રાજકોટ ભાજપમાં ફરી પત્રિકાકાંડ, ભાજપના જુના કાર્યકર્તાઓ માટે 14 ટકા અનામત રાખજોથી પત્રિકા થઈ વાયરલ
રાજકોટ ભાજપમાં કવિતાકાંડ બાદ હવે પત્રિકા વાયરલ થતા હડકંપ મચ્યો છે. આ પત્રિકા વાયરલ થતા રાજકોટ ભાજપનો જૂથવાદ ફરીએકવાર સપાટી પર આવ્યો છે. જેમા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સંબોધીને ભાજપના જુના કાર્યકર્તા માટે 14 ટકા અનામત રાખવાની માગ કરાઈ છે.
ગુજરાતના રાજકારણમાં હાલમાં ભરતીમેળો ચાલી રહ્યો છે.કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં એક પત્રિકા વાયરલ થઇ છે જેમાં ભાજપના જૂના નેતાઓ માટે સંગઠનના હોદ્દા અને ટિકીટ માટે 14 ટકા અનામત રાખવાની માંગ કરી છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને સંબોધન કરીને લખવામાં આવેલી આ પત્રિકામાં ભાજપના જૂના નેતાઓને પ્રાધાન્ય આપવાની વાત કરી છે.આમ તો આ પત્રિકા સૂરતથી વાયરલ થઇ હોવાની વાતો સામે આવી છે પરંતુ રાજકોટમાં ભાજપના નેતાની ટોપી દર્શાવીને આ પત્રિકા વાયરલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં આ પત્રિકા વાયરલ થતા રાજકારણ ગરમાયું છે.
શું ઉલ્લેખ છે પત્રિકામાં?
આ પત્રિકામાં ભાજપના કાર્યકર્તાને ગાભામારૂ તરીકે સરખાવવામાં આવ્યા છે.આ પત્રિકામાં જૂના કાર્યકર્તાને સંગઠનના હોદ્દા અને ટિકિટમાં 14 ટકા અનામત, કોંગ્રેસમાંથી આવેલાને 40 ટકા અનામત, ગુનેગારો અને ફંડ આપનારને 30 ટકા અને લાયક ઉમેદવારો માટે 16 ટકા અનામત આપવાની ટકોર કરવામાં આવી છે.
સુરતમાં AAPના નામથી વાયરલ થઇ છે આ પ્રકારની પત્રિકા
જો કે આ પત્રિકા સુરતમાં આમ આદમી પાર્ટી દ્રારા તૈયાર કરવામાં આવી હોય તેવી શક્યતા છે. આ પત્રિકા સોશિયલ મીડિયામાં આપ ના નેતા અને સુરત લોકસભાના ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી દ્રારા વાયરલ કરવામાં આવી છે. જો કે રાજકોટમાં જે પત્રિકા વાયરલ થઇ તેમાં વાઘાણીનું નામ હટાવીને ત્યાં ભાજપની ટોપી સાથેનો પ્રતિકાત્મક ફોટો મૂકવામાં આવ્યો છે. જેથી આમ આદમી પાર્ટી દ્રારા તૈયાર કરવામાં આવેલી પત્રિકા ભાજપના કોઇ દુભાયેલા કાર્યકર્તાએ વાયરલ કરી હોય તેવી શક્યતા છે.
પત્રિકા અંગે તપાસ કરાવીશું- ભરત બોઘરા
રાજકોટમાં પત્રિકા વાયરલ થવા અંગે ભાજપના પ્રવેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કહ્યું હતું કે ભાજપ એક પરિવાર છે અને પરિવારની જેમ જ રહે છે. જો કે કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્રારા પ્રસિદ્ધિ માટે આ પ્રકારની પત્રિકા વાયરલ કરવામાં આવે છે. ભાજપના પરિવારના તમામ કાર્યકર્તાઓ સાથે છે.આ પત્રિકા જે પણ વ્યક્તિ દ્રારા વાયરલ કરવામાં આવી હશે. તેની સામે તપાસ કરાવીશું અને જરૂર લાગશે તો પોલીસ ફરિયાદ પણ કરીશું.