લખનઉમાં સિસ્ટમની ઘોર બેદરકારીના પાપે લાગેલી આગમાં 15 બાળકો થઈ ગયા ભડથુ… ક્યાં સુધી ભ્રષ્ટાચારની આગમાં હોમાતા રહેશે માસૂમો?
22 જૂન 2026 વધુ એક અગ્નિકાંડ. આ વખતે પણ ઘટનાક્રમ એક સરખો જ હતો માત્ર શહેર બદલાયુ. જે પ્રકારે દિલ્હીમાં થયુ, જે પ્રકારે અગાઉ સુરતના તક્ષશીલા કોચિંગ સેન્ટરમાં થયુ હતુ. તે જ પ્રકારનો અગ્નિકાંડ લખનઉમાં સર્જાયો. માત્ર કેટલાક ભ્રષ્ટ પાપીઓના કારણે 15 નવયુવાનો આગમાં ભડથુ થઈ ગયા. દરેક વખતે આવા અગ્નિકાંડો થતા રહે છે, બે દિવસ કડકાઈના નાટક થાય છે અને થોડા દિવસોમાં મૃતકો માત્ર આંકડો બનીને રહી જાય છે. લખનઉ અગ્નિકાંડની ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત જે સામે આવી તે એ છે કે એ ઈમારત ફાયર સેફ્ટી નોર્મ્સમાં આવતી જ ન હતી છતા તેનો કોમર્શિયલ યુઝ થઈ રહ્યો હતો. વિધાનસભાથી 7 કિલોમીટરના એરિયામાં આવેલી ઈમારતની આ સ્થિતિ હોય તો વિચારો અન્ય જિલ્લાઓની શું હાલત હશે

બપોરનો સમય હતો અને લખનઉની ત્રણ માળની એક ઈમારતમાં ત્રીજા માળે ચાલતા ગેમિંગ અને એનિમેશનના ક્લાસિસમાં વિદ્યાર્થીઓ આવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓ 20 થી 24 વર્ષના હતા અને કોમ્પ્યુટર ગેમિંગ અને એનિમેશન શીખી રહ્યા હતા. તેઓ બસ હજુ આવીને બેઠા જ હશે અને બિલ્ડીંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ અને જોતજોતામાં આખી બિલ્ડીંગમાં ફેલાઈ ગઈ. આ આગમાં કોચિંગ સેન્ટરમાં આવેલા 15 બાળકો ત્યાંને ત્યાં જ ભડથુ થઈ ગયા. તેમાના કોઈએ નહીં વિચાર્યુ હોય કે આ તેમની આખરી ક્લાસ હશે.
વધુ એક ભ્રષ્ટાચારની આગમાં 15 માસૂમો હોમાયા
આગ લાગી એ સમયે કોચિંગ સેન્ટરમાં કોઈ જ ફાયર સેફ્ટીના સાધનો ન હતા, ના તો ત્યાં અન્ય કોઈ એક્ઝિટ ગેટ હતો. અગ્નિકાંડની ઘટનામાં જે મુખ્ય કારણ સામે આવ્યુ તે એ હતુ કે ત્યાં ફાયર સેફ્ટી નોર્મ્સનો અમલ જ નહોંતો થઈ રહ્યો. NOC વિના કોમર્શિયલ બિલ્ડીંગ ધમધમી રહ્યુ હતું. પ્રાથમિક તપાસને અંતે સામે આવ્યુ કે આ બિલ્ડીંગ પાસે ફાયર NOC હતુ જ નહીં કારણ કે ફાયર સેફ્ટીના જરૂરી નોર્મ્સ હેઠળ નહોંતી આવતી. તો તેનો કોમર્શિયલ ઉપયોગ કરવાનો પરવાનો કોણે આપ્યો?
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં ટ્રેનિંગ માટે આવતા હતા. જો અહીં ફાયરસેફ્ટીની વ્યવસ્થા હોત તો આ 15 વિદ્યાર્થીઓએ જીવ ન ગુમાવ્યા હોત. પરંતુ હર હંમેશની જેમ નિર્દોષો ભડથુ થઈ ગયા અને સિસ્ટમ દોષીઓને શોધવાનું નાટક કર્યા કરશે. હવે તપાસ કમિટીઓ બનાવવામાં આવશે જ્યારે સિસ્ટમ ખુદ ગુનેગાર છે અને તેને ઉંઘમાંથી જગાડવા માટે દરેક વખતે કેટલાક લોકોએ મોતોની બલી ચડવુ પડે છે છતા ભ્રષ્ટ તંત્ર નથી જાગતુ, કદાચ એક બે દિવસ જાગશે અને ફરી નીંભર બની જશે.
બચવા માટે બાથરૂમમાં ભરાઈ ગયા પરંતુ અફસોસ….
