04 ઓગસ્ટના મહત્વના સમાચાર : સુરતમાં સસરાએ પોલીસને આપી બાતમી, મારી પૂત્રવધુ તેના મિત્રો સાથે દારુની મહેફિલ માણે છે
આજે 04 ઓગસ્ટને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 04 ઓગસ્ટને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
સુરતમાં સસરાએ પોલીસને આપી બાતમી, મારી પૂત્રવધુ તેના મિત્રો સાથે દારુની મહેફિલ માણે છે
સુરતમાં ગઈકાલ ફ્રેન્ડશિપ ડે નિમિત્તે વિકેન્ડ એડ્રેસ હોટેલમાં દારૂ પાર્ટી ઝડપાવા અંગે ખુલાસો થયો છે. એક યુવતીના સસરાએ જ પૂત્રવધુની દારૂની પાર્ટીની પોલીસને આપી હતી બાતમી. પોલીસને દારુની મહેફિલ અંગેની બાતમી આપનાર સસરાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, અત્યારનું યુવા ધન તહેવારના નામે ધતીગ કરે છે અને દારૂના રવાડે ચઢ્યું છે. આ યુવતીના લગ્ન મારા દીકરા સાથે થયા છે અને તેઓ કેનેડા સ્થાઈ થયા હતા. યુવતીએ કેનેડામાં પણ દારૂપી નશો કરી નાટક કર્યા હતા. મારા અને મારા પરિવાર પર આક્ષેપો કરીને અમને ખુબ હેરાન કર્યા હતા. તે અમારા પરિવારથી અલગ રહે છે. મને મારા મિત્રેએ માહિતી આપી હતી કે તમારી પૂત્રવધુ ફ્રેન્ડશિપ ડે ની ઉજવણીના નામે દારૂ પાર્ટી કરે છે. ચાર યુવકો સાથે બે યુવતીએ હોટલનો એક રૂમ બુક કરાવી ધતીગ કરે છે. જેથી મેં પોલીસને માહિતી આપી અને પોલીસે રેડ કરી દારૂ પીતા રંગે હાથે ઝડપી લીધા હતા.
-
વાપી રેલવે સ્ટેશનની પાસે હોટલમાં લાગી આગ
વાપી રેલવે સ્ટેશનની પાસે આવેલ હોટલમાં આગ લાગી છે. જે.ડી.એસ. હોટેલમાં ગાદલા મુકેલ રૂમમાં આગ હતી. જે બાદ ભોલેનાથ કાઠિયાવાડી હોટેલ પણ આગની ચપેટમાં આવી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જો કે, ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો છે.
-
-
ટ્રમ્પની ભારતને મોટી ધમકી, રશિયન તેલ વેચવા પર વધુ ટેરિફ લાદવાની કરી વાત
એક પોસ્ટમાં, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ભારત મોટા પ્રમાણમાં રશિયન ક્રૂડ તેલ ખરીદે છે અને તેને વૈશ્વિક બજારોમાં નફા માટે વેચે છે, અને યુક્રેનિયન જાનહાનિની “કોઈ પરવા નથી કરતુ”. તેમણે કહ્યું કે ભારત માત્ર રશિયન તેલનો મોટો જથ્થો જ ખરીદી રહ્યું નથી, પરંતુ ખરીદેલું મોટાભાગનું તેલ ખુલ્લા બજારમાં વધુ નફા સાથે વેચી રહ્યું છે.
-
વડોદરાનાં ચીફ ફાયર ઓફિસર ખરીદી કૌભાંડમાં સસ્પેન્ડ
વડોદરાનાં ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલને ફાયર બ્રિગેડનાં સાધનોની ખરીદી કૌભાંડમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ બાબુએ, ચીફ ફાયર ઓફિસરને સસ્પેન્ડ કરીને અન્ય અધિકારીઓને કડક સંદેશ પાઠવ્યો છે. ફાયર બ્રિગેડે 3.17 કરોડનાં સાધનોની ખરીદી કરી હતી. દશ થી બાર ગણાં વધુ ભાવે સાધનોની ખરીદી કરાઈ હતી.
