્રી રાજપૂતે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્ય સ્તરના જન-વિશ્વાસ કાયદાઓ પસાર કરનારા અન્ય રાજ્યો કરતા ગુજરાતે સૌથી વધુ કાયદા અને જોગવાઈઓમાં સુધારો કર્યો છે.
ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનગૃહ સમક્ષ ગુજરાત જન વિશ્વાસ વિધેયક-2025ના ફાયદાઓ અંગે જણાવતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં તૈયાર કરવામાં આવેલું આ જનવિશ્વાસ વિધેયક-2025 રાજ્યમાં વિકાસ અને રોકાણને વધુ મજબૂત કરવા સાથે ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અને ઈઝ ઓફ લિવિંગને પણ વેગ આપશે.
આ વિધેયકમાં નાના ઉલ્લંઘનો અને નાના ગુનાઓને ગુનાહિત શ્રેણીમાંથી બહાર કાઢીને ડિક્રિમિનલાઈઝ્ડ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. દંડાત્મક પગલાંઓને બદલે સુધારાત્મક પગલાંઓને જે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તે રાજ્યના સર્વગ્રાહી વિકાસ સાથે નિયમનકારી સુધારા યાત્રાનું મહત્વપૂર્ણ સિમાચિહ્ન બનશે અને ગુજરાતની દેશના વિકાસના રોલ મોડલ તરીકેની પ્રસ્થાપિત થયેલી ઓળખને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વ્યાપક સ્તરે ઉજાગર કરશે.
આ વિધેયક પર સભાપક્ષ અને પ્રતિપક્ષના સભ્યોએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને ત્યારબાદ આ ગુજરાત જનવિશ્વાસ વિધેયક-2025 બહુમતીએ પસાર કરવામાં આવ્યું હતું.