એક નાની ભૂલ અને 598 કરોડનું કૌભાંડ: ધોબીને ઇનકમ ટેક્સનો મોટો ફટકો: સુરતના ડાયમંડ માર્કેટ સાથે કેવી રીતે જોડાયા તાર?
રસ્તા પર કપડાં પ્રેસ કરનાર એક ગરીબ માણસ રાતોરાત અબજોપતિ કેવી રીતે બની ગયો? ઇનકમ ટેક્સની નોટિસ પાછળ છુપાયેલું છે એક મોટું ષડયંત્ર. શું તમે પણ દસ્તાવેજો ખોઈ નાખ્યા છે? સાવધાન, આ મજૂર જેવી હાલત તમારી પણ થઈ શકે છે.

કલ્પના કરો કે એક માણસ આખો દિવસ ધોમધખતા તાપમાં રસ્તા કિનારે ઉભા રહીને લોકોના કપડાં ઇસ્ત્રી કરે છે અને તેને અચાનક ઇનકમ ટેક્સ વિભાગ તરફથી 598 કરોડ રૂપિયાની નોટિસ મળે! આ કોઈ ફિલ્મી વાર્તા નથી પરંતુ એક એવી હકીકત છે જેણે તપાસ એજન્સીઓના પણ હોશ ઉડાવી દીધા છે. હીરાના વેપાર સાથે જોડાયેલા કરોડોના વ્યવહારોના તાર એક એવા વ્યક્તિ સાથે જોડાયા છે જે માંડ પોતાનું ગુજરાન ચલાવે છે.
ખોવાયેલું કાર્ડ અને અબજોનું ટર્નઓવર
આ રહસ્યની શરૂઆત બે વર્ષ પહેલાં થઈ હતી. જિતેન્દ્ર કુમાર નામના આ વ્યક્તિએ એક કાર્યક્રમ દરમિયાન પોતાનું PAN કાર્ડ ખોઈ નાખ્યું હતું. તેને અંદાજો પણ નહોતો કે તેનું આ કાર્ડ કોઈના હાથમાં આવશે અને તેના નામે સુરત જેવા મોટા શહેરમાં હીરાના વેપાર માટેની નકલી પેઢી ઊભી કરી દેવામાં આવશે. આ ભેજાબાજોએ જિતેન્દ્રના PAN કાર્ડનો ઉપયોગ કરીને બેંકમાં ખાતું ખોલાવ્યું અને જોતજોતામાં 598 કરોડ રૂપિયાની લેતી-દેતી કરી નાખી.
ક્યાંનો છે આ કિસ્સો?
આ ચોંકાવનારો મામલો રાજસ્થાનના અજમેરના રામગંજ વિસ્તારનો છે. અજમેરમાં કપડાં પ્રેસ કરવાનું કામ કરતા જિતેન્દ્ર કુમાર જ્યારે નોટિસ જોઈ ત્યારે સ્તબ્ધ થઈ ગયા હતા. તપાસમાં સામે આવ્યું છે કે પાલીના એક વેપારીએ આ ગરીબ મજૂરના દસ્તાવેજોનો દુરુપયોગ કરી ગુજરાતની કંપનીઓ સાથે કરોડોના સોદા કર્યા હતા. જિતેન્દ્રએ હવે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને બેંક મેનેજરને પણ તપાસના દાયરામાં લેવામાં આવ્યા છે.
સિસ્ટમની નબળાઈ કે મોટું ષડયંત્ર?
જિતેન્દ્ર કુમાર અત્યારે કાયદાકીય ગૂંચવણોમાં ફસાયા છે. તે કહે છે, “હું એક ગરીબ માણસ છું, આટલા મોટા વ્યવહારો સાથે મારે શું લેવાદેવા? છેલ્લા કેટલાક દિવસોથી હું કામ ધંધો છોડીને ઓફિસોના ધક્કા ખાઈ રહ્યો છું.” આ ઘટનાએ બેંકોના KYC અને વેરીફિકેશન સિસ્ટમ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. હીરા અને ઝવેરાતના વેપારમાં PAN કાર્ડના દુરુપયોગના કિસ્સાઓ વધી રહ્યા છે, જેમાં આવા નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે.
હાલમાં ઇનકમ ટેક્સ વિભાગ અને પોલીસ આ આખા ફ્રોડ નેટવર્કને પકડવા માટે તપાસ તેજ કરી રહી છે.