-
આવતીકાલે NDA સંસદીય પક્ષની મળશે બેઠક, PM નરેન્દ્ર મોદી સાંસદોને સંબોધશે
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સંસદીય પક્ષની બેઠક આવતીકાલે (5 ઓગસ્ટ) સવારે 9 વાગ્યે યોજાશે. બેઠકમાં NDAના તમામ સાંસદો હાજર રહેશે. આ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવશે અને PM મોદી, NDAના સાંસદોને સંબોધન કરશે. ભાજપ સંસદીય પક્ષના તમામ નેતાઓ અને ઘટક પક્ષોના સાંસદોને આ બેઠકમાં ફરજિયાત હાજરી આપવા માટે કહેવામાં આવ્યું છે.
-
-
હવે વડોદરાના કરજણમાં સામે આવ્યુ મનરેગા કૌંભાડ, 8 સામે પોલીસ ફરિયાદ
ગુજરાતમાં મનરેગામાં એક પછી એક તાલુકા અને જિલ્લાઓમાં કૌંભાડ સામે આવી રહ્યાં છે. હવે વડોદરાના કરજણ તાલુકામાં મનરેગાનું કૌંભાડ સામે આવ્યું છે. મનરેગામાં 2.72 કરોડનું કૌભાંડ થયું હોવાનુ જણાતા TDO એ 8 સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2021- 2022 માં આચરવામા આવેલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. કરજણ તાલુકા વિકાસ અધિકારીએ, આ કૌંભાડને લઈને 8 સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કરજણ પોલીસે તત્કાલિન TDO કે.એસ.શાહ ની ધરપકડ કરી છે. હજુ કૌભાંડના 7 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.
-
ગંભીરા બ્રિજ પર ફસાયેલા ટ્રકને ત્રણેક દિવસમાં બહાર કઢાશે
ગંભીરા બ્રિજ પર ફસાયેલા ટ્રકને ત્રણેક દિવસમાં બહાર કાઢવામાં આવશે. આણંદ વહીવટી તંત્ર દ્વારા પોરબંદરની મરિન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપનીની મદદ લેવાઇ છે. ટ્રકને સલામત રીતે બહાર કાઢવા માટે આધુનિક સાધનોનો ઉપયોગ કરાશે, તેમ કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું. પોરબંદરની મરિન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપનીની મદદ લઇ આગામી ત્રણેક દિવસમાં આ ટેન્કરને પૂલ પરથી ખસેડી લેવાનું આયોજન છે.
-
કચ્છમાં અકસ્માત થતા, બે બ્રિજ વચ્ચે લકટેલુ કન્ટેનર બહાર કઢાયું
કચ્છમાં અકસ્માત થતા, કન્ટેનર બે બ્રિજ વચ્ચે લટક્યુ હતું. ભચાઉના વોંધ-રામદેવપીર હાઇવે પરના બે બ્રિજ વચ્ચે કન્ટેનર લટક્યુ હતું. ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક બ્રિજ સાથે અથડાયુ અને બે બ્રિજ વચ્ચે લટકી ગયું હતું. લટકેલા કન્ટેનર ટ્રકને ક્રેઈન વડે બહાર કાઢવામાં આવ્યું હતું.