લખનઉની આગમાં જે 15 વિદ્યાર્થીઓ બળીને ભડથુ થઈ ગયા એ માત્ર 20 થી 24 વર્ષના હતા. આ બાળકોની જિંદગી હવે તો શરૂ થવાની હતી. પરંતુ પોતાની નવી શરૂઆત કરે એ પહેલા જ કેટલાક લાલચી લોકોની બેદરકારીની આગે તેમને ભસ્મીભૂત કરી નાખ્યા. આ આગ બુજાવવા માટે રેસક્યુ ટીમ જ્યારે ત્યાં પહોંચી તો કેટલાક વિદ્યાર્થીઓના શબ બોડી બેગ્સ સાથ અને કેટલાક કુંડાઓ સાથે ચોંટેલા હતા. આના પરથી સમજી શકાય છે કે આ બાળકોએ બચવા માટે કઈ હદે હવાતિયા માર્યા હશે અને છતા પોતાનો જીવ ન બચાવી શક્યા. આ અગ્નિકાંડે તેમના માટે બચવાનો કોઈ રસ્તો છોડ્યો ન હતો.
સુરતના તક્ષશિલાની જેમ બાળકોએ બચવા માટે બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી
બિલ્ડીંગમાં આવવા જવા માટેનો માત્ર એક જ માર્ગ હતો અને તેઓ જ્યાંથી બહાર જવાનો પ્રયાસ કરતા હતા ત્યાં આગની જ્વાળાઓ એટલી પ્રચંડ હતી કે તેઓ બચી જ ન શક્યા. કોઈક બાથરૂમમાં ભરાઈ ગયા, કોઈ કુંડાઓની આડશમાં છુપાયા પરંતુ પ્રચંડ આગથી ન બચી શક્યા, એ ક્ષણે આ બાળકો કઈ હદે તડપ્યા હશે તેની કલ્પના કરતા પણ કંપારી છુટી જાય છે. એમાના કેટલાક વિદ્યાર્થીઓએ અંતે કોઈ રસ્તો ન દેખાયો તો આગથી બચવા માટે બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી દીધી. જેમાથી કેટલાક ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.
જરા એ પિતા વિશે વિચારો જેને પોતાના 20 થી 24 વર્ષના દીકરાના મૃતદેહને તેને કાંધ દેવી પડે. સંતાનને ગુમાવનારા માતાપિતા જીવતી લાશ બની જતા હોય છે. . પોતાના લાડકવાયાને ઉંચકીને સ્મશાનઘાટ લઈ જવો એ દરેક માતાપિતા માટે આ દુનિયાનો સૌથી મોટો બોજ હોય છે. કોઈ પિતા આ દિવસ જોવા નથી માગતા હોતા. પોતાના વ્હાલસોયા આ રીતે આગમાં ભડથુ થઈ જાય એના માટે તો માતાપિતાએ મોટા નહીં જ કર્યા હોય? એ માતા પિતા પર શું વિતતી હશે જેમણે પોતાના સંતાનો ગુમાવ્યા છે.
લખનઉ અગ્નિકાંડ એ કોઈ પહેલી ઘટના નથી અને કદાચ છેલ્લી પણ નહીં હોય. એક નજર કરીએ દેશના અલગ અલગ શહેરોમાં ઘટેલી આવી જ ભયાનક અગ્નિકાંડ ની ઘટનાઓ પર. જ્યાં પ્રશાસનની લાપરવાહીથી અનેક નિર્દોષો ભડથુ થઈ ગયા.
સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં 22 લોકોના મોત
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષશિલા આર્કેડમાં 24 મે 2019ના રોજ સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 22 માસૂમ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા. ગેરકાયદેસર બાંધકામ અને ફાયર સેફટીના અભાવે બનેલી આ ઘટનાએ સમગ્ર દેશમાં ભારે આક્રોશ ફેલાવ્યો હતો.
દિલ્હીના મુંડકામાં બિલ્ડીંગમાં લાગેલી આગમાં 27 લોકોના મોત
પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે 13 May 2022 ના રોજ એક બિલ્ડિંગમાં આગ લાગવાથી 27 લોકોના મોત થયા.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં કંપનીઓની ઓફિસ છે. આગ બિલ્ડિંગના પહેલા માળેથી શરૂ થઈ હતી, જ્યાં સીસીટીવી કેમેરા અને રાઉટર બનાવતી કંપનીની ઓફિસ આવેલી છે. મુંડકા આગની ઘટનામાં ફેક્ટરી માલિકના બંને પુત્ર વરુણ ગોયલ અને હરીશ ગોયલની ધરપકડ કરી કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેણે ટેરેસના દરવાજા પર તાળું મળ્યું હતું.
