પાલ આંબલિયાએ CM અને કૃષિમંત્રીને પત્ર લખી 48 કલાકમાં માવઠાથી થયેલા નુકસાનનો સર્વે કરવાની કરી માગ- Video
કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી 48 થી 72 કલાકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે કરવાની માગ કરી છે. આ અગાઉના 4 માવઠા દરમિયાન પણ વળતર ન મળ્યાનો પાલ આંબલિયાએ આક્ષેપ કર્યો છે.
કિસાન કોંગ્રેસ સેલનના ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી 48 થી 72 કલાકમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે કરવાની કરવાની માગ કરી છે. આ અગાઉ 4 વાર થયેલા માવઠા દરમિયાન નુકસાનીના સર્વેના નાટક કરવામાં આવ્યા પરંતુ ખેડૂતોને કોઈપણ પ્રકારનું વળતર ચુકવવામાં આવ્યુ ન હતુ. જો આ પ્રકારે જ સર્વે કરવાનો હોય તો સર્વે કામગીરી જ ન કરવા પાલ આંબલિયાએ કટાક્ષ કર્યો છે. પાક નુકસાનીના વળતરને મોદી સરકારની ગેરન્ટી સાથે સરખામણી કરી ડબલ એન્જિનની સરકાર પર પાલ આંબલિયાએ આકરા પ્રહાર કર્યા. આંબલિયાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે અગાઉના દોઢ વર્ષમાં અતિવૃષ્ટિ, દુષ્કાળગ્રસ્ત અને કમોસમી વરસાદની સ્થિતિમાં ખેડૂતોને પારાવાર નુકસાન થવા છતા ખેડૂતોને વળતર મળ્યુ ન હોવાનો પાલ આંબલિયાએ આક્ષેપ કર્યો છે.
“અગાઉના 4 વાર પાક નુકસાનીનો સર્વે કરાવ્યા બાદ ખેડૂતોને વળતર ન ચુકવવામાં આવ્યુ નથી”
છેલ્લા દોઢેક વર્ષમાં ગુજરાતના ખેડૂતો પહેલા અતિવૃષ્ટિનો ભોગ બન્યા ત્યારબાદ 33 થી 53 દિવસ સુધી વરસાદ ખેંચાવાના કારણે દુષ્કાળગ્રસ્ત સ્થિતિનો ભોગ બન્યા ત્યારબાદ 4 વખત કમોસમી વરસાદનો માર સહન કરીને બેઠા છે ઉપરોક્ત અતિવૃષ્ટિ હોય, દુષ્કાળગ્રસ્ત સ્થિતિ હોય કે કમોસમી વરસાદ હોય દરેક વખતે રાજ્ય સરકારે સમીક્ષા બેઠક બોલાવી પ્રેસ કોંફરન્સ કરી, સર્વે કરવાના આદેશ આપ્યા પ્રેસ કોંફરન્સ કરી, નવ નવ દિવસ મોડા પરિપત્ર કર્યા પ્રેસ કોંફરન્સ કરી, સર્વે ચાલુ છે પ્રેસ કોંફરન્સ કરી, સર્વે પૂરું થયું પ્રેસ કોંફરન્સ કરી પણ ખેડૂતોને રૂપિયા ચૂકવ્યા એની પ્રેસ કોંફરન્સ ક્યાંય ન કરી.
કેમ કે ઉપરોક્ત પરિસ્થિતિઓમાં દરેક વખતે સમીક્ષા બેઠક, સર્વેના આદેશ, પરિપત્ર, સર્વે પૂર્ણ સુધી જ કામગીરી થઈ ત્યારબાદ જ્યારે ખેડૂતોને વળતર આપવાની વાત આવી ત્યારે પોતાની જાતને ખેડૂતલક્ષી કહેડાવતી સરકારે મોઢું ફેરવી લીધું અને ખેડૂતોને એક રાતી પાઇ પણ ન આપી ત્યારે સવાલ એ છે કે જો વળતર આપવું જ નહોતું તો પછી સમીક્ષા બેઠક થી સર્વે પૂરું કરવા સુધીના નાટક શા માટે કર્યાં ??? સરકારી કર્મચારીઓ અધિકારીઓને સર્વેની કામગીરીમાં રોકી એમના માનવ કલાકો શા માટે બગાડ્યા ?? કોઈ સર્વે કરવા આવશે વળતર મળશે એ નઠારી આશા ખેડૂતોમાં શા માટે જગાડી ?