-
ખેડાના માતર પંથકના ખેતરોમાં હજી પણ ભરાયેલા છે વરસાદી પાણી, ડાંગરનો સફાયો
ખેડા જિલ્લાના માતર પંથકના ખેતરોમાં હજી પણ વરસાદી પાણી ભરાયેલી સ્થિતિમાં છે. ગત 27 જુલાઈના રોજ ભારે વરસાદથી ખેતરો જળમગ્ન બની ગયા હતા. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ના થવાને કારણે ખેડૂતોએ વાવેલા ડાંગરને વ્યાપક નુકશાન થયું છે. વરસાદ પડ્યાને 9 દિવસ બાદ પણ ખેતરોમાં કેડ સમાણા પાણી હોવાનુ કહેવાય છે. ગત જૂન મહિનામાં માતરના ધારાસભ્ય દ્વારા સંકલનની બેઠકમાં કાંસ, સિંચાઈ અને માર્ગ મકાન પંચાયત વિભાગને કાંસની સફાઈ, જરૂર હોય ત્યાં સ્પન પાઇપ મુકી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અંગે રજૂઆત કરવામાં આવી હતી. આમ છતા, અધિકારીઓએ આ અંગે કોઈ ધ્યાન ના આપતા આ સ્થિતિ સર્જાઈ હોવાનું કહેવાય છે.
-
અમદાવાદના દાણીલીમડામાં પોલીસ કોન્સ્ટેબલ પતિની હત્યા કરીને પત્નીએ ગળાફાંસો ખાઈ લીધો
અમદાવાદના દાણીલીમડા પોલીસ લાઇનમાં પત્નીએ, પોલીસ કોન્સ્ટેબલ પતિની હત્યા કરી હોવાનો બનાવ બન્યો છે. પોલીસ કોન્સ્ટેબલ મુકેશનુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. પતિની હત્યા કરી પત્ની સંગીતાએ ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. પોલીસ કર્મી મુકેશ પરમાર અને પત્ની સંગીતા વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડામાં પત્ની સંગીતા એ પતિ મુકેશને માર મારતા ગંભીર ઇજા થઇ હતી. દાણીલીમડા પોલીસ ધટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી. મૃતક મુકેશ પરમાર A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો.
-
ધી મહેસાણા અર્બન કો.ઓ. બેન્ક ચૂંટણી, પ્રથમ રાઉન્ડના અંતે વિશ્વાસ પેનલ આગળ
ધી મહેસાણા અર્બન કો.ઓ. બેન્ક ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરાઈ છે. મત ગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે. વિશ્વાસ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે ચૂંટણીમાં ટક્કર છે. પ્રથમ રાઉન્ડમાં વિશ્વાસ પેનલ આગળ હોવાના અહેવાલ સામે આવ્યા છે. પ્રથમ રાઉન્ડમાં વિશ્વાસ પેનલ, વિકાસ પેનલ સામે 4000 કરતા વધુ મતથી આગળ છે.
-
વિરમગામના વિકાસના નાણા કોના ગજવામાં ગયા ? ભાજપાની યાદવસ્થળીનો લાભ લેવા કોંંગ્રેસ ઉતર્યુ મેદાને
વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે સુવિધાઓ માટે અવાજ ઉઠાવ્યા બાદ, હવે કોંગ્રેસ પણ વિરમગામ શહેરમા પ્રાથમિક સુવિધાઓ મુદ્દે મેદાને આવી છે. વિરમગામ વિધાનસભા કોંગ્રેસ દ્રારા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ છે. વિરમગામ શહેરના ગટર અને પીવાના પાણીના પ્રશ્નેને લઇ રજુઆત કરાઇ છે. હવે જનતા નહી પણ ખુદ ભાજપના નેતાઓ સ્થાનિક ભ્રષ્ટાચાર મુદ્દે બોલતા થયા છે તેમ કોંગ્રેસે જણાવ્યું હતું. સ્થાનિક ભ્રષ્ટાચારને લઇ ખાસ તપાસ હાથ ધરવામા આવે તેવી માંગ કરાઈ છે. વિરમગામના વિકાસના નાણા કોના ગજવામાં ગયા તેની તપાસ કરવી જરૂરી હોવાનું કોંગ્રેસનું કહેવું છે. ખુદ ભાજપના નેતા વરૂણ પટેલે રૂપિયા 45 કરોડના ભ્રષ્ટાચાર આરોપ લગાવ્યો છે.
