Surat : ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જીવદયા સંસ્થાઓ દ્વારા અભિયાન શરૂ

પતંગનાં ધારદાર માંજાથી આકાશમાં ઉડતાં પક્ષીઓની ઉડાન છીનવાઇ જાય છે. આ માંજાથી કેટલાય પક્ષીઓની પાંખો કપાઇ છે અને તેઓ ફરીવાર ઉડાન ભરી શકવા માટે લાયક પણ રહેતા નથી.

Surat : ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જીવદયા સંસ્થાઓ દ્વારા અભિયાન શરૂ
Injured Birds
| Edited By: | Updated on: Jan 14, 2022 | 5:14 PM

સમગ્ર દેશભરમાં ઉત્તરાયણનાં (Uttarayan) પર્વની ઉજવણી થઇ રહી છે ત્યારે પતંગનાં ધારદાર માંજાથી આકાશમાં ઉડતાં પક્ષીઓની ઉડાન છીનવાઇ જાય છે. આ માંજાથી કેટલાય પક્ષીઓની પાંખો કપાઇ છે અને તેઓ ફરીવાર ઉડાન ભરી શકવા માટે લાયક પણ રહેતા નથી. ત્યારે આવા પક્ષીઓની સારવાર માટે કેટલીક જીવદયા સંસ્થાઓ દ્વારા પક્ષીઓને બચાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરતમાં (Surat) આ વખતે બધી જીવદયા સંસ્થાઓએ એકત્ર થઇને આ અભિયાનમાં સહભાગી થઇ છે. ઉત્તરાયણનાં પર્વમાં નાનાં-મોટા સૌ કોઇ પતંગ ચગાવીને નહિં તો કોઇનાં પેચ કાપીને આ ઉત્સવની મજા માણતાં હોય છે. પરંતુ કેટલાક લોકો આ પર્વને એક જુદી જ રીતે ઉજવતાં હોય છે. સુરતમાં લગભગ 10થી પણ વધુ જીવદયા સંસ્થાઓ છે જે ઉત્તરાયણમાં પતંગનાં માંજાથી ઘાયલ થયેલાં પક્ષીઓને રેસ્ક્યુ કામગીરી માટે મહેનત કરી રહ્યાં છે.

ઉત્તરાયણ અગાઉથી જ આમ તો પતંગ ચગાવવાનું શરૂ થઇ જતું હોય છે અને ખાસ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બે દિવસ સૌથી વધુ પતંગ આકાશમાં ઉડતાં હોય છે. પણ આપણી એક દિવસની મજા કેટલાંક મુંગા પક્ષીઓની ઉડાન કાયમ માટે છીનવી લેતી હોય છે. ત્યારે જરૂરી છે આવા પક્ષીઓને સમયસર સારવાર મળે. સુરતની જીવદયા સંસ્થાએ ભેગા મળીને એક સેન્ટર શરૂ કર્યું છે. જેમાં ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે.

જીવદયા સંસ્થાના પ્રમુખ દર્શન દેસાઇના જણાવ્યા પ્રમાણે અમે પહેલાંથી જ શાળાઓમાં આ અભિયાન ચલાવી રહ્યા હતાં અને આ વખતે અમે બધી સંસ્થાઓ એકસાથે મળીને આ કામ કરી રહ્યાં છે. લોકોની અવેરનેસનાં કારણે હવે ઘાયલ પક્ષીઓની સંખ્યા વર્ષે દર વર્ષે ઘટી રહી છે.

આપણા પરિવારમાંથી કોઇ ઘાયલ થાય ત્યારે કેવી લાગણી થાય છે તે સમજવાની પણ જરૂર છે. આ અભિયાનમાં કોલેજનાં યુવક-યુવતીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા છે. મુંગા ઘાયલ પક્ષીઓની સારવાર માટે લગભગ 500 કરતાં પણ વધુ વોલેન્ટીયર ખડે પગે ટ્રીટમેન્ટ આપી રહ્યા છે અને સલામત ઉત્તરાયણનો એક સંદેશો એવા લોકોને પણ આપી રહ્યા છે, જેમની મજાને કારણે ઘાયલ પક્ષીઓની ઉડાન કાયમ માટે છીનવાઇ છે.

વોલેન્ટીયર ફોરમ દેસાઈ જણાવે છે કે આજે જ્યારે કેટલાય લોકો ઉત્તરાયણની મજા માણી રહ્યા છે ત્યારે અમારા જેવાં યંગસ્ટર્સ પણ છે જે પક્ષીઓની સેવામાં જોડાયા છે. પતંગનાં દોરાથી ઘવાયેલાં પક્ષીઓની થતી સારવાર જોવા માટે કેટલાંક બાળકો પણ સેન્ટરની મુલાકાત લેતાં નજરે ચડ્યા હતાં. જેમણે પણ પક્ષીઓને ધારદાર માંજાથી બચાવીને સલામત ઉત્તરાયણ મનાવવાનો સંદેશો લીધો હતો.

આ સેન્ટરની મુલાકાતે આવનાર આરોહીનું કહેવું હતું કે આજે હું આ સેન્ટરની મુલાકાતે આવી છું અને મેં અહિં ઇન્જર્ડ બર્ડસ જોયાં છે. હું મારી ઉંમરનાં બાળકોને મેસેજ આપીશ કે તમે ફેસ્ટીવલ મનાવો પણ સલામત રીતે. આમ,એક તરફ ઉત્તરાયણની મજા માણતાં લોકોને આ સંદેશો છે કે કોઇપણ પર્વ એવી રીતે ન મનાવવો જોઇએ જે કોઇ પણ મુંગા અને નિર્દોષ જીવ માટે મોતનું કારણ બની જાય.

આવા પક્ષીઓની સારવાર કરી રહેલાં જીવદયા પ્રેમીઓને પ્રયાસ ખરેખર આવકારવા લાયક કહી શકાય કે જેઓ આ પંખીઓને તેમનું આકાશ પાછું મળે તે માટે મહેનત કરી રહ્યા છે.

 

આ પણ વાંચો : Ahmedabad: ઉત્તરાયણના પર્વ પર જીવદયા સહિતની સંસ્થા કરશે ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર, 150 ડોક્ટર સહિતનો સ્ટાફ હાજર

આ પણ વાંચો : Vadodara: ઓમીક્રોનના કહેર વચ્ચે બ્લેક ફંગસનું સંકટ! વડોદરામાં મ્યુકરમાઈકોસિસના કેસમાં નોંધાયો વધારો

Follow Us
Loading...
Unable to load recommendations.