સુરતમાં પૂરનું પાણી હવે ધીમે-ધીમે ઓસરી રહ્યું છે, લોકોની મુશ્કેલીઓ ઓસરી નથી, વૃદ્ધને મળી સહાય, જુઓ Video
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં પૂરના કારણે દુકાનનો સામાન બગડી જવાથી મુશ્કેલીમાં મુકાયેલા એક વૃદ્ધ દુકાનદારને TV9ના અહેવાલ બાદ સહાય મળી છે.
સુરતમાં પૂરનું પાણી હવે ધીમે-ધીમે ઓસરી રહ્યું છે. પરંતુ પાણી સાથે લોકોની મુશ્કેલીઓ ઓસરી નથી. ક્યાંક ઘરોમાં કાદવના થર છે. ક્યાંક કરોડો રૂપિયાનો ટેક્સટાઇલનો માલ બરબાદ થયો છે. તો ક્યાંક સ્થાનિકો જનપ્રતિનિધિઓ સામે ખુલ્લેઆમ રોષ વ્યક્ત કરી રહ્યા છે. સુરતની હાલની સ્થિતિ પર નજર કરીએ આ અહેવાલમાં.
બીજી તરફ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં પૂરના કારણે સર્જાયેલી દયનીય પરિસ્થિતિમાં એક વૃદ્ધ દુકાનદારની મદદે તંત્ર આવ્યું છે. TV9 ગુજરાતીના અહેવાલ બાદ કોર્પોરેટર દિનેશ રાજપુરોહિતે આ વૃદ્ધ દુકાનદારને રૂ. 1 લાખની આર્થિક સહાય પૂરી પાડી છે. પૂરના પાણીમાં દુકાનનો તમામ સામાન બગડી જતાં દુકાનદારને આશરે રૂ. 4 થી 5 લાખનું નુકસાન થયું હતું.
પૂરના પાણી ઓસર્યા બાદ પણ દુકાનની સફાઈ બાકી હતી અને દુકાનદારનો પરિવાર પાણી અને લાઇટ વગર જીવન નિર્વાહ કરવા મજબૂર બન્યો હતો, તેમને ભોજન માટે પણ વલખા મારવા પડ્યા હતા. TV9ના અહેવાલે આ પરિસ્થિતિને ઉજાગર કરી, જેના પગલે સ્થાનિક કોર્પોરેટરે તાત્કાલિક મદદનો હાથ લંબાવ્યો.
કોર્પોરેટર દિનેશ રાજપુરોહિતે માત્ર આર્થિક મદદ જ નહીં, પરંતુ લોકોને દુકાનમાંથી જ સામાન ખરીદવાની અપીલ કરીને તેમને ટેકો આપ્યો. આ મદદ મળતા જ વૃદ્ધ દુકાનદાર અત્યંત ભાવુક બન્યા અને તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહી નીકળ્યા, જે દ્રશ્યો હૃદયસ્પર્શી હતા. આ ઘટના સમાજ અને મીડિયાના સહયોગથી જરૂરિયાતમંદ સુધી મદદ પહોંચાડવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
નવસારી ગણેશ સંગઠનમાં વિવાદ, હોદ્દેદારો પર બંધારણ વિરુદ્ધ કામગીરી અને સરમુખત્યારશાહીના આક્ષેપો