-
ટીમ ઇન્ડિયાએ 6 રને જીતી ઓવલ ટેસ્ટ, શ્રેણી 2-2 થી બરાબર
ભારત-ઇંગ્લેન્ડ ઓવલ ટેસ્ટના આજે 5મા દિવસે ભારતે માત્ર 6 રને રોમાંચક જીત મેળવી છે. આ ટેસ્ટ મેચનું પરિણામ જાહેર થવાની સાથે જ શ્રેણી 2-2થી બરાબર રહેવા પામી છે.
-
અમદાવાદના જુહાપુરામાં હત્યા
અમદાવાદના જુહાપુરામાં મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો છે. સુફિયાન નામના યુવકની રાત્રે હત્યા કરાઈ છે. પાંચ થી છ જેટલા વ્યક્તિઓએ સોફિયાન પર ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં સુફિયાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો જ્યા હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હત્યાના પગલે, સ્થિતિ વધુ વણસે નહીં તે માટે ઘટના સ્થળ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
-
ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકામાં રાજસ્થાનના ખેડૂતો દ્વારા જમીન પર જમાવાઈ રહ્યો છે કબજો
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકામાં રાજસ્થાનના ખેડૂતો દ્વારા જમીન પર કબજાને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે ક્લેકટરને આવેદન પત્ર આપ્યું હતું. સ્થાનિક ખેડૂતોની સરહદી વિસ્તારમાં આવેલી જમીન પર, રાજસ્થાનના ખેડૂતો કબજો જમાવતા હોવાને લઈ રજૂઆત કરવામાં આવી છે. અશ્વિન કોટવાલ સાથે સ્થાનિક ખેડૂતો પણ જોડાયા હતા. કબજો-દબાણ જમાવતા તત્વો સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. કલેક્ટરને સરહદી વિસ્તારમાં ખેડૂતોની સમસ્યાને લઈ રજૂઆત કરાઈ છે.
-
રાજકોટના ચર્ચાસ્પદ ફઈ-ભત્રીજી અપહરણ વિવાદ મામલે પોલીસે આરોપી વકીલની અટકાયત કરી
રાજકોટના ચર્ચાસ્પદ ફઈ-ભત્રીજી અપહરણ વિવાદ મામલે પોલીસે આરોપી વકીલની અટકાયત કરી છે. આ ઘટનામાં અપહરણનો મુખ્ય ભેજાબાજ આરોપી એડવોકેટ રાજવીરસિંહ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ધરપકડથી બચવા માટે આરોપી વકીલ રાજવીરસિંહે ઇંદોરમાં ઝેરી દવા ગટગટાવી હતી. આરોપી એડવોકેટની ઇન્દોરથી અટકાયત કરી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો છે. એડવોકેટની રાજકોટ સિવિલમાં મેડિકલ ચકાસણી કરાયા બાદ પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી હાથ ધરાશે. આ બનાવમાં આરોપી એડવોકેટ પોલીસ સમક્ષ અનેક ચોંકાવનારા ખુલાસા કરે તેવી શક્યતા રહેલી છે.
-
આજે સવારના 6 થી 2 સુધીમાં 51 તાલુકામાં વરસાદ
આજે સોમવારે સવારના 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીના સમયગાળામાં રાજ્યના 51 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન સૌથી વઘુ વરસાદ ભરૂચના નેંત્રગમાં અડધો ઈંચ નોંધાયો છે. જૂનાગઢના મેંદરડામાં 10 મીલીમિટર વરસાદ નોંધાયો છે.
-
બનાસકાંઠા: અંબાજીમાં ઝડપાયું જુગારધામ
બનાસકાંઠા: અંબાજીમાં જુગારધામ ઝડપાયું છે. શ્રાવણીયો જુગાર રમતા 28 જુગારી ઝડપાયા છે. ગણેશ ભવન ધર્મશાળામાં પોલીસે દરોડા પાડ્યા હતા. મહેસાણાથી સ્પેશિયલ જુગાર રમવા આરોપીઓ આવ્યા હતા. જુગાર રમવા માટે ધર્મશાળા રાખી હોવાનું ખુલ્યું. પોલીસે 28 જુગારી સામે કાયદેસરની કાર્યવાહી કરી. કુલ 10 લાખ 99 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો.
-
વલસાડ: રેલવે ટ્રેક પર બે જૂથ વચ્ચે મારામારી
વલસાડ: રેલવે ટ્રેક પર બે જૂથ વચ્ચે મારામારી થઇ છે. દાદરથી ભુજ જતી ટ્રેન પાસે બબાલ થઈ. ટ્રેનમાં બોલાચાલી થયા બાદ બે જૂથ વચ્ચે ઝપાઝપી થઇ. રેલવે ટ્રેક પર બંને જૂથ વચ્ચે મારામારીની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
-
અમદાવાદમાં હળવા અને મધ્યમ વરસાદની આગાહી
આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અપરએર સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદની શક્યતા છે. અપર એર સાઇક્લોન સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર પર સક્રિય છે. અમદાવાદમાં હળવા અને મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે. ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
-
ગાંધીનગરઃ પડતર માગોને લઇને આંગણવાડી કર્મચારી મહાસંઘના દેખાવો
ગાંધીનગરઃ પડતર માગોને લઇને આંગણવાડી કર્મચારી મહાસંઘના દેખાવો કર્યો. સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો ઉમટી પડ્યા, 8 મુદ્દાઓ સાથે આંગણવાડી કાર્યકરોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. માગ નહીં સંતોષાય તો સરકાર સામે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી.
-
જામનગર: શ્રાવણ માસને લઈ ફૂડ વિભાગ એક્શનમાં
જામનગરમાં શ્રાવણ માસને લઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો. તો અગાઉ લેવાયેલા નમૂના ફેલ થતા એકમોને દંડ ફટકારવામાં આવ્યો છે. ગોપાલ ડેરીમાંથી લીધેલા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં કાર્યવાહી કરાઈ. તો મહાકાલેશ્વર ડેરીમાંથી લીધેલા દહીંનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં ડેરીને 20 હજારની પેન્ટલ કરવામાં આવી. તો કિશાન મસાલા સીઝન સ્ટોરને પણ 25 હજારની પેનલ્ટી ફટકારવામાં આવી હતી. તો ભાનુશાળી મહેન્દ્રકુમાર & બ્રધર્સમાંથી લેવામાં આવેલા ધાણાજીરુંના નમૂના ફેલ થતાં કોર્ટમાં કેસ દાખલ કરાયો છે.
-
મુંબઈના કલાકાર ક્રિષ્ટીના પટેલનો કૌટુંબિક કાકા પર આરોપ
રાજકોટમાં એક પાટીદાર પરિવારમાં મિલકતનો વિવાદ સામે આવ્યો છે. પરંતુ, વિવાદમાં ભાજપ પ્રભારીનું નામ પણ સામે આવતા અનેક સવાલો ઊઠી રહ્યા છે. રાજકોટમાં પાટીદાર સમાજની વિધવા મહિલાને તેના જ પરિવારજનો દ્વારા હેરાન-પરેશાન કરાતા હોવાના આક્ષેપો ઊઠી રહ્યા છે. ક્રિષ્ટીના પટેલ નામની યુવતીએ સો. મીડિયામાં વીડિયો શેર કરીને પીડા ઠાલવતા ન્યાયની માંગ કરી હતી. જે બાદ આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે. ક્રિષ્ટીના પટેલ ટેલિવુડમાં કલાકાર છે. અને મુંબઈમાં રહે છે. તેની માતા અંજુ અમૃતિયા. રાજકોટના ઘરમાં એકલા રહે છે. આરોપ છે કે બે દિવસ પહેલાં જ્યારે અંજુ અમૃતિયા ઘરમાં એકલા હતા. ત્યારે ક્રિષ્ટીનાના પિતરાઈ ભાઈઓ આનંદ અને બીપીન અમૃતિયા, જગદીશ નામના અન્ય એક શખ્સ સાથે ઘરમાં ધસી આવ્યા હતા અને અંજુ અમૃતિયા પર હુમલાનો પ્રયાસ કર્યો હતો.
