AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari : 2022 ખેરગામ હિંસા કેસ… વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત 23 આરોપી સામે 2000 પાનાની ચાર્જશીટ, જુઓ Video

નવસારીના ખેરગામ હિંસા કેસમાં ધારાસભ્ય અનંત પટેલ સહિત 23 આરોપીઓ સામે 2000 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ છે. ડિસેમ્બર 2022માં થયેલી હિંસા અને તોડફોડ બાદ પોલીસે કડક કાર્યવાહી કરી છે.

Navsari : 2022 ખેરગામ હિંસા કેસ... વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત 23 આરોપી સામે 2000 પાનાની ચાર્જશીટ, જુઓ Video
| Updated on: Mar 24, 2026 | 5:47 PM
Share

નવસારી જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. ડિસેમ્બર 2022માં ખેરગામમાં થયેલી હિંસા અને તોડફોડની ઘટનાને લઈને પોલીસે હવે તપાસને વધુ વેગ આપ્યો છે. આ મામલે ધારાસભ્ય અનંત પટેલ સહિત અન્ય કોંગ્રેસી આગેવાનો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં પોલીસે કોર્ટમાં આશરે 2000 પાનાનું વિગતવાર તહોમતનામું (ચાર્જશીટ) રજૂ કર્યું છે, જે આ કેસને વધુ ગંભીર બનાવે છે.

ઘટનાની વાત કરીએ તો ડિસેમ્બર 2022માં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા બાદ પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી. તેમના સમર્થકો ઉશ્કેરાયા હતા અને ખેરગામ વિસ્તારમાં પોલીસની જીપ, દુકાનો તેમજ ફાયર ફાઈટર વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને પગલે પોલીસે હત્યાના પ્રયાસ, ધાડ, લૂંટ, હુલ્લડ (રાયોટિંગ) અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવા જેવી ગંભીર કલમો હેઠળ ત્રણ અલગ-અલગ ફરિયાદો નોંધાવી હતી.

આ કેસમાં ધારાસભ્ય અનંત પટેલ ઉપરાંત જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ, તાલુકા પ્રમુખ સશીન પટેલ, ખેરગામના સરપંચ ઝરણાં પટેલ અને ડૉ. નીરવ પટેલ સહિત 23થી વધુ લોકોના નામ સામેલ છે. સરકાર તરફથી નિમાયેલા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નયન સુખડવાળાએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવા, નિવેદનો અને નુકસાનના રિપોર્ટના આધારે આ વિશાળ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે.

કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી ત્યારે આરોપીઓ હાજર રહ્યા ન હતા. જેના પગલે સરકાર તરફથી તેમના સામે વોરંટ મેળવવા માટે અરજી કરવામાં આવી છે. બીજી તરફ, આરોપી પક્ષે આ સમગ્ર કેસને રાજકીય પ્રેરિત ગણાવી કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી છે, જેથી તેઓ કેસમાંથી મુક્ત થવાની માંગ કરી રહ્યા છે.

કોર્ટે આ મામલાને ગંભીરતાથી લઈને તમામ આરોપીઓને આગામી સુનાવણીમાં ફરજિયાત હાજર રહેવા આદેશ કર્યો છે. આ કેસની આગળની સુનાવણી 9 એપ્રિલે યોજાનાર છે. હવે જોવાનું રહ્યું કે આ કેસમાં ધારાસભ્ય અનંત પટેલ અને તેમના સાથીઓની મુશ્કેલીઓ વધે છે કે નહીં, તેનો નિર્ણય આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.

નવસારીમાં એગ્રો ઇન્ડસ્ટ્રીઝના અભાવે ખેડૂતોને કરોડોનું નુકસાન, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">