રાજકોટ TRP મોલ ગેમઝોન અગ્નિકાંડમાં 9 બાળકો સહિત 32 લોકોના મોત
24 May 2024 ના રોજ રાજકોટના TRP મોલ ગેમ ઝોનમા લાગેલી આગમાં 9 બાળકો સહિત 32 લોકોના મોત થયા હતા. આ આગ એટલી ભયાનક હતી કે તેની ઝપેટમાં આવેલા તમામ લોકોના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. શરીરના અંગો આમ તેમ ઉડીને પડ્યા હતા. તમામ મૃતકોના મૃતદેહોના માત્ર અવશેષો હાથમાં આવ્યા હતા. અને મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
હૈદરાબાદમાં લાગેલી આગમાં 5 લોકોના મોત
24 Jan 2026 હૈદરાબાદના નામપલ્લી વિસ્તારમાં આવેલી 4 માળની ફર્નિચરની દુકાનમાં ભીષણ આગ લાગવાથી 5 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં બે બાળકો અને એક વૃદ્ધાનો પણ સમાવેશ થાય છે.
કોલાકાતામાં લાગેલી આગમાં 20 લોકોના મોત
કોલકાતાના આનંદપુર વેરહાઉસમાં 26 જાન્યુઆરી, 2026 ની વહેલી સવારે લાગેલી આગમાં 25 જિંદગી ભડથુ થઈ ગઈ, અને આગ એટલી વિકરાળ હતી કે 20 થી વધુ લોકો વિસ્ફોટમાં ગુમ થઈ ગયા હતા.
ઓડિસાના કટકની હોસ્પિટલમાં આગ લાગવાથી 10 દર્દીના મોત
ઓડિશાના કટકમાં આવેલી SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રોમા કેર ICUમાં 16 માર્ચ 2026ના રોજ વહેલી સવારે લાગેલી ભીષણ આગમાં 10 દર્દીઓના કમકમાટીભર્યા મોત થયા હતા. પ્રારંભિક તપાસ મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું હતું.
દિલ્હીના વિવેકવિહારમાં લાગેલી આગમાં 9 લોકોના મોત
દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં 3 May 2026 વહેલી સવારે એક ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ કરૂણ ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. માહિતી અનુસાર ઈમારતના બીજા, ત્રીજા અને ચોથા માળે આગની ઘટના બની હતી. આગની ઘટના સમયે 10 થી 15 લોકોને બચાવી લેવામાં સફળતા મળી હતી.
દિલ્હીના માલવિય નગરમાં ફ્લોરિશ સ્ટેમાં લાગેલી આગમાં 21 લોકોના મોત
3 June 2026 ના રોજ દિલ્હીના માલવીય નગરની ફ્લોરિશ સ્ટે હોટલમાં બુધવારે આગ લાગવાથી 21 લોકોના મોત થયા છે. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, મૃત્યુ પામેલા લોકોમાં 11 વિદેશી નાગરિકો છે. જેમાં 9 આફ્રિકન અને 2 તુર્કમેનિસ્તાનના છે.
બિહારના મુઝફ્ફરપુરમાં ICU વોર્ડમાં લાગેલી આગમાં 5 લોકોના મોત
બિહારના મુઝફ્ફરપુરની પ્રસાદ હોસ્પિટલમાં બનેલી એક દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. 4 June 2026 ના રોજ વહેલી સવારે હોસ્પિટલના પાંચમા માળે આવેલા આઈસીયુ (ICU) વોર્ડમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આ ભીષણ અગ્નિકાંડમાં 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા
ના તો આ અગ્નિકાંડ પહેલો હતો ના તો કદાચ છેલ્લો હશે….
આ તમામ ઘટનાઓ સાબિત કરે છે પ્રશાસનની ખામીને કારણે અગ્નિકાંડો થતા રહે છે અને માસૂમો જીવ ગુમાવતા રહે છે. લખનઉ અગ્નિકાંડે ફરી એકવાર સાબિત કરી દીધુ કે સિસ્ટમ માટે લોકોના જીવની કોઈ કિંમત નથી. તેમને કંઈ પડી નથી કે કોઈ નવયુવાન જિંદગીની શરૂઆત થતા પહેલા જ ખામોશ થઈ જાય.
દરેક વખતે એ ના એ જ તપાસના નાટકો, એના એ જ ચાર પાંચ દિવસ સુધી ચાલતા રિયાલિટી ચેક. વધુમાં વધુ એક સપ્તાહ યા તો એક મહિના સુધી બધુ ચેકિંગ થશે ત્યારબાદ ફરી સ્થિતિ એની એ જ.
આ તમામ ઘટનાઓમાં જે પ્રકારની લાપરવાહી સામે આવી છે તે બતાવે છે કે આ તમાં અગ્નિકાંડમાં જે લોકોએ જીવ ગુમાવ્યા તેમને બચાવી શકાયા હોત જો નિયમોનો ભંગ ન કરાયો હોત. જો પૈસાની ભૂખ માટે લાંચ ન લેવાઈ હોત, જો ફાયર સેફ્ટીના નામે ભ્રષ્ટાચાર ન આચરાયો હોત તો આ તમામ જિંદગીઓ આજે જીવિત હોત.