-
મહેસાણાઃ દૂધ સાગર ડેરીએ 437 કરોડનો ભાવ વધારો જાહેર કર્યો
મહેસાણાઃ દૂધ સાગર ડેરીએ 437 કરોડનો ભાવ વધારો જાહેર કર્યો છે. પશુપાલકોને 10 ટકા ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી. પશુ ઘોડી, કુલિંગ ફુવારા વગેરે માટે 30ને બદલે 40 ટકા સહાય અપાશે. પશુપાલકોન અકસ્માતે મરણ વીમાની રકમ 2 લાખમાંથી 4 લાખ કરાઈ.
-
કચ્છઃ વીજકરંટથી PGVCLના કર્મચારીનું મોત
કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના નેત્રા ગામ નજીક વીજ કરંટ લાગવાથી PGVCLના કર્મચારીનું મોત થયું છે..PGVCLની ટીમ વીજ લાઈનમાં સમારકામ કરી રહી હતી. તે દરમિયાન અચાનક વીજ કરંટ લાગતા PGVCLમાં લાઈન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કે.કે. ગઢવી નામના કર્મચારીનું મોત થયું છે..આ ઉપરાંત એક કર્મચારીને ગંભીર ઈજા થતા સારવાર હેઠળ છે.
-
છોટાઉદેપુરઃ બોડેલીમાં શ્વાને લીધો માસુમનો જીવ
છોટાઉદેપુરઃ બોડેલીમાં શ્વાને માસુમનો જીવ લીધો છે. ધનપુર વસાહતમાં માસુમ બાળકને શ્વાને ફાડી ખાધો છે. 3 વર્ષના બાળક સાથે માતા પિયરમાં આવી હતી. સાંજના સમયે ઘર પાસે રમતા બાળક પર શ્વાને હુમલો કર્યો. રખડતા શ્વાને બાળકના ગળાના ભાગે જીવલેણ હુમલો કર્યો. બાળકને ખેંચીને શ્વાન કેનાલ સુધી લઈ ગયું. ગંભીર હાલતમાં બાળકને લોકોએ હોસ્પિટલ ખસેડ્યું. માસુમ બાળકનું હુમલાને કારણે મોત થયુ.
-
CM ભરૂચ જિલ્લાની મુલાકાતે
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે ભરૂચ જિલ્લાના પ્રવાસે જઈ રહ્યાં છે. શ્રાવણ માસના બીજા સોમવારે તેઓ કંબોઈ ખાતે આવેલા પ્રખ્યાત સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરશે. તેમણે જંબુસર નજીક નિર્માણ પામી રહેલા બલ્ક ડ્રગ પાર્કની મુલાકાત લેવાની છે. અંકલેશ્વરમાં તેઓ કુલ ₹639 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે. સાથે જ અંકલેશ્વરમાં સ્થાનિક પદાધિકારીઓ સાથે પણ મુખ્યપ્રધાન બેઠક કરશે.
-
સુરતઃ ડુમસના વિકેન્ડ એડ્રેસમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ
સુરતઃ ડુમસના વિકેન્ડ એડ્રેસમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે. 2 મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી. દારૂની બોટલ અને મોબાઈલ સહિત 2 લાખ 55 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફ્રેન્ડશીપ ડે નિમિત્તે વિકેન્ડ એડ્રેસના ચોથા માળે દારૂની મહેફિલ માણતા હતા.
