સારા સમાચાર: સુરતમાં કોરોનાનો કહેર ઘટ્યો, તમામ ઝોનમાં કેસોની સંખ્યા સિંગલ આંકડામાં
સુરત શહેરમાં કોરોનાના કેસોમાં આંશિક ઘટાડા સાથે 16 નવા કેસ નોંધાયા હતા. ઘણા સમય બાદ કેસ ઘટતા સામાન્ય જનતાએ રાહતના શ્વાસ લીધા છે.
સુરત શહેર અને ગ્રામ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે સુરત શહેરમાં નવા 16 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે એક દિવસના વિરામ બાદ એક દર્દીનું નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે જિલ્લામાં પણ નવા 10 કેસ નોંધાયા હતા. જે પૈકી ત્રણ તાલુકાઓમાં પણ એક પણ પોઝિટિવ કેસ મળી આવ્યા નથી.
સુરત શહેરમાં કોરોનાના કેસોમાં આંશિક ઘટાડા સાથે 16 નવા કેસ નોંધાયા હતા. શહેરના તમામ જિલ્લામાં દસથી ઓછા કેસ નોંધાયા છે. રાંદેર ઝોનમાં 5, અઠવા ઝોનમાં બે, કતારગામ ઝોનમાં 2, વરાછા ઝોન એમાં એક ,વરાછા બી માં એક, લિંબાયત ઝોનમાં બે, સેન્ટ્રલ ઝોનમાં બે અને ઉધના ઝોનમાં એક નવા કેસ નોંધાયા હતા. શહેરમાં કોરોનાની જંગ જીતીને 81 દર્દીઓ ઘરે પરત ફર્યા હતા.
તે જ રીતે સુરતમાં મ્યુકરમાઇકોસીસના દર્દીઓની સ્થિતિ પણ સુધરી રહી છે. સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસના નવા બે દર્દી દાખલ થયા છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં પણ બે દર્દી નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીનું મોત નીપજ્યું છે.
બંને સરકારી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસના 3 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં નવા 2 દર્દી દાખલ થવાની સાથે કુલ 98 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
કોરોનાના ઘટતા કેસ જોઇને સોએ રાહતના શ્વાસ લીધા છે. બીજી લહેરના હાહાકાર બાદ કોરોનાને લઈને ઘટી રહેલી સંખ્યા જોઇને સ્વાસ્થ્ય કર્મચારીઓ અને સામાન્ય લોકોના જીવમાં જીવ આવ્યા જેવી ઘટના બની રહી છે.
આ પણ વાંચો: નોંધણી છતાં 10,973 વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટ ફાળવવાના બાકી, પૈસા પરત મેળવવા યુનિવર્સિટીમાં કમિટી રચાઈ
આ પણ વાંચો: Surat : કોલસાનો ભાવ બમણો થતા, 325 પ્રોસેસિંગ મિલો મુશ્કેલીમાં