માવઠાથી ઉનાળુ પાક સહિત બાગાયતી પાકોને વ્યાપક નુકસાન
આંબલિયાએ જણાવ્યુ કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઉનાળુ બાજરો, તલ, મગ, મકાઈ સહિત ખેતી પાકોને અને કેળ, કેરી, જામફળ, ચીકુ, લીંબુ સહિતના બાગાયતી પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે. વર્તમાનમાં રાજ્યમાં પાકવીમાં યોજના બંધ છે અને કાગળ પર ચાલતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તો આપ સારી રીતે જાણો જ છો કે આ યોજનામાં 20 ઓગસ્ટ 2020 ના દિવસથી અત્યાર સુધીમાં કેટલા લાભાર્થીઓના ખાતામાં ડાયરેક્ટર બેનિફિટ યોજના અંતર્ગત વળતર આપવામાં આવ્યું છે. ત્યારે આપ સાહેબને નમ્ર અરજ છે કે અગાઉની જેમ જ આપ સમીક્ષા બેઠક, સર્વેના આદેશ, સર્વેની કામગીરી, પ્રેસ કોંફરન્સ કરવાના હોવ અને છેલ્લે ખેડૂતોને મોદી સાહેબની ગેરેન્ટીઓ જેવા માત્ર સુહાના સપનાઓ જ બતાવવાના હોવ તો સમીક્ષા બેઠકોથી લઈ પ્રેસ કોંફરન્સ સુધીની તમામ કામગીરી માંડી વાળજો. અમારે ખેડૂતોને એક તો કુદરતનો માર છે ને ઉપરથી તમારા માત્ર સપનાઓની ભરમાર છે.
“48 કલાકમાં સર્વેની કામગીરી થશે તો જ પાક નુકસાનીનો સાચો અંદાજ આવશે”
વધુમાં આંબલિયાએ ઉમેર્યુ કે આપ સાહેબને અગાઉ કમોસમી વરસાદ વખતે પણ સૂચન કરેલ હતું કે જો સરકારની દાનત હોય, ઈચ્છા હોય તો કમોસમી વરસાદ પડયા બાદ 48 કલાકમાં તમામ ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ શકે તેમ છે. એ જ વાત આજે ફરીથી આપના ધ્યાન પર મુકવા માંગુ છું કે ગુજરાતના દરેક ગામમાં ગ્રામ સેવક, રેવન્યુ તલાટી કે તલાટી કમ મંત્રી છે જ. જે તાલુકાના જે જે ગામોમાં કમોસમી વરસાદ થયો છે તે ગામોમાં અને જ્યાં કમોસમી વરસાદ નથી થયો તેવા તમામ ગામોના ગ્રામ કક્ષાના ઉપરોક્ત ત્રણેય કર્મચારીઓને કમોસમી વરસાદ પડ્યા પછીના બીજા દિવસથી કામે લગાવવામાં આવે તો 48 કલાકમાં જ સર્વેની કામગીરી થઈ શકશે અને તો જ પાક નુકસાનીનો સાચો અંદાજ આવશે.
“કમોસમી વરસાદ પડ્યાના 10-12 દિવસ પછી સર્વે કરવાનો કોઈ મતલબ નથી”
જો આમ કરવાને બદલે આપ સરકારી ઢબે પરંપરાગત રીતે કમોસમી વરસાદ પડયાના 5 દિવસ પછી સર્વે કરવાના આદેશ કરતો પરિપત્ર કરશો. ત્યારબાદ 2 દિવસે જીલ્લા તંત્ર સર્વે સમિતિઓ બનાવશે અને આ સર્વે સમિતિઓ 5 દિવસે સર્વેની કામગીરી કરશે તો કમોસમી વરસાદ બાદ 10 – 12 દિવસે સર્વે કરવાનો કોઈ મતલબ રહેતો નથી. ત્યારે આપ સાહેબને ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા 48 થી 72 કલાકમાં તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે.