CM ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી મુખ્ય સચિવે વિદેશ વિભાગ સાથે કર્યો પરામર્શ, કિર્ગીસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓને સલામત પાછા લાવવા કરાઈ રજૂઆત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 100 જેટલા યુવા વિદ્યાર્થીઓની કિર્ગીસ્તાનમાં સલામતી અને સુરક્ષા માટે વિદેશ મંત્રાલય સાથે સંપર્ક કરવા મુખ્ય સચિવ રાજકુમારને સુચનાઓ આપી છે.
![CM ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી મુખ્ય સચિવે વિદેશ વિભાગ સાથે કર્યો પરામર્શ, કિર્ગીસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓને સલામત પાછા લાવવા કરાઈ રજૂઆત](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/05/Kyrgyzstan.jpg?w=1280)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 100 જેટલા યુવા વિદ્યાર્થીઓની કર્ગિસ્તાનમાં સલામતી અને સુરક્ષા માટે વિદેશ મંત્રાલય સાથે સંપર્ક કરવા મુખ્ય સચિવ રાજકુમારને સુચનાઓ આપવામાં આવી છે.
કિર્ગીસ્તાનમાં ફસાયા ગુજરાતીઓ
કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની વધી રહેલી ઘટનાને પગલે ગુજરાતના સુરત શહેર-જિલ્લાના 100 જેટલા વિદ્યાર્થીઓના માતા-પિતાએ તેમના સંતાનોની સુરક્ષા-સલામતી માટે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં મુખ્ય સચિવ રાજકુમારને કિર્ગીસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય સંકલન કરવા માટે આદેશ આપ્યો છે.
મુખ્ય સચિવ રાજકુમારે ભારત સરકારના વિદેશ મંત્રાલય અને કિર્ગીસ્તાનના રાજદૂતાવાસનો સંપર્ક કરીને આ વિદ્યાર્થીઓને સલામત વતન પરત લાવવાની વ્યવસ્થાઓની વિગતો મેળવી હતી. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, કર્ગિસ્તાનમાં મેડિકલ અને અન્ય ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત સહિત ભારતના 17 હજાર જેટલા વિદ્યાર્થીઓ વસેલા છે.
હેલ્પલાઈન નંબર જાહેર
કિર્ગીસ્તાનમાં સ્થિત ભારતીય રાજદૂતાવાસ ત્યાંની યુનિવર્સિટીઝ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. ભારતીય વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવા માટે પણ જણાવાયું છે. એટલું જ નહીં, કર્ગિસ્તાનમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ રાજદૂતાવાસનાં સંપર્કમાં રહીને તેમની વિગતો આપી શકે તે માટે બે હેલ્પલાઈન નંબર 055710041 અને 055005538 પણ 24×7 કાર્યરત છે.
આ વિદ્યાર્થીઓના પરિવારોને વિનંતી કરવામાં આવી છે કે, કેટલાક તત્વો દ્વારા હુમલાઓ અંગે ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપે. ત્યાંની પ્રવર્તમાન સ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસીસ શરૂ થયા છે. એટલું જ નહીં, શૈક્ષણિક સત્ર પૂર્ણ થવાના આરે હોવાથી વિદ્યાર્થીઓને વતન પરત આવવા એરલાઇન્સ ઓપરેશન્સ પણ કાર્યરત છે.
રાજ્ય સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી અને સુરક્ષા માટે ધ્યાન કેન્દ્રિત કરેલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં મુખ્ય સચિવ રાજકુમાર અને વહીવટી તંત્ર આ વિદ્યાર્થીઓની સલામતી માટે પ્રયત્નો કરી રહ્યા છે.