-
મુખ્તાર અંસારીના પુત્ર ઉમર અંસારીની ધરપકડ
ગેંગસ્ટર મુખ્તાર અંસારીના નાના પુત્રની ગાઝીપુર પોલીસે રવિવારે મોડી રાત્રે ધરપકડ કરી છે. ઉમર પર કોર્ટમાં નકલી દસ્તાવેજો રજૂ કરવાનો આરોપ છે. હકીકતમાં, મુખ્તાર અંસારીની પત્ની અફશાન અંસારી લાંબા સમયથી ફરાર છે, પરંતુ તેમ છતાં, ઉમરે તેની માતા અફશાનની સહી બનાવટી બનાવીને જપ્ત કરાયેલી મિલકતના નકલી દસ્તાવેજો તૈયાર કર્યા.
-
ઉત્તર પ્રદેશ: ભારે વરસાદ બાદ 17 જિલ્લામાં પૂરની સ્થિતિ
ઉત્તર પ્રદેશ: ભારે વરસાદ બાદ 17 જિલ્લામાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. પ્રયાગરાજના ઘાટ, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. અનેક સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિને પગલે હાલાકી થઇ રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું રેસ્ક્યૂ કરવાની ફરજ પડી. વારાણસીની ગલીઓમાં ગંગા નદીના પાણી ફરી વળ્યા.
-
ભરૂચ: બોરભાઠા નજીક વૃદ્ધનો આત્મહત્યાનો પ્રયાસ
ભરૂચ: બોરભાઠા નજીક વૃદ્ધનો આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. વૃદ્ધે જીવન ટૂંકાવવા નર્મદા નદીમાં છલાંગ લગાવી. સત્વરે સ્થાનિક માછીમારોએ પહોંચી જીવ બચાવ્યો. વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
-
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં મોટી ક્ષતિ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં એક મોટી ક્ષતિ સામે આવી છે. ટ્રમ્પના ગોલ્ફ ક્લબ ઉપર એક વિમાન પહોંચી ગયું હતું. જોકે, ઘણા અમેરિકન ફાઇટર જેટ્સે વિમાનનો પીછો કર્યો હતો. જ્યારે વિમાન ગોલ્ફ ક્લબ પહોંચ્યું ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગોલ્ફ ક્લબમાં હાજર હતા.
-
મહેસાણા: અર્બન બેંકની ચૂંટણીનું આજે પરિણામ
મહેસાણા: અર્બન બેંકની ચૂંટણીનું આજે પરિણામ આવશે. GIDC હોલ ખાતે મત ગણતરી હાથ ધરાશે. વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલના ઉમેદવાર વચ્ચે જંગ ખેલાયો. 8 ડિરેક્ટરો માટે 26 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. સરેરાસ 48 ટકા મતદાન નોંધાયું. બન્ને પેનલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
-
માર્ગ મકાન વિભાગના સસ્પેન્ડેડ અને નિવૃત અધિકારીના ઘરે ત્રાટકશે ACB
વડોદરાઃ ગંભીર બ્રિજ દુર્ઘટના મામલે આકરી કાર્યવાહીના મુડમાં સરકાર જોવા મળી રહી છે. માર્ગ મકાન વિભાગના સસ્પેન્ડેડ અને નિવૃત અધિકારીના ઘરે ACB ત્રાટકશે. મિલકતોની તપાસ માટે અધિકારીઓના વતનમાં ટીમ જશે. ગંભીરા બ્રિજ મુદ્દે સર્ચ કરવા કોર્ટ પાસે મંજૂરી મગાઈ.
-
શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર
શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યુ છે. દિવસ ભર આજે ભાવિકોની ભારે ભીડ રહેશે. સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે પાલખી યાત્રા પાઘ યાત્રા યોજાશે.
-
અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવારનું મોત
દાહોદઃ ઈન્દોર-અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવારનું મોત થયુ છે. દાહોદના મુવાલીયા ક્રોસિંગ નજીક હાઈવે પર આ ઘટના બની હતી. બાઈકચાલકને ટકકર મારી વાહનચાલક ફરાર થઇ ગયો હતો. રૂરલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
Published On - Aug 04,2025 7:25 AM